રાજકારણમાં અનેક મુદ્દાઓ આવે છે અને સમય જતાં વિલીન થઈ જાય છે. પરંતુ કેટલાક મુદ્દાઓ માત્ર ચૂંટણી જીતવા પૂરતા મર્યાદિત નથી હોતા, તેઓ સમાજની સ્મૃતિ, સામૂહિક ઓળખ અને સમગ્ર રાજકીય નકશાને ધરમૂળથી બદલી નાખે છે. અયોધ્યાનું રામ જન્મભૂમિ આંદોલન ભારતીય રાજનીતિમાં આવો જ એક સીમાચિહ્નરૂપ મુદ્દો સાબિત થયો.
કોઈકના માટે આ આસ્થા, ગૌરવ અને સદીઓની પ્રતીક્ષાનો અંત હતો, તો વળી કોઈના માટે ભારતના ધર્મનિરપેક્ષતાના વચન સામે ઊભો થયેલો એક જટિલ પ્રશ્ન હતો. અને ભાજપ માટે? આ મુદ્દાએ એક એવી પ્રખર રાજકીય ઊર્જાનો સંચાર કર્યો, જેણે માત્ર બે બેઠકો ધરાવતી નવીસવી પાર્ટીને રાષ્ટ્રીય સત્તાના કેન્દ્રબિંદુ સુધી પહોંચાડવામાં ઐતિહાસિક ભૂમિકા ભજવી.
રાજકીય પ્રવાસનું આ પ્રકરણ અત્યંત સંવેદનશીલ છે, કારણ કે અહીં આસ્થા, ઇતિહાસ, કાયદો, હિંસા અને ચૂંટણીની ગણતરીઓ તો છે જ, સાથે સાથે ભારતના આત્મા અને તેની વૈચારિક દિશા અંગેનો એક મોટો પ્રશ્ન પણ સંકળાયેલો છે.

અયોધ્યા: માત્ર એક શહેર નહીં, એક રાજકીય પ્રતીક
હિંદુ ધાર્મિક પરંપરામાં અયોધ્યા ભગવાન શ્રીરામની પવિત્ર જન્મભૂમિ તરીકે પૂજનીય છે, જ્યારે બીજી તરફ, ત્યાં સ્થિત બાબરી મસ્જિદને મુસ્લિમ પક્ષ ઇસ્લામી ઇબાદતના પવિત્ર સ્થળ તરીકે માનતો હતો. ઇતિહાસના દસ્તાવેજો અનુસાર, આ મસ્જિદનું નિર્માણ આશરે 1528-29માં મુઘલ સમ્રાટ બાબરના સેનાપતિ મીર બાકી દ્વારા કરવામાં આવ્યું હોવાનું નોંધાયું છે. કાળક્રમે આ સ્થળ બંને સમુદાયો વચ્ચેના પરસ્પર દાવાઓ અને કાનૂની વિવાદનું મુખ્ય કેન્દ્ર બની ગયું.
આ વિવાદની કાનૂની યાત્રા પણ અત્યંત દીર્ઘ અને ગૂંચવણભરી રહી છે. વર્ષ 1885માં મહંત રઘુબર દાસે વિવાદિત પરિસરની બહાર છત અથવા ચબૂતરા પર મંદિર બનાવવાની મંજૂરી મેળવવા માટે પ્રથમ નોંધપાત્ર સિવિલ દાવો કર્યો હતો. ત્યારબાદ, ડિસેમ્બર 1949માં મસ્જિદના કેન્દ્રીય ગુંબજ નીચે રામલલ્લાની મૂર્તિઓ પ્રગટ થવા કે સ્થાપિત થવાની ઘટના બની, જેના કારણે કાયદો-વ્યવસ્થા જાળવવા તત્કાલીન વહીવટીતંત્રે આ સ્થળને વિવાદિત જાહેર કરી ત્યાં તાળાં લગાવી દીધાં. વર્ષ ૧૯૫૦, 1959 અને 1961માં અલગ-અલગ હિંદુ અને મુસ્લિમ પક્ષો (જેમ કે સુન્ની સેન્ટ્રલ વકફ બોર્ડ અને નિર્મોહી અખાડા) દ્વારા અદાલતમાં હક્ક દાવાઓ દાખલ કરવામાં આવ્યા. આ રીતે, અયોધ્યા એક ધાર્મિક આસ્થાના કેન્દ્રમાંથી ધીમે ધીમે કોર્ટરૂમ, ત્યારબાદ રસ્તા પરના જનઆંદોલન અને અંતે દેશના ચૂંટણી મંચના કેન્દ્રસ્થાને આવી ગયું.
