દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં વેસ્ટ ઈન્ડિઝ સામે ચાલી રહેલી ટેસ્ટ મેચમાં ભારતીય ઓપનિંગ બેટ્સમેન યશસ્વી જયસ્વાલે શાનદાર પ્રદર્શન કર્યું છે. ભારતની પહેલી ઇનિંગમાં યશસ્વીએ 258 બોલનો સામનો કર્યો અને 22 ચોગ્ગા ફટકારીને 175 રન બનાવ્યા. 23 વર્ષીય ખેલાડી પાસે ડબલ-સેંચુરી ફટકારવાની તક હતી પરંતુ તે રન આઉટ થઈ ગયો.
યશસ્વી જયસ્વાલ કેવી રીતે થયો રનઆઉટ
ભારતની ઇનિંગની 92 મી ઓવરના બીજા બોલ પર જયસ્વાલ રન આઉટ થયો. હકીકતમાં, બોલર સીલ્સે ઓફ-સ્ટમ્પની બહાર થોડો ફુલર બોલ ફેંક્યો, જેને જયસ્વાલે મિડ-ઓફ તરફ રમ્યો અને રન માટે દોડ્યો, પરંતુ ગિલે રસ દાખવ્યો નહીં. જોકે, ત્યાં સુધીમાં, જયસ્વાલ ક્રીઝ છોડી ચૂક્યો હતો. જયસ્વાલ હાફવે પોઇન્ટથી પાછો ફર્યો પરંતુ સમયસર ક્રીઝ સુધી પહોંચવામાં નિષ્ફળ ગયો. ગિલ અને જયસ્વાલ વચ્ચે ગેરસમજને કારણે યશસ્વી જયસ્વાલ ડબલ-સેંચુરી ફટકારવાથી ચૂકી ગયો. ગિલ એકદમ નિરાશ દેખાતો હતો અને કદાચ જયસ્વાલને કહી રહ્યો હતો કે રનની કોઈ જરૂર નથી, જયસ્વાલે શોટ રમતા જ દોડવાનું શરૂ કરી દીધું હતું. બંને વચ્ચે થોડી વાતચીત થઈ પણ અંતે યશસ્વી જયસ્વાલ નિરાશ થઈને પેવેલિયન પરત ફર્યો.
રિચાર્ડ ઇલિંગવર્થે થર્ડ-અમ્પાયરની મદદ વગર આઉટ જાહેર કર્યો
ઓન-ફિલ્ડ અમ્પાયર રિચાર્ડ ઇલિંગવર્થે ઝડપથી આંગળી ઉંચી કરી. જોકે, અહીં રિચાર્ડ ઇલિંગવર્થને થર્ડ-અમ્પાયર પાસે જવું જોઈતું હતું કારણ કે, મામલો ખૂબ જ ક્લોઝ હતો. યશસ્વી જયસ્વાલ સ્પષ્ટપણે ક્રીઝની બહાર હતો, પરંતુ વેસ્ટ ઈન્ડિઝના વિકેટકીપર ટેવિન ઈમલાચે લગભગ ભૂલ કરી નાખી હતી. વેસ્ટ ઈન્ડિઝની ટીમ પણ આ મામલો થર્ડ અમ્પાયર પાસે જાય તેની રાહ જોઈ રહી હતી, પરંતુ અમ્પાયર રિચાર્ડ ઇલિંગવર્થે આંગળી ઉંચી કરી. આઉટ થયા પછી, યશસ્વી જયસ્વાલ થોડીવાર મેદાન પર રહ્યા, પરંતુ પછી મેદાન છોડીને પેવેલિયન પાછો ફર્યો. અમ્પાયર રિચાર્ડ ઇલિંગવર્થે તેને પેવેલિયન પાછા ફરવાનો આદેશ આપ્યો.