સાણંદ–વિરમગામ હાઇવે પર એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં ખાડામાં ભરાયેલા પાણી પીવાથી આશરે 33 જેટલા ઘેટા-બકરાના મોત નિપજ્યા હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટનાએ સ્થાનિક લોકો અને માલધારીઓમાં ચિંતા ફેલાવી દીધી છે.
મળતી માહિતી મુજબ, વિરમગામ તરફથી સાણંદ તરફ આશરે 300 થી વધુ ઘેટા-બકરાનું ટોળું ચરતા ચરતા જઈ રહ્યું હતું. તે દરમિયાન વિરોચનનગર પાટિયા નજીક રોડ સાઇડના ખાડામાં ભરાયેલા પાણીમાંથી પશુઓએ પાણી પીધું હતું. પાણી પીતા જ અચાનક આશરે 31 ઘેટા અને 2 બકરાઓના ટપોટપ મોત થયા હતા.
આ ઘટનામાં કેટલાક પશુઓની હાલત ગંભીર બની જતા તાત્કાલિક સ્થાનિક લોકો દ્વારા પશુચિકિત્સકને જાણ કરવામાં આવી હતી. પશુ ડોક્ટર સ્થળ પર પહોંચી બચેલા પશુઓને પ્રાથમિક સારવાર આપી હતી.
માલધારીઓએ આક્ષેપ કર્યો છે કે ખાડામાં ભરાયેલું પાણી કેમિકલયુક્ત હોઈ શકે છે, જેના કારણે આટલી મોટી સંખ્યામાં પશુઓના મોત થયા છે.
ઘટનાની જાણ થતા પોલીસ પણ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી અને સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. આ ઘટના બાદ હાઇવે પર રોડ સુરક્ષા અને બેદરકારી અંગે અનેક પ્રશ્નો ઉભા થયા છે. સ્થાનિકોએ તંત્રને આવી ઘટનાઓ અટકાવવા તાત્કાલિક પગલાં લેવા માંગ કરી છે.



