વાંચો આ સીરિઝનો ભાગ-1: 'માત્ર બે બેઠકોના શૂન્યાવકાશથી સત્તાના શિખર સુધી...' : ભારતીય રાજકારણનો નકશો બદલી નાખનારી ભાજપની ઐતિહાસિક સફર
વાંચો આ સીરિઝનો ભાગ-2: કેવી રીતે થયો વિશ્વની સૌથી મોટી રાજકીય પાર્ટીનો ઉદય? : ભાજપ પૂર્વે શું હતું? જાણો જનસંઘથી શરૂ થયેલા ભાજપના સંઘર્ષની કહાની
1980નો દાયકો: જ્યારે તાળું ખૂલ્યું અને આંદોલન રસ્તા પર આવ્યું
વર્ષ 1984માં વિશ્વ હિંદુ પરિષદ (VHP) દ્વારા રામ જન્મભૂમિ આંદોલનને વધુ સુઆયોજિત અને વ્યાપક સ્વરૂપ આપવાની શરૂઆત થઈ. એ સમયે ભારતીય જનતા પાર્ટી એક નવજાત પક્ષ હતો જેની સ્થાપના ૧૯૮૦માં થઈ હતી અને 1984ની સહાનુભૂતિની લહેરમાં યોજાયેલી લોકસભા ચૂંટણીમાં તેને માત્ર 2 બેઠકો મળી હતી. આ તબક્કે પાર્ટી રાષ્ટ્રીય સ્તરે પોતાની મજબૂત રાજકીય ઓળખ શોધી રહી હતી.
વર્ષ 1986માં ફૈઝાબાદની જિલ્લા અદાલતના ઐતિહાસિક આદેશ બાદ વિવાદિત સ્થળના તાળાં ખોલવામાં આવ્યા અને હિંદુઓને પૂજા-દર્શન કરવાની છૂટ મળી. આ એક એવી ઘટના હતી જેણે સ્થાનિક સ્તરના આ વિવાદને રાષ્ટ્રીય વિમર્શમાં ધકેલી દીધો. ત્યારબાદ, વર્ષ 1989માં થયેલા શિલાન્યાસ અને એ જ વર્ષે જૂન મહિનામાં હિમાચલ પ્રદેશના પાલમપુરમાં પસાર કરાયેલા ભાજપના પ્રસ્તાવ (Palampur Resolution) આ બંને ઘટનાઓએ આ આંદોલનને એક સ્પષ્ટ રાજકીય દિશા આપી. ભાજપે અયોધ્યા આંદોલનને પોતાનું સત્તાવાર અને પૂર્ણ રાજકીય સમર્થન જાહેર કર્યું.
આ નિર્ણય માત્ર કોઈ અલ્પકાલીન ચૂંટણી રણનીતિ નહોતો, પરંતુ ભાજપે આ મુદ્દાને પોતાના મુખ્ય સૈદ્ધાંતિક હાર્દ એટલે કે “સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ” અને “હિંદુ જનભાવના”ના પ્રતીક તરીકે સ્વીકાર્યો. આ રાજકીય ભાષા કોંગ્રેસની પરંપરાગત ધર્મનિરપેક્ષતાની રાજનીતિ કરતાં બિલકુલ ભિન્ન હતી. પરિણામે, દેશના બહુમતી મતદારોના એક મોટા વર્ગને લાગ્યું કે લાંબા સમય બાદ કોઈ રાષ્ટ્રીય પક્ષ તેમની ધાર્મિક અને સાંસ્કૃતિક લાગણીઓને સીધી રીતે મુખ્યધારાના રાજકીય મંચ પર લાવ્યો છે.
અડવાણીની રથયાત્રા: આંદોલનને જનમાનસ સુધી પહોંચાડનાર ક્ષણ
આ શ્રેણીના પાછલા ભાગમાં આપણે લાલકૃષ્ણ અડવાણીના રાજકીય પ્રદાનની ચર્ચા કરી હતી. પ્રસ્તુત પ્રકરણમાં તેમની ઐતિહાસિક ‘રથયાત્રા’ ફરીથી કેન્દ્રસ્થાને આવે છે. 25 સપ્ટેમ્બર 1990 ના રોજ પંડિત દીનદયાળ ઉપાધ્યાયની જયંતી નિમિત્તે અડવાણીએ ગુજરાતના પવિત્ર જ્યોતિર્લિંગ સોમનાથથી ઉત્તર પ્રદેશના અયોધ્યા સુધીની ભવ્ય રથયાત્રાનો પ્રારંભ કર્યો. આ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ્ય રામ મંદિરના નિર્માણ માટે રાષ્ટ્રવ્યાપી જનસમર્થન અને જાગૃતિ ઊભી કરવાનો હતો.
