ખેડૂતોના હિતને પ્રાધાન્ય આપતા રાજ્ય સરકાર અને ભારતીય કિસાન સંઘ વચ્ચે મહત્વપૂર્ણ સહમતિ સાધવામાં આવી છે. ખેડૂતોના વિવિધ પ્રશ્નો અને રજૂઆતો અંગે યોગ્ય ઉકેલ લાવવા માટે સરકાર અને ભારતીય કિસાન સંઘ વચ્ચે સંકલન મજબૂત બને તે હેતુથી એક સંકલન સમિતિની રચના કરવામાં આવી છે. ઉર્જા વિભાગના કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ દ્વારા આ અંગેની વિગતવાર માહિતી આપવામાં આવી હતી.
સરકાર અને ભારતીય કિસાન સંઘ વચ્ચે મહત્વપૂર્ણ સહમતિ
ભારતીય કિસાન સંઘ, જે ખેડૂતોનું એક સેવાભાવી સંગઠન છે, તેના દ્વારા રાજ્ય સરકાર સમક્ષ વિવિધ મુદ્દાઓ રજૂ કરવામાં આવ્યા હતા. આ મુદ્દાઓના નિરાકરણ માટે રાજ્ય સરકાર અને કિસાન સંઘના પ્રતિનિધિઓ વચ્ચે શ્રેણીબદ્ધ બેઠકો યોજાઈ હતી. ખેડૂતોના પ્રશ્નોની વિસ્તૃત ચર્ચા માટે પ્રથમ બેઠક 30 ડિસેમ્બર, 2025ના રોજ માનનીય મંત્રી જીતુ વાઘાણી, મંત્રી અર્જુન મોઢવાડિયા અને ઉર્જા મંત્રી ઋષિકેશ પટેલની ઉપસ્થિતિમાં યોજાઈ હતી. ત્યારબાદ 7 જાન્યુઆરી, 2026ના રોજ નાણામંત્રી કનુ દેસાઈ અને ઉર્જામંત્રીની હાજરીમાં બીજી બેઠક યોજાઈ હતી. આ ચર્ચાઓના અંતે 8 જાન્યુઆરી, 2026ના રોજ અંતિમ અને નિષ્કર્ષાત્મક બેઠક યોજાઈ હતી.
‘સંકલન સમિતિ’ની રચના કરવામાં આવી
આ બેઠકોના પરિણામે ખેડૂતોના વિવિધ મુદ્દાઓ પર સરકાર અને કિસાન સંઘ વચ્ચે સહમતિ સાધવામાં આવી છે. રાજ્ય સરકારે આ મુદ્દાઓને સકારાત્મક રીતે અને સૈદ્ધાંતિક સ્વીકાર આપ્યો છે. સ્વીકારાયેલા મુદ્દાઓના અસરકારક અમલીકરણ અને ઝડપી નિરાકરણ માટે મંત્રી જીતુ વાઘાણીના અધ્યક્ષપદે ‘સંકલન સમિતિ’ની રચના કરવામાં આવી છે. આ સમિતિમાં નાણામંત્રી કનુ દેસાઈ, અર્જુન મોઢવાડિયા અને ઉર્જામંત્રી ઋષિકેશ પટેલનો સમાવેશ કરવામાં આવ્યો છે.
આ મહત્વપૂર્ણ ચર્ચાઓમાં ભારતીય કિસાન સંઘ તરફથી જગમલભાઈ, આર.કે. પટેલ, શામળભાઈ, ભુરાભાઈ સહિતના આગેવાનો હાજર રહ્યાં હતાં. ખેડૂતોના હિતમાં તથા ગુજરાત અને દેશના વ્યાપક હિતમાં લેવાયેલા આ નિર્ણયોનું રાજ્ય સરકારે સ્વાગત કર્યું છે. આ સંકલન સમિતિ સરકાર અને ખેડૂતો વચ્ચે એક સેતુ સમાન ભૂમિકા ભજવશે.




















