PM Modi on Gujarat tour : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે અમદાવાદના ગાંધી આશ્રમ પહોંચ્યા હતા. અહીં તેમણે ગાંધી આશ્રમ રિડેવલપમેન્ટ પ્રોજેક્ટની ચાલી રહેલી કામગીરીનું નિરીક્ષણ કર્યું અને સંબંધિત અધિકારીઓ સાથે બેઠક કરી. આ દરમિયાન જર્મન ચાન્સેલર ફ્રેડરીક મર્ઝ પણ ગાંધી આશ્રમ પહોંચ્યા હતા. ત્યારબાદ પ્રધાનમંત્રી મોદી અને જર્મન ચાન્સેલરે સાથે મળી ગાંધી આશ્રમની મુલાકાત લીધી અને મહાત્મા ગાંધીના જીવન અને વિચારોને નજીકથી જાણ્યા હતાં. બંને નેતાઓએ ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હૃદયકુંજની પણ મુલાકાત લીધી હતી
વડાપ્રધાન અને જર્મનીના ચાન્સેલરએ આશ્રમ માં ગાંધીજીના નિવાસસ્થાન હૃદય કુંજની પણ મુલાકાત લઈ રેંટિયો કાતવાની પ્રક્રિયાને નિહાળી હતી. ગાંધી આશ્રમની મુલાકાત દરમિયાન ગાંધીજીના સાદગીપૂર્ણ જીવન, આત્મનિર્ભરતાના સંદેશ તેમજ સત્ય અને અહિંસાના મૂલ્યો અંગે બંને નેતાઓએ ઊંડો આદર ભાવ વ્યક્ત કર્યો હતો. જર્મનીના ચાન્સેલર ફ્રેડરિક મેર્ઝ ગાંધી આશ્રમની મુલાકાત લઈ પ્રભાવિત થયા હતા.
તેમણે વિઝિટર્સ બુકમાં મેસેજ આપતા જણાવ્યું કે, સ્વતંત્રતાની શક્તિ અને દરેક વ્યક્તિના મનમાં મહાત્મા ગાંધીનો અડગ વિશ્વાસ આજે પણ આપણને પ્રેરણા આપે છે. આ માનવીય વારસો ભારત અને જર્મનીના લોકોને મિત્રતા દ્વારા એકસાથે જોડે છે, દુનિયામાં આજે પણ ગાંધીજીના ઉપદેશો એટલા જ પ્રસ્તુત છે.
ગાંધી આશ્રમની આ મુલાકાત પ્રસંગે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, રાજ્યના મુખ્ય સચિવ એમ. કે. દાસ, સાબરમતી આશ્રમના ચેરપર્સન કાર્તિકેય સારાભાઈ, સાબરમતી આશ્રમ રિવડેલપમેન્ટ કમિટીના ચેરમેન આઈ.પી.ગૌતમ, અમદાવાદ કલેક્ટર સુજીત કુમાર તથા જર્મન ડેલીગેશન અને ગાંધી આશ્રમ સાથે સંકળાયેલા મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
કાઈટ ફેસ્ટિવલનો પ્રારંભ કરાવશે
આ ઉપરાંત, PM મોદી અને જર્મન ચાન્સેલર આજે સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આયોજિત ઇન્ટરનેશનલ કાઈટ ફેસ્ટિવલનો પ્રારંભ પણ કરાવશે
મહાત્મા મંદિર ખાતે PM મોદી અને જર્મન ચાન્સેલર ફ્રેડરીક મર્ઝ વચ્ચે બેઠક
ગાંધી આશ્રમની મુલાકાત પૂર્ણ થયા બાદ બપોરે 12 વાગ્યે મહાત્મા મંદિર ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને જર્મન ચાન્સેલર ફ્રેડરીક મર્ઝ વચ્ચે મહત્વપૂર્ણ બેઠક યોજાવાની છે, જેમાં બંને દેશો વચ્ચેના સહકાર અને સંબંધો અંગે ચર્ચા થવાની શક્યતા છે. ઉલ્લેખનીય છે કે ગઈકાલે જ જર્મન ચાન્સેલર ફ્રેડરીક મર્ઝ ભારત મુલાકાત માટે સીધા અમદાવાદ પહોંચ્યા હતા, જ્યાં ITC નર્મદા હોટલમાં તેમનું પરંપરાગત રીતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.





