આ રથયાત્રા માત્ર કોઈ સામાન્ય ભૌગોલિક પ્રવાસ નહોતી, પરંતુ એક શક્તિશાળી રાજકીય અને વૈચારિક સંદેશ વહન કરતી ગતિશીલ મહાયાત્રા બની રહી. હજારો ગામો-શહેરો, જોશીલી જનસભાઓ, ‘સૌગંધ રામ કી ખાતે હૈં...’ જેવા ગુંજતા સૂત્રો, પ્રબળ ધાર્મિક ઉભરો અને વ્યાપક મીડિયા કવરેજે ભાજપ તેમજ સંઘ પરિવારના કાર્યકરોમાં અભૂપૂર્વ ઊર્જાનો સંચાર કર્યો.
લાલકૃષ્ણ અડવાણીની ખરી કુશળતા એ હતી કે તેમણે પાર્ટીના સામાન્ય કાર્યકર્તાઓને માત્ર મત મેળવવાના સાધન તરીકે નહીં, પરંતુ એક મહાન સાંસ્કૃતિક ‘મિશન’ના સક્રિય ભાગીદાર તરીકે સજ્જ કર્યા. આનાથી ભાજપના કેડર (પાયાના કાર્યકરો)માં એક આંદોલનાત્મક તીવ્રતા અને સમર્પણની ભાવના આવી, જે આગળ જતાં બૂથ સ્તર સુધી સંગઠનાત્મક મજબૂતીમાં પરિવર્તિત થઈ.
આંકડાઓ શું કહે છે?
રામ જન્મભૂમિ આંદોલનનો ભાજપના રાજકીય ઉદય પર કેવો અને કેટલો પ્રભાવ પડ્યો, તે સમજવા માટે ભારતીય ચૂંટણી પંચ (Election Commission of India)ના સત્તાવાર આંકડાઓનું વિશ્લેષણ અનિવાર્ય છે. વર્ષ 1984ની લોકસભા ચૂંટણીમાં જે ભાજપ પાસે માત્ર 2 બેઠકો હતી, તે 1989ની સામાન્ય ચૂંટણીમાં અસાધારણ ઉછાળા સાથે 85 બેઠકો પર પહોંચી ગઈ. ત્યારબાદ, 1991ની ચૂંટણીમાં ભાજપે 120 બેઠકો પ્રાપ્ત કરીને રાષ્ટ્રીય રાજકારણમાં કોંગ્રેસ સામેના મુખ્ય વૈકલ્પિક પક્ષ તરીકે પોતાની દાવેદારી મજબૂત કરી. વર્ષ 1996ની ચૂંટણી સુધી પહોંચતા તો ભાજપ 161 બેઠકો મેળવીને લોકસભામાં સૌથી મોટા પક્ષ તરીકે ઉભરી આવ્યો. આ આંકડાઓ ભારતના રાજકીય ઇતિહાસમાં ભાજપના આક્રમક અને વ્યાપક વિસ્તરણની સ્પષ્ટ સાક્ષી પૂરે છે.
પરંતુ એક નિષ્પક્ષ રાજકીય વિશ્લેષણ માટે એક મહત્વની બાબત સ્પષ્ટ કરવી જરૂરી છે કે ભાજપનો આ ઉદય કેવળ રામ મંદિર આંદોલનના કારણે જ થયો, તેવું તારણ અધૂરું ગણાશે. એ ગાળામાં બોફોર્સ કૌભાંડના લીધે તત્કાલીન કોંગ્રેસ સરકારની રાજકીય વિશ્વસનીયતા ઝડપથી ઘટી રહી હતી. વળી, વી. પી. સિંહ સરકાર દ્વારા મંડલ કમિશનની ભલામણોના અમલને કારણે દેશભરમાં જ્ઞાતિ આધારિત રાજકારણ અત્યંત તીવ્ર બન્યું હતું, જેના પ્રત્યાઘાતરૂપે હિંદુ મતોના વ્યાપક એકીકરણ માટે રામ મંદિર આંદોલન એક મોટું પરિબળ સાબિત થયું. એકતરફ કોંગ્રેસ વિરોધી મતો એકત્રિત થઈ રહ્યા હતા, પરંતુ આ તમામ રાજકીય પરિબળોની વચ્ચે રામ મંદિર આંદોલને ભાજપને એક એવો ભાવનાત્મક, વ્યાપક અને રાષ્ટ્રીય સ્તરે સરળતાથી સમજાય તેવો મજબૂત મુદ્દો પૂરો પાડ્યો, જેણે જનસામાન્યને સીધા પક્ષ તરફ આકર્ષ્યા.
વાંચો આ સીરિઝનો ભાગ-3: નેહરુ કેબિનેટનું મંત્રીપદ ઠુકરાવી ભોગવ્યો જેલવાસ! : રાષ્ટ્રવાદ માટે નાંખ્યો જનસંઘનો પાયો, બસ ત્યાંથી શરૂ થઈ દુનિયાના સૌથી મોટા રાજકીય પક્ષની વિચારયાત્રા
વાંચો આ સીરિઝનો ભાગ-4: 'સબકા સાથ, સબકા વિકાસ'ના અસલી જનક કોણ? : ભાજપ આજે જે બોલે છે, તેનું બીજ દાયકાઓ પહેલાં કોણે વાવ્યું હતું!
