Gujarat Local Body Election 2026: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી તોડજોડની રાજનીતિ શરૂ થઈ ચુકી છે. અમદાવાદ મનપામાં સરખેજ વોર્ડમાં કોંગ્રેસના બે ઉમેદવાર સંપર્ક વિહોણા થયા હતા. જેમાંથી છેલ્લી ઘણીએ ફોર્મ ચકાસણીના તુરંત બાદ કોંગ્રેસના ઉમેદવારને બ્રહ્મ જ્ઞાન થયુંકે, મારે નરેન્દ્ર મોદી અને અમિત શાહ સાથે ભાજપમાં હોવું જોઈએ. વિકાસ તો ભાજપમાં જ થઈ રહ્યો છે. એવા વિચાર સાથે એક ઉમેદવારે કોંગ્રેસમાંથી પોતાનું ફોર્મ પરત ખેંચી ભાજપને સમર્થન જાહેર કર્યું છે. આખરે કેવી રીતે ભાજપના ધારાસભ્ય અમિત ઠાકરે જોડતોડની રાજનીતિમાં કોંગ્રેસના ઉમેદવારનો છેલ્લી ઘડીએ ખેલ પાડ્યો? જાણો શું છે સમગ્ર મામલો...
આ પણ વાંચોઃ અશાંતધારાના લીરેલીરા? મકાન ભાડે આપતા પહેલાં આ સમાચાર વાંચી લેજો : અમદાવાદના પોશ વિસ્તારમાં ભાડે રહેતા યુવક-યુવતીઓએ રાત્રે દારૂ પીને કરી ધમાલ
છેલ્લી ઘડીએ કોંગ્રેસના ઉમેદવારને કેમ યાદ આવ્યો ભાજપને વિકાસ?
અમદાવાદના વેજલપુરથી ભાજપના ધારાસભ્ય અમિત ઠાકરે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઉમેદવારી ફોર્મની ચકાસણી બાદ કોંગ્રેસના ઉમેદવારનો ખેલ પાડ્યો. ત્યાર બાદ કોંગ્રેસના ઉમેદવારને પોતાની સાથે ઉભા રાખીને એક વીડિયો બનાવી સમગ્ર વાતનો ખુલાસો કર્યો. વીડિયો મારફતે ભાજપના ધારાસભ્ય અમિત ઠાકરે જણાવ્યુંકે, નરેન્દ્ર મોદીના વિકાસની એક તાકાત છે. અમિત શાહ સરખેજના સાંસદ હોય ત્યારે સરખેજનો જે વિકાસ થયો છે એ પણ સૌએ જોયો છે. કોંગ્રેસ ભરતભાઈ ભરવાડ જેવા જબરદસ્ત યુવાનો સંપર્ક કરીને ફોર્મ ભરાવવામાં સફળ થઈ. પણ ભરતભાઈને ધ્યાનમાં આવ્યું કે મારે મોદી સાહેબના વિકાસ સાથે જ રહેવું જોઈએ તેમને એવો વિચાર આવ્યો.
આ પણ વાંચોઃ મનપાની ચૂંટણી પતાવી દેશે ભાજપના આ ધારાસભ્યોની કારકિર્દી : 2027માં નહીં મળે ટિકિટ! પાર્ટીમાં છેક ઉપર સુધી પહોંચી ફરિયાદો
વેજલપુર MLA અમિત ઠાકરે કોંગ્રેસ ઉમેદવારનો ખેલ પાડ્યો
વધુમાં ધારાસભ્ય અમિત ઠાકરે જણાવ્યુંકે, ફોર્મ ચકાસણીથી ગણતરીની મિનિટોમાં જ કોંગ્રેસના ઉમેદવારને લાગ્યું કે મારે મોદી સાહેબ અને અમિત શાહ સાથે રહેવું છે. તેથી તેમણે પોતાની ઉમેદવારી પાછી ખેંચી. કોંગ્રેસના ઉમેદવાર ભરત ભરવાડને ફોર્મ ચકાસણી બાદ તુરંત લાગ્યું કે, મારે મોદી સાહેબના વિકાસ સાથે રહેવું છે. તો મારે ભાજપના ઉમેદવારને ટેકો કરવો પડે. તેથી તેમણે ફોર્મ ચકાસણી બાદ પોતાનો વિચાર બદલ્યો.
કેવી રીતે પાર પાડવામાં આવ્યું આખું રાજકીય ઓપરેશન?
વેજલપુરથી ભાજપના ધારાસભ્ય અમિત ઠાકરે વધુમાં જણાવ્યુંકે, કોંગ્રેસના ઉમેદવારે છેલ્લી ઘડીએ પોતાનું ફોર્મ પરત ખેંચીને ભાજપને સમર્થન આપવાનો યોગ્ય નિર્ણય લીધો છે. તેથી સ્થાનિક ધારાસભ્ય અને ભાજપના આગેવાન તરીકે હું ભાજપ વિશાળ પરિવારમાં એમનું હું સ્વાગત કરું છું. ભરતભાઈ ભરવાડની શક્તિઓનો આપણે જબરદસ્ત ઉપયોગ કરીશું. તેમના ભાજપમાં આવવાથી ભરવાડ સમાજમાં અને સરખેજમાં ભાજપ વધુ મજબૂત થશે. હું તેમની આખી ટીમનો આભાર માનું છું.





