Gandhinagar News : કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ એ ગુજરાત પ્રવાસે છે. ત્યારે ગુજરાત બાયોટેકનોલોજી રિસર્ચ સેન્ટરની અતિ આધુનિક BSL-4 બાયો-કન્ટેનમેન્ટ ફેસિલિટીનો શિલાન્યાસ કર્યો હતો. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું ,કે આ લેબ દેશની સ્વાસ્થ્ય સુરક્ષા અને બાયો સેફ્ટી માટે નવી દિશા પૂરું પાડશે અને આવનારા સમયમાં દેશ માટે સ્વાસ્થ્યનું મજબૂત અને સુરક્ષિત કવચ બની રહેશેટ.
'BSL-4 લેબ વિશ્વભરમાં માત્ર આશરે 60 જેટલી જ કાર્યરત છે'
પ્રાપ્ત વિગતો મુજબ, પેથાપુર વિસ્તારમાં નિર્માણ થનાર આ BSL-4 લેબનો અંદાજીત ખર્ચ 362 કરોડ રૂપિયા છે અને તેના માટે 14.21 એકર જમીન ફાળવવામાં આવી છે. અમિત શાહે જણાવ્યું કે BSL-4 લેબ વિશ્વભરમાં માત્ર આશરે 60 જેટલી જ કાર્યરત છે અને આવી ઉચ્ચસ્તરીય લેબ માનવ તથા પશુ સ્વાસ્થ્ય સંબંધી સંશોધનમાં અત્યંત મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. આ લેબ દેશની બીજી અને ગુજરાતની પ્રથમ ઉચ્ચસ્તરીય BSL-4 લેબ બનશે, જે ગુજરાત સરકાર માટે ગૌરવની બાબત છે.
'રાષ્ટ્રના વિકાસ માટે સાયન્સ અને ટેક્નોલોજી મહત્વનો આધારસ્તંભ'
અમિત શાહએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે રાષ્ટ્રના વિકાસ માટે સાયન્સ અને ટેક્નોલોજી મહત્વનો આધારસ્તંભ છે. ભારતના વિકાસ અને સ્વસ્થ ભારતના નિર્માણ માટે આજનું આ પગલું અત્યંત મહત્વનું સાબિત થશે. 362 કરોડના ખર્ચે બની રહેલી આ લેબ સ્વસ્થ ભારત માટે મજબૂત કિલ્લા સમાન બનશે. અહીં વેક્સિન રિસર્ચ સહિતના અદ્યતન સંશોધન કાર્યો હાથ ધરવામાં આવશે, જે યુવા પેઢી માટે નવી તકો ઊભી કરશે.
'એન્ટીબાયોટિકનો અયોગ્ય ઉપયોગ મોટો ખતરો બની રહ્યો છે'
તેમણે વધુમાં જણાવ્યું કે, 'હાલ ઘાતક અને સંક્રમિત વાયરસનો પ્રભાવ વધતો જઈ રહ્યો છે. આવા સંજોગોમાં આ પ્રકારની લેબનું નિર્માણ અત્યંત આવશ્યક બની ગયું છે. પશુઓમાંથી માનવ જાતિમાં ફેલાતી અનેક નવી બીમારીઓને ધ્યાનમાં રાખીને માનવ અને પશુ બંનેની સ્વાસ્થ્ય સુરક્ષા માટે આ લેબ બનાવવામાં આવી રહી છે. આ લેબના કારણે દેશને હવે વિદેશ પર નિર્ભર રહેવું નહીં પડે અને સ્વદેશી સંશોધનને વધુ વેગ મળશે. અમિત શાહે એન્ટીબાયોટિકના ખોટા ઉપયોગ અંગે ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું કે માનવ સમાજ માટે એન્ટીબાયોટિકનો અયોગ્ય ઉપયોગ મોટો ખતરો બની રહ્યો છે. અંડર યુઝ, ઓવર યુઝ અને મિસ યુઝના કારણે આપણે એન્ટીબાયોટિક સામેની પ્રતિકાર ક્ષમતા ગુમાવી રહ્યા છીએ.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દેશને સંભવિત મહામારીઓ સામે વધુ સુરક્ષિત બનાવતો આ પ્રકલ્પ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હેલ્થ કેર અને આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલોપમેન્ટનો મહત્વપૂર્ણ પ્રકલ્પ ગણાવ્યો હતો.
