રાજકોટ મહાનગરપાલિકાના કાર્યક્રમોમાં નેતાઓ વચ્ચે બબાલો થવાની ઘટનામાં સતત વધારો થઇ રહયો હોય તેવું લાગી રહ્યું છે. આજે રેસકોર્ષ ખાતે સ્વદેશી મેળાના ઉદ્ઘાટનમાં ઉદ્ઘાટક તરીકે ધારાસભ્ય રમેશ ટીલાળાનું નામ લખાતા સંકલનની બેઠક બાદ મેયર અને ધારાસભ્ય દર્શિતાબેન વચ્ચે ભારે ચળભળ થઇ હોવાનો મામલો સામે આવ્યો છે. વડિલો અને અન્ય રાજકીય નેતાઓની સમજાવટના અંતે મામલો થાળે પડ્યો હતો અને ધારાસભ્ય દર્શિતાબેનને પોતાના પદનું ભાન થતાં તેઓએ મારે કોઇ દૂરાગ્રહ નથી અને વિવાદ નથી તેમ કહી વિવાદ ઠારવાનો પ્રયાસ કર્યો હતો.
શુક્રવારે યોજાયેલ રાજકોટ મહાનગરપાલિકાની સંકલનની બેઠકમાં ધારાસભ્યો અને મેયર સહિતના સભ્યોએ ભાગ લીધો હતો. બેઠક પૂર્ણ થયા બાદ ધારાસભ્ય ડો. દર્શિતાબેન શાહે મેયર નયનાબેન પેઢડિયા સાથે માથાકૂટ કરી હતી.
પ્રત્યક્ષદર્શી લોકોના જણાવ્યા અનુસાર, શુક્રવારે રેસકોર્ષ ખાતે સ્વદેશી મેળાનું ઉદ્ઘાટન થવાનું હતું. આ કાર્યક્રમ મહાનગરપાલિકાનો હોવાથી મેયર દ્વારા આમંત્રણ પત્રિકા તૈયાર કરવામાં આવી હતી. દર્શિતાબેને કહ્યું હતું કે, ઉદ્ઘાટક તરીકે ધારાસભ્ય રમેશ ટીલાળાનું નામ કેમ લખવામાં આવ્યુ, આ મારો વિસ્તાર છે અને રેસકોર્ષ આ વિસ્તારમાં આવે છે તો ઉદ્ઘાટન મારા હસ્તે કેમ નહીં?. ત્યારે મેયરે કહ્યું હતું કે, સૂચના મુજબ મારે બધાને સાથે લઇને ચાલવુ પડે. મે નિષ્ઠાથી મેયર પદ સુધીનુ કામ કર્યું છે. રેસકોર્ષ કોઇ એક મત વિસ્તાર ન કેવાય તેમા ચારેય ધારાસભ્યો અને સંસદ સભ્યો પણ ઉદ્ઘાટન કરી શકે છે.
આમ ધારાસભ્ય દર્શિતાબેનને મેયરે મોઢેમોઢ જવાબ આપી દેતા થોડા સમય માટે ગરમા ગરમી સર્જાઇ હતી. ત્યારબાદ અન્ય લોકોએ વચ્ચે પડે સમાધાન કરાવ્યું, ત્યારે દર્શિતાબેને નરમ પડી કહ્યું, હવે મારે કોઇ જાતનો દૂરાગ્રહ કે વિવાદ નથી. છતાં આ મામલો શહેર ભરમાં અને ભાજપના કાર્યકરોમાં ચર્ચાનું કેન્દ્ર બની ગયો.