વાઘોડિયા રોડ પર રવાલ ચોકડી નજીક આજે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આજવા–નિમેટા રોડ પર રવાલ ક્રોસિંગ પાસે વળાંક લઈ રહેલા ટેલર સાથે પાછળથી આવતી સીટી બસ અથડાતાં બસ રોડની બાજુની વરસાદી કાંસમાં ખાબકી ગઈ હતી. બસમાં મુસાફરી કરી રહેલી એક મહિલાનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત થયું હતું, જ્યારે ચારથી પાંચ જેટલા મુસાફરોને નાની-મોટી ઈજાઓ પહોંચી હતી.
પ્રાપ્ત માહિતી મુજબ, સીટી બસ વડોદરાથી આજવા તરફ જઈ રહી હતી. બસમાં અંદાજે 15 જેટલા મુસાફરો સવાર હતા. રવાલ ક્રોસિંગ નજીક રસુલાબાદ તરફના વળાંકમાં આગળ જઈ રહેલ ટેલર વળાંક લઈ રહ્યો હતો, તે દરમિયાન પાછળથી આવતી બસના ચાલકે બેફામ ઝડપે બસ હંકારતા ઓવરટેક કરવાનો પ્રયાસ કર્યો હતો. પરિણામે બસ ટેલરના પાછળના ભાગે જોરદાર રીતે અથડાઈ હતી. અથડામણ બાદ બસનું સંતુલન બગડતાં તે રોડની બાજુમાં આવેલી વરસાદી કાંસમાં ખાબકી ગઈ હતી, જેના કારણે બસમાં બેઠેલા મુસાફરોની ચીચીયારીઓથી સમગ્ર વિસ્તાર ગુંજી ઉઠ્યો હતો.
બસમાં ડ્રાઈવર સીટ નજીક બેઠેલી એક વૃદ્ધ મહિલાને ચહેરા અને માથાના ભાગે ગંભીર પ્રકારની ઈજાઓ પહોંચી હતી. મહિલાનું મોઢું ગંભીર રીતે છુંદાઈ જતાં ઘટનાસ્થળે જ તેમનું કરુણ મોત નીપજ્યું હતું. જ્યારે બસમાં બેઠેલા અન્ય પાંચથી સાત મુસાફરોને હાથ, પગ અને શરીરના અન્ય ભાગોમાં ઈજાઓ પહોંચી હતી.
ઘટનાની જાણ થતાં સ્થાનિક રાહદારીઓએ તાત્કાલિક વાઘોડિયા પોલીસ તથા ઇમરજન્સી સેવા 108ને જાણ કરી હતી. થોડી જ વારમાં ઘટનાસ્થળે એક પછી એક એમ્બ્યુલન્સની સાયરનો સંભળાવા લાગી હતી.ઘાયલ મુસાફરોને 108 એમ્બ્યુલન્સ મારફતે વડોદરાની એસએસજી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
પોલીસ તપાસમાં અકસ્માતમાં મોતને ભેટેલી મહિલાની ઓળખ વાઘોડિયાના જુના રામપુરા વિસ્તારમાં રહેતા ચંપાબેન મહેશભાઈ વસાવા તરીકે થઈ હતી. મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે જરોદ રેફરલ હોસ્પિટલ ખાતે મોકલવામાં આવ્યો હતો. અકસ્માત બાદ બસનો ચાલક અને કંડકટર ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા હોવાનું જાણવા મળ્યું છે. ટેલર ટ્રકના ચાલક ક્રિષ્નાસિંગ તીર્થરાજસિંહ ચૌહાણ મૂળ મધ્યપ્રદેશનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે. વાઘોડિયા પોલીસે ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.





