વાંચો આ સીરિઝનો ભાગ-5: ઇમરજન્સીએ ઉતાર્યો "India is Indira, and Indira is India" નો ફાંકો : “સિંહાસન ખાલી કરો કે જનતા આતી હૈ.” ના નારાએ રોપ્યું ભાજપના ઉદયનું બીજ
6 ડિસેમ્બર 1992: જીતનો દાવો કે રાષ્ટ્રના ઇતિહાસનો ઘા?
6 ડિસેમ્બર 1992નો એ દિવસ ભારતના આધુનિક રાજકીય અને સામાજિક ઇતિહાસની સૌથી વધુ ચર્ચિત, વિવાદાસ્પદ અને વળાંક સમાન ક્ષણ બની રહ્યો, જ્યારે અયોધ્યામાં એકત્રિત થયેલા કારસેવકો દ્વારા બાબરી મસ્જિદના વિવાદિત માળખાને તોડી પાડવામાં આવ્યું. વર્ષ 2019માં ભારતના માનનીય સર્વોચ્ચ ન્યાયાલયે (Supreme Court) પોતાના ઐતિહાસિક ચુકાદામાં સ્પષ્ટ શબ્દોમાં આ ઘટનાની ગંભીરતા નોંધી હતી કે, 6 ડિસેમ્બર 1992ના રોજ મસ્જિદના માળખાને ધ્વંસ કરવાનું કૃત્ય કાયદાના શાસન (Rule of Law)નો ગંભીર ભંગ હતો. કોર્ટે 1949ની મૂર્તિ સ્થાપના અને 1992ના ધ્વંસ બંનેને કાનૂની દ્રષ્ટિએ ગેરકાયદેસર ઠેરવ્યા હોવા છતાં, જમીનની અંતિમ માલિકીનો ચુકાદો પુરાતત્વીય પુરાવાઓ, અવિરત કબજો અને કાનૂની દલીલોના સાર્વત્રિક મૂલ્યાંકનના આધારે આપ્યો હતો.
આ ઢાંચાના ધ્વંસ બાદ દેશભરમાં ભયાનક કોમી રમખાણો અને વૈચારિક તણાવ ફાટી નીકળ્યા. ભાજપ માટે આ સમયગાળો એક જટિલ રાજકીય દ્વંદ્વ સમાન હતો. એક તરફ, પક્ષના કટ્ટર સમર્થકો અને હિંદુ સંગઠનો આ ઘટનાને સદીઓ જૂના સાંસ્કૃતિક અન્યાય અને ધાર્મિક પુનરુત્થાનની લડતના એક અનિવાર્ય તબક્કા તરીકે જોતા હતા; જ્યારે બીજી તરફ, રાજકીય વિવેચકો અને વિપક્ષો માટે આ ઘટના ભારતીય બંધારણની ધર્મનિરપેક્ષતા, ન્યાયતંત્ર અને કાયદાના શાસન સમક્ષ ઊભો થયેલો એક અત્યંત ગંભીર પડકાર હતો.
ત્યારબાદ, વર્ષ 2020માં વિશેષ સીબીઆઈ (CBI) અદાલતે બાબરી ધ્વંસના ફોજદારી કેસમાં લાલકૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી અને ઉમા ભારતી સહિત તમામ 32 અગ્રણી આરોપીઓને પૂરતા પુરાવાના અભાવે નિર્દોષ જાહેર કર્યા હતા. આ સમગ્ર ઘટનાક્રમ પરથી સ્પષ્ટ થાય છે કે, અયોધ્યા આંદોલને ભાજપને ચૂંટણીની દ્રષ્ટિએ અભૂપૂર્વ શક્તિ તો આપી, પરંતુ સાથે જ તે ભારતીય લોકશાહીના ઇતિહાસમાં કાનૂની પડકારો, નૈતિક મૂલ્યો અને સામાજિક વિમર્શનો એક અત્યંત જટિલ વિષય પણ બની રહ્યું.
હિંદુત્વની રાજકીય શક્તિ: ઓળખનું નવું સમીકરણ
રામ જન્મભૂમિ આંદોલનનું જો કોઈ સૌથી મોટું સામાજિક-રાજકીય પરિણામ આવ્યું હોય તો તે હતું વિખરાયેલી હિંદુ ઓળખનું રાજકીય સ્તરે એકીકરણ. પરંપરાગત રીતે ભારતની હિંદુ સામાજિક વ્યવસ્થા જ્ઞાતિ પ્રથાઓ, પ્રાદેશિક અસ્મિતાઓ, ભાષાકીય ભેદો અને સ્થાનિક રીત-રિવાજોમાં વહેંચાયેલી રહી છે. પરંતુ ભાજપ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) સહિતના સંગઠન પરિવારે ભગવાન શ્રીરામને એક એવા રાષ્ટ્રીય અને સાંસ્કૃતિક પ્રતીક તરીકે પ્રસ્થાપિત કર્યા, જે ઉત્તરથી દક્ષિણ અને ગ્રામીણ ક્ષેત્રોથી લઈને મહાનગરો સુધીના તમામ વર્ગોને એક જ તાંતણે ભાવનાત્મક રીતે જોડી શકે.
