Ahmedabad News: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)માં નવી ટર્મ માટે વિવિધ મહત્વની કમિટીઓના ચેરમેન, સભ્યો અને હોદ્દેદારોના નામોની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. સામાન્ય સભા બાદ વિવિધ કમિટીઓની રચના પર મહોર મારવામાં આવી હતી. શહેરના વિકાસ, પાણી પુરવઠો, આરોગ્ય, માર્ગ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર જેવા મહત્વના વિભાગો સંભાળતી કમિટીઓમાં નવા ચેરમેનની નિમણૂક સાથે આગામી વર્ષ માટેનું વહીવટી અને રાજકીય સમીકરણ સ્પષ્ટ થયું છે.
AMCની કમિટીઓની રચનાને લઈને છેલ્લા કેટલાક દિવસોથી રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા ચાલી રહી હતી. ખાસ કરીને જ્ઞાતિ, ઝોન અને રાજકીય પ્રતિનિધિત્વના સંતુલનને ધ્યાનમાં રાખીને નામોની પસંદગી કરવામાં આવશે તેવી અટકળો વચ્ચે આખરે કમિટીઓના હોદ્દેદારોના નામ જાહેર કરવામાં આવ્યા છે.
મહત્વની કમિટીઓના ચેરમેન જાહેર
શહેરના ટ્રાન્સપોર્ટ વિભાગની જવાબદારી પરાગભાઈ નાઈકને સોંપવામાં આવી છે. AMTS અને જાહેર પરિવહન વ્યવસ્થાને વધુ અસરકારક બનાવવા માટે હવે તેમની ભૂમિકા મહત્વપૂર્ણ બનશે.
વોટર સપ્લાય એન્ડ સુઅરેજ કમિટીના ચેરમેન તરીકે ધરમસિંહભાઈ માલવજીભાઈ દેસાઈની પસંદગી કરવામાં આવી છે. શહેરમાં પાણી પુરવઠો અને ગટર વ્યવસ્થાને લઈને આ કમિટી સૌથી મહત્વની ગણાય છે. લાંબા સમયથી તેમના નામની ચર્ચા ચાલી રહી હતી અને આખરે તેમને આ જવાબદારી સોંપવામાં આવી છે.
રોડઝ એન્ડ બિલ્ડિંગ કમિટીના ચેરમેન તરીકે જૈનીકભાઈ નૌતમભાઈ વકીલની પસંદગી કરવામાં આવી છે. શહેરના રસ્તાઓ, ફ્લાયઓવર અને વિકાસકાર્યોમાં હવે તેમની આગેવાની મહત્વપૂર્ણ રહેશે.
ટાઉન પ્લાનિંગ એન્ડ એસ્ટેટ મેનેજમેન્ટ કમિટીના ચેરમેન તરીકે ભાગ્યેશભાઈ રજનીકાંતભાઈ પટેલની નિમણૂક કરવામાં આવી છે, જ્યારે રેવન્યુ કમિટીની જવાબદારી મુકેશભાઈ રવજીભાઈ પટેલને સોંપવામાં આવી છે.
મહિલા અને આરોગ્ય ક્ષેત્રે નવા ચહેરાઓને તક
મહિલા અને બાળ વિકાસ કલ્યાણ કમિટીના ચેરમેન તરીકે ડીમ્પલબેન દેવાનંદ વરીન્દાનીની પસંદગી કરવામાં આવી છે. મહિલા પ્રતિનિધિત્વને વધુ મજબૂત બનાવવા માટે આ નિર્ણય મહત્વનો માનવામાં આવી રહ્યો છે.
