Vadodara Central Jail Case: વડોદરા સેન્ટ્રલ જેલમાં કાચા કામના (અંડરટ્રાયલ) કેદી જયેશભાઈ નટવરભાઈ પંડ્યા (63)નું અચાનક મોત થતાં ખળભળાટ મચી ગયો છે. ખટંબા વિસ્તારની VUDA ડ્રેનેજ પ્રોજેક્ટમાં સુરક્ષા સાધનો વિના કામ કરતા બે શ્રમિકોના ગૂંગળામણથી મોત થયા હતા તે કેસમાં આરોપી તરીકે ધરપકડ થયેલા જયેશભાઈને માત્ર 12 દિવસ જેલમાં રહ્યા બાદ સયાજી હોસ્પિટલમાં મૃત જાહેર કરવામાં આવ્યા હતા.
ઘટનાનો ક્રમ
2 માર્ચ, 2026: ખટંબા ખાતે ડ્રેનેજ લાઈન કામ દરમિયાન બે કામદારોના મોત થતાં વરણામા પોલીસે કોન્ટ્રાક્ટર જયંતિ પટેલ અને સંજય ખૂંટ સામે સાપરાધ માનવવધનો ગુનો નોંધ્યો હતો.
તપાસ દરમિયાન જયેશભાઈ પંડ્યાનું નામ ત્રીજા આરોપી તરીકે સામે આવતાં 5 માર્ચ, 2026ના રોજ તેમને અટકાયત કરી જેલ હવાલે કરાયા.
17 માર્ચ, 2026 સવારે જેલમાં રૂટિન મેડિકલ ચેકઅપ બાદ અચાનક ગભરામણ થતાં તેમને એમ્બ્યુલન્સ દ્વારા સયાજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા, જ્યાં તબીબોએ મૃત જાહેર કર્યા.
પરિવારનો આક્રોશ અને માંગણીઓ
હોસ્પિટલ પર પહોંચેલા પરિવારજનોએ ભારે રોષ વ્યક્ત કર્યો. તેઓનો આક્ષેપ છે કે જયેશભાઈને આ કેસમાં ખોટી રીતે ફસાવવામાં આવ્યા હતા. માત્ર 12 દિવસમાં જ મોત થવાથી પરિવારમાં ગંભીર શંકાઓ જાગી છે. તેઓ જેલ પ્રશાસન અને પોલીસ કાર્યવાહી પર સવાલો ઉઠાવી રહ્યા છે. હાલ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે કોલ્ડ રૂમમાં રાખવામાં આવ્યો છે. જેલ વિભાગ અને સ્થાનિક પોલીસ દ્વારા તપાસ શરૂ કરાઈ છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું સાચું કારણ સ્પષ્ટ થશે. આ ઘટના જેલ વ્યવસ્થા અને કસ્ટોડિયલ મૃત્યુના મામલાઓ પર ફરી ચર્ચા ઉભી કરી રહી છે.




