તેમણે કહ્યું કે, વડાપ્રધાન સમય કરતા આગળનું વિચારનારા વિઝનરી લીડર છે તેમના આવા જ વિઝનથી ગુજરાત બાયોટેકનોલોજી રિસર્ચ સેન્ટર જી.બી.આર.સી. કાર્યરત કરીને વાયરલ જન્ય રોગચાળા, જેનેટિક સંક્રમણો અને મહામારી જેવા ગંભીર આરોગ્ય સેક્ટરના નિદાન સંશોધન માટે બહારની સંસ્થાઓ પર નિર્ભર રહેવું ન પડે તેવો આત્મનિર્ભરતાનો ધ્યેય પાર પાડ્યો છે.
મુખ્યમંત્રીશ્રીએ BSL-4 લેબ કાર્યરત થવાથી હાઈ રીસ્ક વાઈરસ પર રાજ્યમાં સંશોધન શક્ય બનાવાથી સમયસર, ચોક્કસ અને વિશ્વસનીય નિદાન ઉપલબ્ધ થશે તેમજ આરોગ્ય તંત્ર વધુ સશક્ત અને સજ્જ બને તેવો વિશ્વાસ દર્શાવ્યો હતો. મુખ્યમંત્રીએ જી.બી.આર.સી. માત્ર સંશોધન સંસ્થાન જ નહીં પરંતુ રાજ્યની બાયોટેક કેપેસિટીનું નોડલ સેન્ટર પણ છે તેની ભૂમિકા આપતા કહ્યું કે, BSL-4 લેબમાં જે સંશોધન થશે તે સીધું નિદાન, સારવાર અને જાહેર સ્વાસ્થ્યની નીતિઓમાં પરિવર્તિત થનારું ટ્રાન્સલેશન રિસર્ચ બનશે.
તેમણે વિકસિત ભારત @ 2047ના વડાપ્રધાનશ્રીના સંકલ્પને સ્વસ્થ, સુરક્ષિત અને આત્મનિર્ભર ભારતથી સાકાર કરવામાં આ BSL-4 ફેસીલીટી માઈલસ્ટોન સાબિત થશે તેમ જણાવ્યુ હતુ.
સ્વાગત પ્રવચન કરતાં વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી મંત્રી શ્રી અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું કે, ભારતનો ઇતિહાસ અને ભૂગોળ બદલવામાં જેમ મહાત્મા ગાંધી, સરદાર પટેલનું યોગદાન રહ્યું છે, તેમ આધુનિક ભારત અને ગુજરાતનું ભાગ્ય બદલવાનું કાર્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે કર્યું છે.
ગુજરાતની આ પ્રથમ અને દેશની અત્યંત મહત્વની સંશોધન સુવિધા વૈશ્વિક આરોગ્ય પડકારોનો સામનો કરવામાં નિર્ણાયક સાબિત થશે તેમ જણાવતા મંત્રીશ્રીએ કહ્યું કે, તત્કાલીન મુખ્યમંત્રી અને વર્તમાન વડાપ્રધાનશ્રીની પરિકલ્પનાથી 'ગુજરાત સ્ટેટ બાયોટેકનોલોજી મિશન' (GSBTM) ની સ્થાપના થઈ હતી. આજે તે જ વિઝનને પરિણામે ગુજરાત એશિયાની પ્રથમ ડેડિકેટેડ બાયોટેક યુનિવર્સિટી ધરાવતું રાજ્ય બન્યું છે. જે સંશોધન સુવિધાનું આજે ખાતમુહૂર્ત થયું છે તે ભારત સરકાર દ્વારા ડેઝિગ્નેટ કરાયેલી ગુજરાતની આ પ્રકારની પ્રથમ સંશોધન સુવિધા છે.




