આ આંદોલને ભાજપને મુખ્યત્વે ત્રણ પાયાના સ્રોત પૂરા પાડ્યા:
પ્રથમ, એક અજોડ ભાવનાત્મક મુદ્દો: રામ મંદિરનો આ પ્રશ્ન રોજગાર, મોંઘવારી કે સુશાસન જેવા પરંપરાગત અને ચક્રાકાર ચૂંટણી મુદ્દાઓ કરતાં સાવ ભિન્ન હતો. તે સીધો જ હિંદુ અસ્મિતા, સાંસ્કૃતિક ગૌરવ, ધાર્મિક આસ્થા અને ઐતિહાસિક સ્મૃતિઓ સાથે સંકળાયેલો હતો.
દ્વિતીય, પ્રચંડ કાર્યકર્તા ઊર્જા: વિશ્વ હિંદુ પરિષદ, આર.એસ.એસ., બજરંગ દળ અને ભાજપના પાયાના નેટવર્કે ‘રામ શિલા પૂજન’ જેવા કાર્યક્રમો દ્વારા આ મુદ્દાને દેશના ખૂણે-ખૂણે અને ઘેર-ઘેર સુધી પહોંચાડી દીધો, જેનાથી કેડર આધારિત સંગઠન અત્યંત સક્રિય બન્યું.
તૃતીય, સૈદ્ધાંતિક અને રાજકીય સ્પષ્ટતા: ભાજપ તત્કાલીન શાસક પક્ષ કોંગ્રેસના વિકલ્પ તરીકે પોતાની એક અનન્ય છાપ ઊભી કરવા ઈચ્છતો હતો. રામ મંદિર અને હિંદુત્વના આ સૈદ્ધાંતિક પ્લેટફોર્મે ભાજપને ભારતીય રાજનીતિમાં અન્ય પક્ષો કરતાં એક તદ્દન સ્પષ્ટ અને નોખી વિચારધારાત્મક ઓળખ અપાવી.
જોકે, આ રાજકીય શક્તિની એક નકારાત્મક બાજુ પણ સમાંતરે ચાલી રહી હતી તે હતી સામાજિક ધ્રુવીકરણ. દેશના એક મોટા મુસ્લિમ સમુદાય અને ઉદારવાદી-ધર્મનિરપેક્ષ વિચારધારા ધરાવતા નાગરિકો માટે આ આંદોલન અસુરક્ષા, ભય અને સામાજિક બહિષ્કારની આશંકાઓ સાથે પણ જોડાયેલું રહ્યું. તેથી જ, રામ મંદિર આંદોલનની ઐતિહાસિક સમીક્ષા કરતી વખતે બહુમતી સમાજનું સાંસ્કૃતિક ગૌરવ અને લઘુમતી સમુદાયના મનમાં પડેલા ઘા; આ બંને પાસાંને સાથે રાખીને જ મૂલવવું પડે.
વાંચો આ સીરિઝનો ભાગ-6: 6 એપ્રિલ 1980: જનતા પ્રયોગના પતનથી ‘કમળ’ના ઉદય સુધી : ભારતીય જનતા પાર્ટીના જન્મની સંઘર્ષગાથા
વાંચો આ સીરિઝનો ભાગ-7: "હાર નહીં માનુંગા, રાર નહીં ઠાનુંગા" - અટલ બિહારી વાજપેયી : ભારતીય રાજનીતિના એ અજાતશત્રુ, જેમણે ‘કમળ’ને જનતાના હૃદયમાં રોપ્યું
વાંચો આ સીરિઝનો ભાગ-8: 2 બેઠકો પરથી દેશની સત્તા સુધી : જાણો કઈ રીતે અડવાણીની એક યાત્રાએ બદલી નાખ્યો ભારતનો ઇતિહાસ
ભાજપના ઉદયમાં આંદોલનનું સ્થાન
એકંદરે જોતાં, ભાજપની દાયકાઓ લાંબી રાજકીય સફરમાં રામ મંદિર આંદોલન વૈચારિક ધારામાંથી સત્તાના શિખર સુધી પહોંચવાનો એક મજબૂત પુલ સાબિત થયું. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને ભારતીય જનસંઘના પાયાના વિચારો પરથી વર્ષ 1980માં ભાજપનો પુનર્જન્મ થયો હતો. પક્ષે શરૂઆતના વર્ષોમાં અટલબીહારી વાજપેયીના નરમ અને સર્વસમાવેશી નેતૃત્વ હેઠળ “ગાંધીવાદી સમાજવાદ”નો માર્ગ અપનાવ્યો હતો, પરંતુ ૧૯૮૪ની કારમી હાર બાદ પક્ષને પોતાની અસ્તિત્વ રક્ષા અને વિસ્તાર માટે એક પ્રખર રાજકીય ભાષાની તાતી જરૂરિયાત હતી.