હોસ્પિટલ કમિટીના ચેરમેન તરીકે ડૉ. ચાંદનીબેન તેજસભાઈ પટેલને જવાબદારી સોંપવામાં આવી છે. આરોગ્ય ક્ષેત્રનો અનુભવ ધરાવતા પ્રતિનિધિને આ મહત્વની જવાબદારી મળતા શહેરની આરોગ્ય સેવાઓને વધુ મજબૂતી મળે તેવી અપેક્ષા વ્યક્ત થઈ રહી છે. હેલ્થ એન્ડ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ કમિટીના ચેરમેન તરીકે દીપકભાઈ પંચાલની પસંદગી કરવામાં આવી છે. શહેરની સફાઈ વ્યવસ્થા અને કચરા વ્યવસ્થાપન માટે આ કમિટી મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
આ પણ વાંચો: સુરતમાં તાજિયા પૂર્વે પોલીસનો કડક બંદોબસ્ત : સંવેદનશીલ વિસ્તારોમાં ફ્લેગ માર્ચ અને સઘન ફૂટ પેટ્રોલિંગ
અન્ય કમિટીઓમાં પણ નવા હોદ્દેદારો
મટીરીયલ મેનેજમેન્ટ એન્ડ પરચેઝ કમિટીના ચેરમેન તરીકે હિતેન્દ્રભાઈ બાબુભાઈ પરમારની નિમણૂક કરવામાં આવી છે. કોર્પોરેશનની ખરીદી પ્રક્રિયા અને સામગ્રી વ્યવસ્થાપન માટે આ કમિટી જવાબદાર રહેશે.
હાઉસિંગ ઈમ્પ્રુવમેન્ટ એન્ડ EWS આવાસ યોજના કમિટીના ચેરમેન તરીકે દર્શનભાઈ જશવંતલાલ શાહની પસંદગી કરવામાં આવી છે. આ કમિટી શહેરી ગરીબો અને આર્થિક રીતે નબળા વર્ગ માટેની આવાસ યોજનાઓના અમલીકરણમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. લીગલ કમિટીના ચેરમેન તરીકે વિપુલભાઈ જીતુભાઈ પટેલ અને રિક્રિએશનલ, કલ્ચરલ એન્ડ હેરિટેજ કમિટીના ચેરમેન તરીકે જીતેન્દ્રભાઈ ચતુરભાઈ ખરચરીયાની પસંદગી કરવામાં આવી છે.
હોસ્પિટલ બોર્ડ અને વિશેષ સમિતિઓમાં સભ્યોની નિમણૂંક
AMC દ્વારા બેચરદાસ દવાખાના મેનેજિંગ કમિટીમાં વૈશાલીબેન ભાવેશભાઈ પટેલ અને કમલેશભાઈ રામાભાઈ પટેલને સભ્ય તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. વેટરનિટી હોસ્પિટલ મેનેજિંગ કમિટીમાં ડૉ. જૈમિનીબેન ધર્મેશભાઈ દવે અને હેમાબેન ચિરાગભાઈ શાહને સ્થાન આપવામાં આવ્યું છે.
શેઠ વાડીલાલ સારાભાઈ જનરલ હોસ્પિટલ અને શેઠ ચિનાઈ પ્રસૂતિગૃહના બોર્ડ ઓફ મેનેજમેન્ટમાં રાજેશભાઈ પ્રહલાદભાઈ ઠાકોર, અમિતભાઈ વિનોદભાઈ પરમાર, નીમીતાબેન દીપકભાઈ દેસાઈ, ગીરીશભાઈ ભુરાજી વણઝારા તેમજ કોઓપ્ટ સભ્ય તરીકે ડૉ. હેમંતભાઈ ભટ્ટની નિમણૂક કરવામાં આવી છે.
જ્ઞાતિ અને ઝોનના સંતુલન પર રહ્યો ભાર
આ વખતની કમિટીઓની રચનામાં વિવિધ જ્ઞાતિઓ, વર્ગો અને શહેરના અલગ-અલગ ઝોનનું પ્રતિનિધિત્વ જળવાઈ રહે તેવો પ્રયાસ જોવા મળ્યો છે. છેલ્લા કેટલાક સમયથી OBC અને અન્ય વર્ગોના કોર્પોરેટરોને પૂરતું પ્રતિનિધિત્વ મળતું નથી તેવી ચર્ચાઓ વચ્ચે પાર્ટી દ્વારા અનુભવી અને નવા બંને પ્રકારના કોર્પોરેટરોને સ્થાન આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
રાજકીય વિશ્લેષકોના મતે, AMCની નવી કમિટીઓની રચના આગામી સમયના કોર્પોરેશનના રાજકીય અને વહીવટી દિશા-નિર્દેશ નક્કી કરવામાં મહત્વની સાબિત થશે. ખાસ કરીને પાણી, માર્ગ, આરોગ્ય અને ટાઉન પ્લાનિંગ જેવી મહત્વની કમિટીઓના નવા ચેરમેન સામે હવે શહેરના વિકાસને વધુ ગતિ આપવાનો પડકાર રહેશે.





