કચ્છ જિલ્લામાં ગુરુવારે રાત્રે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રાત્રે 10:12 વાગ્યે ભચાઉમાં 3.4ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો હતો, જ્યારે રાત્રે 10:19 વાગ્યે રાપરમાં 2.7ની તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો. આ ભૂકંપનું કેન્દ્રબિંદુ ભચાઉથી આશરે 20 કિલોમીટર દૂર હોવાનું જાણવા મળ્યું છે.
ભૂકંપની તીવ્રતા ઓછી હોવાને કારણે કોઈ જાનહાનિ કે આર્થિક નુકસાન થયું નથી. જોકે, અચાનક આવેલા આ આંચકાથી લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો અને ઘણા લોકો સાવચેતી રૂપે ઘરની બહાર આવી ગયા હતા. કચ્છ વિસ્તાર ભૂકંપ પ્રધાન ઝોનમાં આવતો હોવાથી અહીં વારંવાર નાની-મોટી તીવ્રતાના આંચકા અનુભવાતા રહે છે.