લાલકૃષ્ણ અડવાણીએ પક્ષને એ આક્રમક રાષ્ટ્રવાદી ભાષા આપી. રામ મંદિર આંદોલને તેને વ્યાપક જનસમર્થન આપ્યું. અને આર.એસ.એસ. તેમજ ભાજપના અજોડ સંગઠન કૌશલ્યે તે જનઆક્રોશને મતોની ગણતરીમાં પરિવર્તિત કર્યો. અહીંથી જ ભાજપ માત્ર બૌદ્ધિકો કે એક ચોક્કસ વર્ગ પૂરતી સીમિત “વિચારધારાની પાર્ટી” મટીને પ્રચંડ જનઆંદોલન સાથે જોડાયેલી એક અજેય ચૂંટણીશક્તિ બની ગઈ. આ મજબૂત વૈચારિક સંગઠનના આધારે જ આગળ જતાં અટલ બિહારી વાજપેયી જેવા સર્વસ્વીકાર્ય રાષ્ટ્રીય ચહેરાએ ભાજપ વતી ગઠબંધનની રાજનીતિ સફળતાપૂર્વક ચલાવી બતાવી. ત્યારબાદ, આધુનિક સમયમાં નરેન્દ્ર મોદી અને અમિત શાહના યુગમાં ભાજપે પ્રખર રાષ્ટ્રવાદ, છેવાડાના માનવી સુધી પહોંચતી કલ્યાણકારી યોજનાઓ, અપ્રતિમ મજબૂત નેતૃત્વ, પાયાનું સૂક્ષ્મ સંગઠન અને હાઈટેક સંદેશાવ્યવહારના સમન્વયથી આ પક્ષને વિશ્વની સૌથી મોટી અને અત્યંત કાર્યક્ષમ રાજકીય મશીનરીમાં પરિવર્તિત કરી નાખ્યો છે.
2019નો ચુકાદો અને 2024ની પ્રાણ પ્રતિષ્ઠા
9 નવેમ્બર 2019ના રોજ ભારતના ન્યાયિક ઇતિહાસમાં એક અત્યંત મહત્વપૂર્ણ ક્ષણ આવી, જ્યારે Supreme Courtની પાંચ ન્યાયાધીશોની બંધારણીય બેન્ચે અયોધ્યા ભૂમિ વિવાદ પર પોતાનો સર્વસંમત ઐતિહાસિક ચુકાદો સંભળાવ્યો. દેશની સર્વોચ્ચ અદાલતે કેન્દ્ર સરકારને રામ મંદિર નિર્માણ માટે એક સ્વાયત્ત ટ્રસ્ટ રચવાનો માર્ગ આપ્યો અને સમગ્ર વિવાદિત જમીન મંદિર નિર્માણ માટે સોંપી દીધી, જ્યારે સાથે જ સામાજિક ન્યાય અને સંતુલન જાળવવા માટે સુન્ની સેન્ટ્રલ વકફ બોર્ડને અયોધ્યામાં જ યોગ્ય અને પ્રમુખ સ્થળે મસ્જિદ બનાવવા માટે ૫ એકર વૈકલ્પિક જમીન ફાળવવાનો ઐતિહાસિક આદેશ આપ્યો.
આ ન્યાયિક મંજૂરી બાદ, 22 જાન્યુઆરી 2024ના રોજ અયોધ્યામાં ભવ્ય નૂતન મંદિરમાં પ્રભુ શ્રી રામલલ્લાની વિધિવત પ્રાણ પ્રતિષ્ઠા સંપન્ન થઈ, જેમાં દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મુખ્ય યજમાન તરીકે ધાર્મિક વિધિઓમાં ભાગ લીધો. પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો (PIB)ના સત્તાવાર અહેવાલો અનુસાર, આ વૈશ્વિક સ્તરના ઐતિહાસિક મહોત્સવમાં દેશ-વિદેશના 8000થી વધુ અગ્રણી મહાનુભાવો, સાધુ-સંતો અને વિશિષ્ટ આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા અને 23 જાન્યુઆરીથી સામાન્ય ભક્તો માટે દર્શનના દ્વાર ખુલ્લા મૂકવામાં આવ્યા હતા.
