Gujarat Local Body Election 2026: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મતદાન પહેલા આયારામ ગયારામની સ્થિતિ જોવા મળી રહી છે. ભાજપના પૂર્વ ધારાસભ્ય કોંગ્રેસમાં જોડાતા રાજકીય ગરમાવો આવી ગયો છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલાં રાજ્યના ખેડા જિલ્લામાંથી મોટા રાજકીય સમાચાર સામે આવ્યાં છે. ખેડા જિલ્લાની માતર વિધાનસભા બેઠક પરથી ભાજપના પૂર્વ ધારાસભ્ય કેસરીસિંહ સોલંકી આજે વિધિવત રીતે કોંગ્રેસમાં જોડાયા છે. અમદાવાદ સ્થિત ગુજરાત કોંગ્રેસના પ્રદેશ કાર્યાલય ખાતે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાના હસ્તે કેસરીએ કેસરીયો છોડી કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો.
આ પણ વાંચોઃ "મારે મોદી સાહેબ અને અમિત શાહ સાથે રહેવું છે" : કોંગ્રેસમાં ઉમેદવાર છેલ્લી ઘડીએ ભાજપમાં! જાણો ધારાસભ્ય અમિત ઠાકરે કેવી રીતે ખેલ પાડ્યો
ઉલ્લેખનીય છેકે, પક્ષ વિરોધી પ્રવૃત્તિ બદલ કેસરીસિંહ સોલંકીની ભાજપમાંથી હકાલપટ્ટી કરવામાં આવી હતી. ખાસ કરીને પૂર્વ કેન્દ્રિય મંત્રી, ખેડા જિલ્લાના સાંસદ અને ભાજપના દિગ્ગજ દેવુંસિંહ ચૌહાણ અને કેસરીસિંહ વચ્ચે ઘણાં સમયથી આંતરિક ગજગ્રાહ ચાલતો હોવાની વાતો અગાઉ ઘણીવાર સામે આવી ચુકી છે. દેવુંસિંહના કારણે જ ભાજપમાંથી કેસરીસિંહને હાંકી કઢાયા હોવાનો આરોપ પણ તેઓ જેતે સમયે લગાવી ચુક્યા છે. કોંગ્રેસમાં જોડાતાની સાથે જ બબ્બે ટર્મથી ભાજપના ધારાસભ્ય રહેલાં કેસરીસિંહે મોટા ખુલાસા કર્યાં છે.
"ભાજપમાં જે ખોટું થતું હતું તે મને સહન નહોંતુ થતું"
કોંગ્રેસનો ખેસ પહેરતાની સાથે જ કેસરીસિંહ સોલંકીએ ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા. કેસરીસિંહ સોલંકીએ જણાવ્યું હતુંકે, હું આજે વિધિવત રીતે કોંગ્રેસમાં જોડાયો છું. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મારા વિસ્તારોમાં બધી સીટો કોંગ્રેસને જીતાડવા પ્રયાસ કરીશ. નિષ્ઠા અને પુરી પ્રામાણિકતાથી કોંગ્રેસમાં કામ કરીશ. તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની મારા વિસ્તારની બધી સીટો કોંગ્રેસ જીતે તેના માટે હું મહેનત કરીશ. છ મહિના પહેલાં અમૂલની ચૂંટણી વખતે હું જાહેરમાં બોલતો હતો. ભાજપનો ધારાસભ્ય હતો ત્યારે પણ હું જાહેરમાં બોલતો હતો. ભાજપમાં જે ખોટું થતું હતું તે મને સહન નહોંતુ થતું એટલે હું બોલતો હતો.
આ પણ વાંચોઃ "મારા મોદીના પગલાં જ્યાં-જ્યાં જાય, ત્યાં-ત્યાં હઉનું હારું થાય" : ભાજપમાંથી ટિકિટ મળતા PM મોદી માટે ગાયું ગીત, સોશિયલ મીડિયા પર આ ચહેરાની ચર્ચા
ભાજપના પૂર્વ ધારાસભ્ય કેસરીસિંહ સોલંકીએ વધુમાં જણાવ્યું કે, ભાજપના ખેડા જિલ્લાના પૂર્વ પ્રમુખે જાહેરમાં કબૂલાત કરી હતી કે, હું રાજનીતિમાં આવીને ભાજપમાં આવીને પૈસા કમાયો છું. ત્યારે પણ મેં કહેલું કે, અમૂલના નામે ગોટાળા ચાલે છે. પશુપાલકોના લોહીના પૈસા નેતાઓ ખાઈ જાય છે. કોંગ્રેસ જે જવાબદારી આપશે એ હું નિભાવીશ. રાજ્ય સભા વખતે પણ હું મતદાન કરવા ગયો હતો. પરંતુ ભાજપને મારા પર શંકા હતી. મારા બે ટર્મના ધારાસભ્ય તરીકેના અનુભવથી હું કહી શકું છુંકે, ભાજપ કોઈને કોઈ રીતે કોંગ્રેસના ઉમેદવારોને ધમકાવે છે.
આ પણ વાંચોઃ અંકિતા પરમારે નોંધાવી ઉમેદવારી : જાણો કોણ છે રીલ્સ સ્ટાર, જેમણે પોર બેઠક પર ભાજપનું જોર વધાર્યું
"ભાજપની દાદાગીરીથી ત્રાંસીને લોકો કોંગ્રેસમાં આવે છે"
ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું છેકે, આખા ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ચાલે છે. ભાજપના દાદાગીરીથી ત્રસ્ત થઈને ખેડા જિલ્લાના કેસરીસિંહભાઈ કોંગ્રેસમાં જોડાયા છે. આજે કોંગ્રેસમાં આવેલ તમામ લોકોનું કોંગ્રેસમાં સ્વાગત કરીએ છીએ. છેલ્લા બે ચાર દિવસ જોઈએ ભાજપના લોકો પ્રચારમાં જઈ રહ્યા છે ત્યા તેને જાકારો આપી રહ્યા છે. પોલીસ, ચૂંટણી અધિકારી ભાજપના માણસો બનીને કામ કરે છે. અનેક જગ્યાએ પોલીસ અધિકારીઓ કોંગ્રેસના ઉમેદવારને હેરાન કરી રહ્યા છે. બુટલેગર જેવા લોકોને લઈને અપક્ષ ઉમેદવાર ઉભા રાખવામાં આવે છે. ચૂંટણી પંચને અગાઉ પણ લેખિત રજૂઆત કરાઈ હતી.
26 તારીખે ભાજપના કાવાદાવાનો હિસાબો થશેઃ અમિત ચાવડા
વધુમાં અમિત ચાવડાએ જણાવ્યું હતુંકે, ચૂંટણી પંચના અધિકારીઓ, પોલીસ અધિકારીઓને પણ કહેવાં માંગીએ છીએ કે લો ઓર્ડર જાળવવા, લોકશાહી બચાવવાની કામ કરવાની હોય છે. આ કામમાં જે લોકો પણ સંડોવાયેલ હશે તેમને આવતા સમયમાં ભોગવવું પડશે. આજે એક બિલ્ડીંગ દ્વારા અમદાવાદના કોંગ્રેસના ઉમેદવારને લાખો રૂપિયા આપીને ખરીદવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. ગઈકાલે પણ અમારા એક ઉમેદવાર ને ખરીદવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આગામી 26 તારીખે ભાજપના આ બધા કાવાદાવાનો હિસાબો થશે.





