Rajkot earthquake : ગુજરાતમાં ધરા ધ્રુજવાનો સિલસિલો યથાવત છે. રાજકોટ જિલ્લાના જેતપુર, ધોરાજી, ઉપલેટા અને આસપાસના ગ્રામીણ વિસ્તારોમાં ભૂકંપના સતત આંચકા અનુભવાતા લોકોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. ગત રાત્રિના જોરદાર આંચકા બાદ આજે વહેલી સવારે ફરી ધરા ધ્રૂજતા લોકો ભય જોવા મળ્યો છે. લોકો ઘરોની બહાર દોડી આવ્યા હતા. ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મોલોજીકલ રિસર્ચ (ISR) ના ડેટા અનુસાર, છેલ્લા 12 કલાકમાં આ પંથકમાં નોંધપાત્ર આંચકા અનુભવાયા છે. જેમાં ગત રાત્રીના 8:43 કલાકે 3.3ની તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો, જેનું કેન્દ્રબિંદુ ઉપલેટાથી 30 કિમી દૂર હતું. વહેલી સવારનો સૌથી મોટો આંચકો આજે સવારે 6:19 વાગ્યે 3.8ની તીવ્રતાનો જોરદાર આંચકો નોંધાયો હતો.
સવારે 6:19 થી 8:34 સુધીમાં કુલ 7 આંચકા અનુભવાયા હતા
સવારે 06:19 કલાકે - 3.8 તીવ્રતા
સવારે 06:56 કલાકે - 2.9 તીવ્રતા
સવારે 06:58 કલાકે - 3.2 તીવ્રતા
સવારે 07:10 કલાકે - 2.9 તીવ્રતા
સવારે 07:13 કલાકે - 2.9 તીવ્રતા
સવારે 07:33 કલાકે - 2.7 તીવ્રતા
સવારે 8.34 કલાકે પણ ફરી વાર અચકાઓ અનુભવાયો હતો.
આંચકાઓનું કેન્દ્રબિંદુ ઉપલેટા હતું
આ તમામ આંચકાઓનું કેન્દ્રબિંદુ મુખ્યત્વે ઉપલેટાથી 27 થી 30 કિમી પૂર્વ-ઉત્તર-પૂર્વ (ENE) દિશામાં નોંધાયું છે. આંચકાઓની ઊંડાઈ જમીનથી 6.1 કિમી થી 13.6 કિમી સુધીની રહી છે. સવારના સમયે એક પછી એક આંચકા આવતા જેતપુર,ધોરાજી અને ઉપલેટાના ગ્રામીણ વિસ્તારોમાં લોકો સુરક્ષાના કારણોસર ઘર છોડીને ખુલ્લા મેદાનમાં દોડી આવ્યા હતા. હાલમાં તંત્ર દ્વારા પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે. સદનસીબે, હજુ સુધી કોઈ જાન-માલના નુકસાનના અહેવાલ પ્રાપ્ત થયા નથી.




















