ઈરાન-ઈઝરાયેલ-અમેરિકા વચ્ચે ચાલી રહેલી યુદ્ધ પરિસ્થિતિના કારણે વૈશ્વિક વેપાર ઉપર ગંભીર અસર પડી રહી છે, જેમાં ગુજરાતના એક્સપોર્ટ ઉદ્યોગને મોટો ઝટકો લાગ્યો છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડો. પાર્થિવરાજસિંહ કઠવાડીયાએ રાજકોટના રાજીવ ગાંધી ભવન ખાતે પત્રકાર પરિષદમાં આ મુદ્દે ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી.
તેમણે જણાવ્યું કે યુ.એ.ઇ.ના ખોરફક્કન પોર્ટ અને ઓમાનના સોહાર પોર્ટ ઉપર દક્ષિણ એશિયાના 29,000 થી વધુ કન્ટેનરો અટવાયા છે, જેમાં ગુજરાતના અંદાજે 5,500 કન્ટેનરો સામેલ છે. આ કન્ટેનરોને પાછા ભારત લાવવા માટે પ્રતિ કન્ટેનર રૂ. 5 લાખનો ખર્ચ થાય તેવી શક્યતા છે, જેના કારણે કુલ રૂ. 275 કરોડનો બોજ એક્સપોર્ટરો ઉપર આવી શકે છે.
ખાસ કરીને 800 થી વધુ રેફ્રિજરેટેડ (રીફર) કન્ટેનરો માટે પૂરતી પ્લગીંગ સુવિધા ન હોવાથી બટાકા, તરબૂચ, સી ફૂડ, શાકભાજી અને ડેરી જેવા નાશવંત માલ બગડી જવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી છે.
આ સાથે રમઝાન ઈદ દરમિયાન ગુજરાતના ગારમેન્ટ ઉદ્યોગનો અંદાજે રૂ. 1500 કરોડનો ગલ્ફ દેશો સાથેનો વેપાર પ્રભાવિત થઈ શકે છે. ઓર્ડર રદ થવાની અને માલ સમયસર ન પહોંચવાના કારણે ઉદ્યોગ પર સંકટ ઊભું થયું છે.
તે ઉપરાંત, કેસર કેરી સહિતના ફળોના આશરે રૂ. 500 કરોડના એક્સપોર્ટ ઉપર પણ અસર થવાની શક્યતા છે, જેનાથી ખેડૂતોને નુકસાન ભોગવવું પડી શકે છે. પ્રવક્તાએ કેન્દ્ર સરકારને એક્સપોર્ટરો માટે રાહત પેકેજ જાહેર કરવાની માંગ કરી છે, જેથી વેપારીઓ અને સ્ટાર્ટઅપ્સને આ સંકટમાંથી બહાર લાવી શકાય.




















