` : વડોદરા જિલ્લાના વાઘોડિયામાં રાજકીય તણાવ એકવાર ફરી ચરમસીમાએ પહોંચ્યો છે. પૂર્વ દબંગ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ અને વર્તમાન ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા વચ્ચે ચાલી રહેલા શાબ્દિક યુદ્ધને કારણે સ્થાનિક રાજકારણમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે. શરૂઆતમાં વિકાસના મુદ્દાને લઈને થયેલો વિવાદ હવે ખુલ્લા આરોપ-પ્રત્યારોપ સુધી પહોંચી જતા રાજકીય વર્તુળોમાં ચર્ચાનો મુખ્ય વિષય બની ગયો છે.
નામ લીધા વગર મધુ શ્રીવાસ્તવે કરી ટિપ્પણી
થોડા દિવસ પહેલા વર્તમાન ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ નામ લીધા વગર કરેલી ટિપ્પણી બાદ પૂર્વ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે જાહેરમાં વળતો પ્રહાર કર્યો હતો. તેમણે પોતાના કાર્યકાળ દરમિયાન વાઘોડિયા તાલુકામાં કરાયેલા વિકાસકાર્યોની વિગત રજૂ કરતાં જણાવ્યું હતું કે તેમના સમયમાં નર્મદા વસાહતોમાં ડામરના રસ્તાઓ બનાવવામાં આવ્યા હતા તેમજ પીવાના પાણીની સુવિધા માટે હેડપંપો સ્થાપિત કરવામાં આવ્યા હતા. તેમના જણાવ્યા અનુસાર, આ વિકાસકાર્યોના કારણે અનેક ગામોમાં લોકોને મૂળભૂત સુવિધાઓ મળી હતી.
સમગ્ર જિલ્લામાં રાજકીય ચકચાર ફેલાઈ
વિવાદ વધુ ઉગ્ર બનતા મધુ શ્રીવાસ્તવે વર્તમાન ધારાસભ્ય પર ગંભીર આરોપો લગાવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે ધર્મેન્દ્રસિંહ વાઘેલા પર ભૂતકાળમાં ઓઇલ અને ડીઝલ ચોરીના કેસોના આક્ષેપો થયા હતા. એટલું જ નહીં, પાસા કેસમાં પકડાયા બાદ તેમને છોડાવવામાં પોતે મદદરૂપ બન્યા હોવાનો દાવો પણ મધુ શ્રીવાસ્તવે કર્યો હતો. આ નિવેદનોને પગલે વાઘોડિયા તાલુકા ઉપરાંત સમગ્ર જિલ્લામાં રાજકીય ચકચાર ફેલાઈ ગઈ છે.
'જનતાના વિકાસ અને પ્રશ્નો પર ધ્યાન આપવું જોઈએ'
અંતમાં મધુ શ્રીવાસ્તવે વ્યંગાત્મક અંદાજમાં વર્તમાન ધારાસભ્યને સલાહ આપતા કહ્યું હતું કે લોકોએ તમને બે વખત મત આપી જીતાડ્યા છે, તેથી હવે નિવેદનબાજી કરતાં જનતાના વિકાસ અને પ્રશ્નો પર ધ્યાન આપવું જોઈએ. બન્ને નેતાઓ વચ્ચે ચાલી રહેલા આ ખુલ્લા વિવાદને કારણે વાઘોડિયાનું રાજકીય વાતાવરણ વધુ તણાવપૂર્ણ બન્યું છે અને આવનારા દિવસોમાં આ મુદ્દો વધુ તીવ્ર બનવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.




