નરેન્દ્ર મોદી અને ભાજપ માટે આ ક્ષણ કેવળ એક ધાર્મિક મહોત્સવ નહોતો; પક્ષના કરોડો સમર્થકો માટે આ તેમની ત્રણ દાયકા જૂની રાજકીય-સાંસ્કૃતિક પ્રતિજ્ઞાની પૂર્ણાહુતિ સમાન ઐતિહાસિક સીમાચિહ્ન હતું. ભાજપ માટે આ સફર વર્ષ 1989ના પાલમપુર પ્રસ્તાવથી શરૂ થઈને 2024ના અયોધ્યાના ભવ્ય શિખર સુધી પહોંચવાની વૈચારિક વિજયગાથાનું પ્રતીક બની રહી.
છતાં મતદાર હંમેશા એક જ મુદ્દાથી બંધાતો નથી
જોકે, રામ મંદિર આંદોલન ભલે ગમે તેટલું શક્તિશાળી અને પ્રભાવશાળી રહ્યું હોય, ભારતીય રાજનીતિનું એક સનાતન સત્ય એ પણ છે કે આપણો મતદાર હંમેશા બહુસ્તરીય અને અત્યંત જાગૃત રીતે વિચારે છે. વર્ષ 2024ની લોકસભા ચૂંટણીમાં ભાજપે રાષ્ટ્રીય સ્તરે 240 બેઠકો પ્રાપ્ત કરી અને ગઠબંધન (NDA) સાથે મળીને સ્પષ્ટ બહુમતી મેળવી સત્તા જાળવી રાખી, પરંતુ આ વખતે ભાજપ પોતાના દમ પર એકલ બહુમતી મેળવવામાં ચૂકી ગયો. ભારતીય ચૂંટણી પંચ (ECI)ના વર્ષ 2024ના સત્તાવાર પરિણામોના આંકડા આ જ જનાદેશ દર્શાવે છે.
સૌથી આશ્ચર્યજનક અને પ્રતીકાત્મક પરિણામ અયોધ્યા જેનો એક ભાગ છે તે ફૈઝાબાદ લોકસભા બેઠક પર જોવા મળ્યું, જ્યાં સમાજવાદી પાર્ટીના અવધેશ પ્રસાદે ભાજપના ઉમેદવાર લલ્લુ સિંહને પરાજય આપ્યો. આ ચોંકાવનારા પરિણામે સમગ્ર દેશના રાજકીય વર્તુળોને એક બહુ મોટો સંદેશ આપ્યો કે રાજકારણમાં સાંસ્કૃતિક અને ધાર્મિક પ્રતીકો ચોક્કસપણે પ્રભાવશાળી છે, પરંતુ જમીની સ્તરનો સ્થાનિક જન-અસંતોષ, જટિલ જ્ઞાતિગત સમીકરણો, બેરોજગારી, મોંઘવારી અને ઉમેદવાર વિરોધી લહેર જેવા આર્થિક-સ્થાનિક મુદ્દાઓ પણ ચૂંટણીના પરિણામો નક્કી કરવામાં એટલા જ નિર્ણાયક સાબિત થાય છે.
ભારતીય લોકશાહીની સુંદરતા જ આ છે; કોઈ પણ મુદ્દો ભલે ગમે તેટલો ભાવનાત્મક કે ઐતિહાસિક કેમ ન હોય, સામાન્ય મતદાર જ્યારે પોલિંગ બૂથની અંદર જાય છે ત્યારે તે પોતાના વર્તમાન અને ભવિષ્યનો નવેસરથી જ હિસાબ માંડે છે.
રામ મંદિર આંદોલન આજે કેમ મહત્વનું છે?
આજે ભલે અયોધ્યામાં ભવ્ય રામ મંદિરનું નિર્માણ થઈ ચૂક્યું હોય, પરંતુ તેનાથી તેની ભારતીય રાજનીતિ પરની વ્યાપક અસર સમાપ્ત થઈ ગઈ છે તેમ માનવું ભૂલભરેલું હશે. આ આંદોલને ભાજપની મૂળભૂત રાજકીય ભાષા અને એજન્ડાને કાયમી ધોરણે બદલી નાખ્યા છે. “સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ”, “વૈચારિક ગૌરવ”, “સનાતન પરંપરા” અને “વિકાસ પણ, વિરાસત પણ” જેવા સૂત્રો આજના નવા ભાજપના કેન્દ્રીય સંચાર નો અભિન્ન હિસ્સો છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ સાંસ્કૃતિક ગૌરવની ભાષાને આધુનિક સુશાસન, અત્યાધુનિક ટેકનોલોજી, છેવાડાના માનવી માટેની કલ્યાણકારી યોજનાઓ અને ‘વિકસિત ભારત’ના વૈશ્વિક સ્વપ્ન સાથે ખૂબ જ કુશળતાપૂર્વક જોડે છે; જ્યારે ગૃહમંત્રી અમિત શાહ તેને સંગઠનાત્મક માળખામાં ઉતારી, ચુસ્ત બૂથ મેનેજમેન્ટ દ્વારા પક્ષના અભૂતપૂર્વ રાજકીય વિસ્તરણમાં પરિવર્તિત કરે છે. આ રીતે, રામ મંદિર આંદોલનનો વારસો આજે પણ ભારતીય જનતા પાર્ટીના રાજકીય ડીએનએ (DNA)માં સંપૂર્ણપણે વણાયેલો છે.
