Ahmedabad News : લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિને યાદગાર બનાવવા માટે રાજ્યભરમાં વિવિધ વિધાનસભા ક્ષેત્રોમાં ભવ્ય યુનિટી માર્ચનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ અંતર્ગત અમદાવાદ શહેરના ઘાટલોડિયા વિસ્તારમાં યોજાતી યુનિટી માર્ચનું પ્રસ્થાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા આંબલી ખાતે આવેલા ખોડિયાર માતા મંદિરથી કરવામાં આવ્યું છે.
અમદાવાદમાં યુનિટી માર્ચનું આયોજન
અમદાવાદ શહેરના મુખ્ય વિસ્તારોમાંથી પસાર થઈ યુનિટી માર્ચ પરિક્રમા કરશે અને તેમાં મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકો તથા ભાજપનાં કાર્યકર્તાઓ જોડાયા હતા. ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા પણ આ પ્રસંગે વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. રાષ્ટ્રીય એકતા, સામૂહિક રાષ્ટ્ર નિર્માણ તથા સ્વદેશીના સંદેશને પ્રસરાવવાના હેતુથી યોજાતી આ યુનિટી માર્ચ શહેરમાં દેશભક્તિ, સમરસતા અને એકતાનું પ્રેરણાદાયી વાતાવરણ સર્જશે. ગુજરાત સરકારની આ પહેલનો ઉદ્દેશ યુવાનો અને નાગરિકોમાં રાષ્ટ્રીય ગૌરવની ભાવના વધુ મજબૂત બનાવવાનો છે.
વડોદરામાં યુનિટી માર્ચ કાર્યક્રમ
આ ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા સરદાર પટેલની જન્મજયંતિને અનુલક્ષીને અન્ય વિધાનસભા વિસ્તારોમાં પણ યુનિટી માર્ચનું આયોજન કરવામાં આવ્યું છે. આવા જ એક વડોદરામાં કાર્યક્રમ દરમિયાન ગુજરાત સરકારનાં મહિલા અને બાળ કલ્યાણ વિભાગની મંત્રી ડૉ. મનીષા વકીલ અને સાંસદ ડૉ. હેમાંગ જોષી પણ હાજર રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન તેઓ આદિવાસી લોકગીતોની ધૂન પર ઝૂમી ઉઠ્યા હતા, જેના કારણે કાર્યક્રમનું વાતાવરણ વધુ સાંસ્કૃતિક, ઉત્સાહી અને લોકભાગીદારીથી ભરપૂર બન્યું.




















