Ahmedabad News: ગુજરાત હાઈકોર્ટે આજે એક માનવીય અભિગમ અપનાવતા ગાંધીનગરની 16 વર્ષીય સગીરાને 16 અઠવાડિયાનો ગર્ભ દૂર કરવાની મંજૂરી આપી છે. દુષ્કર્મનો ભોગ બનેલી આ સગીરાએ પોતાની શારીરિક અને માનસિક સ્થિતિને ધ્યાને રાખી ગર્ભ રાખવાની અનિચ્છા દર્શાવતા કોર્ટના દ્વાર ખખડાવ્યા હતા.
તબીબી તપાસ બાદ લેવાયો નિર્ણય
સગીરા દ્વારા કરવામાં આવેલી અરજી પર સુનાવણી કરતા હાઈકોર્ટે અગાઉ ગાંધીનગરની હોસ્પિટલને સગીરાની મેડિકલ તપાસ કરવા નિર્દેશ આપ્યો હતો. મેડિકલ તપાસનો રિપોર્ટ હકારાત્મક આવ્યા બાદ, આજે 17 માર્ચ, 2026ના રોજ કોર્ટે ગર્ભપાત માટે લીલી ઝંડી આપી છે. કોર્ટે આ પ્રક્રિયા માટે ખાસ સિનિયર ડોક્ટરોની પેનલ બનાવવાનો આદેશ આપ્યો છે, જેની દેખરેખ હેઠળ સમગ્ર ગર્ભપાતની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે.
જો બાળક જીવિત જન્મે તો શું?
હાઈકોર્ટે આ કેસમાં સુરક્ષા અને કાળજીના પાસાંઓને પણ સ્પષ્ટ કર્યા છે. ગર્ભપાત પહેલા સગીરાને આ પ્રક્રિયામાં રહેલા જોખમો વિશે વિગતવાર સમજાવવામાં આવશે. જો ગર્ભપાત દરમિયાન બાળક જીવિત જન્મે, તો સગીરા અને બાળક બંનેની યોગ્ય સારવાર અને કાળજી લેવાની જવાબદારી હોસ્પિટલની રહેશે. જો સગીરા બાળક રાખવા તૈયાર ન હોય, તો આગળની પ્રક્રિયા જુવેનાઇલ જસ્ટિસ એક્ટ મુજબ કરવામાં આવશે.
DNA સેમ્પલ સાચવવા પોલીસને આદેશ
આ ઘટનામાં આરોપી વિરુદ્ધ ડિસેમ્બર 2025માં ડભોડા પોલીસ મથકે ગુનો નોંધાયેલો છે. કાયદાકીય પુરાવા મજબૂત કરવા માટે હાઈકોર્ટે ડોક્ટરોને આદેશ આપ્યો છે કે ગર્ભના DNA સેમ્પલ સાચવીને તપાસ અધિકારીને સોંપવામાં આવે, જેથી ભવિષ્યમાં ટ્રાયલ દરમિયાન તે મહત્વનો પુરાવો બની શકે.
છેલ્લા 3 વર્ષમાં 24 પીડિતાઓને ન્યાય
રાજ્યમાં દુષ્કર્મ પીડિતાઓની સ્થિતિ પ્રત્યે સંવેદનશીલતા દાખવતા, ગુજરાત હાઈકોર્ટે છેલ્લા ત્રણ વર્ષમાં કુલ 24 પીડિતાઓને ગર્ભપાત માટેની મંજૂરી આપી છે. સામાજિક બદનામી અને પીડિતાના સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપીને કોર્ટ આવા કિસ્સાઓમાં ઝડપી સુનાવણી કરી રહી છે.
શું છે MTP એક્ટના નિયમો?
મેડિકલ ટર્મિનેશન ઑફ પ્રેગ્નન્સી (MTP) એક્ટ મુજબ, બળાત્કાર પીડિતા, સગીર કે વિકલાંગ મહિલા 24 અઠવાડિયાં સુધી ગર્ભપાત કરાવી શકે છે. જો સમયગાળો 24 અઠવાડિયાંથી વધુ હોય, તો મેડિકલ બોર્ડના અભિપ્રાય બાદ કોર્ટની વિશેષ મંજૂરી અનિવાર્ય બને છે. 2020માં આ કાયદામાં સુધારો કરીને મહિલાઓના હિતમાં વધુ જોગવાઈઓ ઉમેરવામાં આવી હતી.




