પરંતુ લોકશાહીની પ્રકૃતિ એવી છે કે અહીં કોઈ પણ શક્તિ કાયમ માટે નિર્વિવાદ રહી શકતી નથી. આગામી સમયમાં ભાજપ માટે સૌથી મોટો પડકાર એ રહેશે કે તે પ્રખર હિંદુ ઓળખની આ રાજકીય શક્તિ સાથે દેશની સામાજિક સમરસતા, પવિત્ર બંધારણીય મૂલ્યો અને નાગરિકોની આર્થિક વિકાસની આકાંક્ષાઓ વચ્ચે કેવી રીતે તંદુરસ્ત સંતુલન જાળવી રાખે છે. કારણ કે, ભારત જેટલું ઊંડાણપૂર્વક ધાર્મિક છે, તેટલું જ તે આંતરિક રીતે બહુલવાદી અને વિવિધતાસભર દેશ પણ છે.
અંતિમ શબ્દ: અયોધ્યા એ ભારતના રાજકારણનું વળાંકબિંદુ
અંતિમ શબ્દોમાં કહીએ તો, અયોધ્યાના રામ મંદિર આંદોલનને કેવળ એક ક્ષણિક ચૂંટણી અભિયાન તરીકે જોવું એ ખૂબ મોટી રાજકીય નાસમજી ગણાશે. વાસ્તવમાં આ આંદોલન આસ્થા, સામૂહિક ઓળખ, સદીઓ જૂનો ઇતિહાસ, જટિલ કાયદો અને સર્વોચ્ચ સત્તાના સંઘર્ષનું આધુનિક ભારતનું સૌથી મોટું મહાપ્રકરણ હતું.
આ લાંબા સંઘર્ષે જ ભાજપને સામાન્ય શેરીઓથી લઈને લોકસભાના સિંહાસન સુધી પહોંચાડવા માટેની અસાધારણ આંદોલનાત્મક ઊર્જા પૂરી પાડી હતી. તેણે લાલકૃષ્ણ અડવાણી જેવા પ્રખર નેતાને દેશવ્યાપી આંદોલનનો મુખ્ય ચહેરો બનાવ્યા, અટલ બિહારી વાજપેયી યુગના ઉદય માટે મજબૂત જમીની રાજકીય આધાર તૈયાર કર્યો અને અંતે વર્તમાન મોદી યુગમાં પક્ષના દાયકાઓ જૂના સંકલ્પની ભવ્ય પૂર્ણાહુતિનું પ્રતીક બન્યું.
પરંતુ આ ઐતિહાસિક ગાથામાં કેવળ વિજયના નગારા જ નથી; આમાં સર્વોચ્ચ અદાલત દ્વારા અપાયેલી કાનૂની ચેતવણીઓ છે, ભયાનક સામાજિક ધ્રુવીકરણના ડાઘ છે અને લોકશાહીની આંતરિક જટિલતાઓ પણ વણાયેલી છે. કદાચ એ જ મુખ્ય કારણ છે કે, અયોધ્યા આજે પણ ભારતીય રાજનીતિના ફલક પર માત્ર એક ભૌગોલિક શહેર નથી, તે દેશ સામે સતત ઊભો રહેતો એક સનાતન અને ચિંતનશીલ પ્રશ્ન છે કે: ધાર્મિક આસ્થા, ન્યાયિક કાયદો અને સત્તાના રાજકારણ વચ્ચે આ મહાન લોકતાંત્રિક ભારત ભવિષ્યમાં પોતાનું આદર્શ સંતુલન કેવી રીતે જાળવી રાખશે?
આગામી ભાગમાં...
ભાગ 10: ગઠબંધન યુગ — જ્યારે ભાજપે સત્તા સંભાળવાની કળા શીખી
વર્ષ 1996, 1998 અને 1999ની ટૂંકી અને લાંબી સરકારોનો રોમાંચક તબક્કો, રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધન (NDA)નો ઉદય, અટલ બિહારી વાજપેયીની ગઠબંધન ધર્મને કુશળતાપૂર્વક સંભાળવાની અજોડ ક્ષમતા અને દેશના પ્રાદેશિક પક્ષો સાથે ભાજપની નવી રાજકીય મહાયાત્રાનું વિશ્લેષણ.






