Gujarat LPG Gas: હોર્મુઝ સ્ટ્રેટમાં તણાવને કારણે ગેસ પુરવઠા વ્યવસ્થામાં સાવધાની રાખતા ગુજરાત સરકારે નાગરિકોને કોઈ અછત ન પડે તે માટે મોટા નિર્ણયો લીધા છે. રાજ્ય સરકારે જાહેર કર્યું કે ઘરેલુ LPG સપ્લાય સામાન્ય સપ્તાહિક વિતરણ કરતાં 20% વધારી દેવામાં આવ્યો છે. આ નિર્ણયનો હેતુ રાજ્યમાં ઘરેલુ વપરાશકારોને અવિરત પુરવઠો સુનિશ્ચિત કરવાનો છે. વધારાના સપ્લાયને કારણે હવે સામાન્ય કરતાં લગભગ 20% વધુ LPG ગ્રાહકોને મળશે. રાજ્યમાં LPG અને PNGનો સ્ટોક પુરતો છે અને બફર સ્ટોકમાં સતત વધારો થઈ રહ્યો છે.
કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રાલય
સરકારનો સૌથી મહત્વનો નિર્ણય એ છે કે જે ગ્રાહકોના ઘરે પાઈપલાઈન ગેસ (PNG) અને બોટલ ગેસ (LPG) બંને કનેક્શન ચાલુ છે, તેમણે આવતા બુધવાર (18 માર્ચ2026) સુધીમાં પોતાનો LPG કનેક્શન અને સિલિન્ડર ફરજિયાત સરેન્ડર કરી દેવું પડશે. PNG કનેક્શન ધરાવનાર કોઈપણ ગ્રાહક હવે LPG કનેક્શન રાખી શકશે નહીં કે નવું કનેક્શન અથવા રિફિલ મેળવી શકશે નહીં. આ નિર્ણય કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રાલયના આદેશ અનુસાર છે જેથી LPGનો જથ્થો ફક્ત તે ઘરો સુધી પહોંચે જ્યાં PNGની સુવિધા નથી.
ગુજરાતને કુલ 1452 કિલોલીટર કેરોસીન આપ્યું
ગ્રામ્ય વિસ્તારો માટે વિકલ્પ તરીકે કેરોસીનની ફાળવણી પણ વધારવામાં આવી છે. કેન્દ્ર સરકારે ગુજરાતને કુલ 1452 કિલોલીટર કેરોસીન આપ્યું છે, જેમાંથી દરેક જિલ્લાને 36 હજાર લિટર કેરોસીન ફાળવવામાં આવ્યું છે. પરિવાર દીઠ 5 લિટર અને સંસ્થાઓને 25 લિટર સુધીની વિતરણ વ્યવસ્થા કરવામાં આવશે.
કોમર્શિયલ ગેસ વપરાશ પર નવા નિયમો
PNG નેટવર્ક વગરના વિસ્તારોમાં કોમર્શિયલ LPG માત્ર 20% જેટલી મર્યાદામાં ફાળવવામાં આવશે. હોસ્પિટલ અને શૈક્ષણિક સંસ્થાઓને 100% ફાળવણી, ફાર્મા-ડેરી જેવા ઉદ્યોગોને 70%, જ્યારે હોટેલ-રેસ્ટોરાં જેવા ક્ષેત્રોને માત્ર 10 % જથ્થો મળશે. ધાર્મિક-સામાજિક સંસ્થાઓને છેલ્લા 6 મહિનાના વપરાશના આધારે 10% સુધી મર્યાદિત ફાળવણી થશે. જિલ્લા પુરવઠા સમિતિ અંતિમ નિર્ણય લેશે.
PNGનો જથ્થો પણ પર્યાપ્ત
અધિક મુખ્ય સચિવ મોના ખંધારે જણાવ્યું છે કે, “હાલની પરિસ્થિતિમાં ઘરેલુ વપરાશને પ્રાથમિકતા આપીને દરેક નાગરિક સુધી પુરવઠો પહોંચે તે સુનિશ્ચિત કરવામાં આવ્યું છે.” રાજ્યમાં 1 માર્ચથી અત્યાર સુધીમાં 3504 નવા PNG કનેક્શન આપવામાં આવ્યા છે અને PNGનો જથ્થો પણ પર્યાપ્ત છે.
સરકારે તમામ ગેસ એજન્સીઓ પર મોનિટરિંગ વધારી દીધું છે નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે સરેન્ડર પ્રક્રિયા તાત્કાલિક પૂર્ણ કરીને સરકારને સહકાર આપે. આ નિર્ણયો સાથે ગુજરાત સરકારે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે ઘરેલુ ગેસનો પુરવઠો સુરક્ષિત છે અને કોઈ અછત નહીં પડે.




















