Gir Somnath Triple Accident : ગીર સોમનાથ જિલ્લાના તાલાલા તાલુકામાં એક હૃદયદ્રાવક ટ્રિપલ અકસ્માતમાં કાકા-ભત્રીજા સહિત ત્રણ લોકોના મોત થયા છે. સુરવા-માધુપુર રોડ પર બાઈક, નારિયેળ ભરેલી છકડો રિક્ષા અને એક આઇસર ટ્રક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો ભયાનક હતો કે ત્રણેય વ્યક્તિઓના ઘટનાસ્થળે જ મોત થયા હતા, જેના કારણે વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.
અકસ્માતમાં ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા
મળતી માહિતી મુજબ સુરવા અને માધુપુર ગામ વચ્ચે આ ત્રણ વાહનો એકબીજા સાથે ટકરાયા હતા. અકસ્માતમાં બાઈક પર સવાર લોકો તેમજ અન્ય વાહનમાં રહેલા લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. ઘટનાસ્થળે જ ત્રણ લોકોના જીવ ગયા હતા. મૃતકોની ઓળખ કિશોરભાઈ વડોદરિયા, પ્રભુદાસભાઈ વડોદરિયા અને દીક્ષિતભાઈ વડોદરિયા તરીકે કરવામાં આવી છે. આ ત્રણમાંથી કિશોરભાઈ અને પ્રભુદાસભાઈ કાકા-ભત્રીજા હોવાનું પણ જાણવા મળ્યું છે.
પ્રાથમિક તપાસ હાથ ધરી
અકસ્માતની જાણ થતાં જ તાલાલા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને સ્થળ પર પ્રાથમિક તપાસ હાથ ધરી હતી. પોલીસે અકસ્માતમાં મોતને ભેટેલા ત્રણેયના મૃતદેહો કબજામાં લઈ પોસ્ટમોર્ટમ માટે તાલાલાની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા. સાથે જ અકસ્માતના કારણો જાણવા માટે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. આ ગંભીર અકસ્માતને પગલે સ્થાનિક લોકોમાં શોક અને અફસોસની લાગણી જોવા મળી રહી છે. પોલીસ દ્વારા વાહન ચાલકોને સાવચેતીપૂર્વક વાહન ચલાવવા અપીલ કરવામાં આવી છે, જેથી આવી દુર્ઘટનાઓ ટાળી શકાય.




















