Ahmedabad News: ગુજરાતમાં ભ્રષ્ટાચારી સરકારી અધિકારીઓ સામે લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) દ્વારા ચલાવવામાં આવી રહેલી ખાસ ઝુંબેશ અંતર્ગત એક મોટી કાર્યવાહી સામે આવી છે. આણંદના તત્કાલીન નિવાસી અધિક કલેક્ટર (RAC) અને હાલ ફરજ મોકૂફી હેઠળ રહેલા ગુજરાત વહીવટી સેવા, વર્ગ-૧ ના સિનિયર સ્કેલના અધિકારી શ્રીમતી કેતકીબેન વ્યાસ વિરૂદ્ધ કરોડો રૂપિયાની અપ્રમાણસર મિલકત (Disproportionate Assets) વસાવવા બદલ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
કાયદેસરની આવક કરતાં ૬૮.૮૪% વધુ મિલકત મળી
ACB ની અખબારી યાદી મુજબ, કેતકીબેન વ્યાસ સામે ૨૨ મે ૨૦૨૫ ના રોજ આ ગુનો નોંધવામાં આવ્યો છે. તપાસ દરમિયાન સામે આવ્યું છે કે, તેમણે વર્ષ ૨૦૧૨ થી ૨૦૨૩ સુધીના ૧૧ વર્ષના ચેક પિરિયડ (તા.૦૧/૦૪/૨૦૧૨ થી તા.૩૧/૦૩/૨૦૨૩) દરમિયાન પોતાના જાહેર સેવક તરીકેના હોદ્દાનો દુરુપયોગ કર્યો હતો. ઈરાદાપૂર્વક ગેરકાયદેસર રીતે ધનવાન થવા માટે તેમણે પોતાની કાયદેસરની આવકના સ્ત્રોત કરતાં રૂ.૩,૫૬,૦૩,૯૧૦/- (ત્રણ કરોડ છપ્પન લાખ ત્રણ હજાર નવસો દસ રૂપિયા) જેટલી વધુ અપ્રમાણસર મિલકત વસાવી હતી. આ રકમ તેમની કાયદેસરની આવકના પ્રમાણમાં ૬૮.૮૪% જેટલી વધુ થવા જાય છે.
પરિવારના નામે કર્યું રોકાણ
આરોપી કેતકીબેન વ્યાસે ભ્રષ્ટાચાર દ્વારા મેળવેલી આ નાણાકીય રકમ પોતાના તથા પોતાના પરિવારજનોના નામે સ્થાવર અને જંગમ મિલકતોમાં રોકાણ કરી ગુનો કર્યો છે. આ અંગે પ્રાથમિક તપાસ એ.સી.બી. ફીલ્ડ-૧, અમદાવાદના પોલીસ ઇન્સ્પેક્ટર એ.કે. ચૌહાણ દ્વારા કરવામાં આવી હતી, જેનું સુપરવિઝન નાયબ નિયામક (વહીવટ) શ્રીમતી ભારતી પંડ્યાએ કર્યું હતું. હવે આ મામલે ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ-૧૯૮૮ ની વિવિધ કલમો હેઠળ અમદાવાદ એ.સી.બી. પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને આગળની તપાસ અમદાવાદ એકમના મદદનીશ નિયામકને સોંપાઈ છે.
ભ્રષ્ટાચારીઓ સામે માહિતી આપવા ACBનું નાગરિકોને આહવાન
ACB એ જણાવ્યું છે કે સરકારી વિભાગોમાં ભ્રષ્ટાચાર રોકવા અને બેનામી મિલકતો (જેવી કે ખેતીની જમીન, પ્લોટ, મકાન, બેન્ક લોકર વગેરે) શોધી કાઢવા માટે તેઓ કટિબદ્ધ છે. જો કોઈ સરકારી કર્મચારી લાંચ માંગે અથવા અપ્રમાણસર મિલકત ધરાવતો હોય, તો નાગરિકો નીચેના માધ્યમો દ્વારા પુરાવા (CD કે પેનડ્રાઇવ) સાથે સંપર્ક કરી શકે છે:





