Ahmedabad News: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના ફોર્મ ભરવાના હવે ગણતરીના કલાકો જ બાકી છે ત્યારે ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. ખાસ કરીને અમદાવાદમાં ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષોમાં ટિકિટ વહેંચણીને લઈ ભારે ખેંચતાણ અને આંતરિક વિખવાદ સપાટી પર આવ્યો છે. ઉમેદવારોના નામ જાહેર થતાની સાથે જ ક્યાંક ખુશી તો ક્યાંક ભારે રોષ જોવા મળી રહ્યો છે.
આ પણ વાંચો: જાણો ભાજપમાંથી કોને-કોને ફોન આવ્યો : ભાજપે પોતાના જ નિયમો નેવે મુક્યા, નો રિપીટ થિયરી ફેલ! રેલો આવતા જૂના જોગીઓ રિપીટ
ખાનપુર કાર્યાલયે હથિયારધારી પોલીસ બંદોબસ્ત ગોઠવાયો
ભાજપના ખાનપુર કાર્યાલયે એક પછી એક ધડાધડ પોલીસની ગાડીઓ આવી અને ચારે બાજુથી કાર્યાલય બહાર ગોઠવાઈ ગઈ. અમદાવાદના ઉમેદવારોને ફોનથી જાણ કરી દેવામાં આવી છે પરંતુ યાદી જાહેર થાય તે પહેલા ભાજપને સુરક્ષાની જરૂર પડી છે. ભાજપના નેતાઓને એવો ડર સતાવી રહ્યો છે કે, ઉમેદવારોની યાદી જાહેર થતાની સાથે જ અસંતુષ્ટ લોકોના ટોળેટોળા કાર્યાલયે આવીને વિરોધ નોંધાવશે. આ દરમ્યાન કોઈ તોડફોડ ન થાય કે કોઈનો રોષ ઉગ્ર ન બને તેને ધ્યાનમાં લઈને હથિયારધારી પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
આ પણ વાંચો: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્વે ચાંદખેડામાં 'લેટર બોમ્બ' : વોર્ડ પ્રમુખે પેરાશૂટ ઉમેદવારો સામે બાયો ચડાવી
અમદાવાદમાં ઉમેદવારોની જાહેરાતને લઈ આંતરિક વિખવાદ
અમદાવાદ મહાનગરપાલિકા માટે ભાજપ પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડમાં ઉમેદવારોના નામ નક્કી કરી દેવામાં આવ્યા છે. આ ઉમેદવારોને ગુરુવારથી જ ફોન દ્વારા જાણ કરવાની શરૂઆત કરી દેવામાં આવી હતી. મોટાભાગના તમામ ઉમેદવારોને ફોન કરીને તૈયારી કરવા સૂચના આપી દેવામાં આવી છે. જો કે યાદી જાહેર ન થાય ત્યાં સુધી આ મામલે કોઈએ પણ કશું કહેવું નહીં તેવી પણ સૂચના આપવામાં આવી છે. આજ મધરાત સુધીમાં અંતિમ યાદી જાહેર કરી દેવામાં આવશે જેને લઈને કોઈ નારાજગી સાથે કે તેમના ટેકેદારો સાથે કાર્યાલયે ધસી જઈ તોડફોડ કે રોષ ન ઠાલવે તે માટે પોલીસ ગોઠવી દેવામાં આવી છે. અમદાવાદમાં ઉમેદવારોની પસંદગીને લઈને ભાજપને ભીંસ પડી ગઈ છે. અમદાવાદના કેટલાક વોર્ડમાં ઉમેદવારોની જાહેરાતને લઈ આંતરિક વિખવાદ સામે આવ્યો છે.
આ પણ વાંચોઃ પોતાને કેમ ટિકિટ મળી એ મુદ્દે અંકિત પરમારે આપ્યું મોટું નિવેદન : "નારાજ નયનાબેનને અમે સમજાવી દઈશું, અને એ સમજી પણ જશે"
ખાનપુર કાર્યાલય ખાતે લોખંડી બંદોબસ્ત
શહેર ભાજપના ગઢ ગણાતા ખાનપુર કાર્યાલય ખાતે પણ સ્થિતિ તંગ છે. અનેક વોર્ડમાં મનપસંદ ઉમેદવારોને ટિકિટ ન મળતા કાર્યકરો રાજીનામાં આપી રહ્યા છે. અસંતુષ્ટ કાર્યકરો મોટી સંખ્યામાં રજૂઆત કરવા અથવા વિરોધ પ્રદર્શન કરવા ઉમટી પડે તેવી શક્યતાને જોતા તંત્ર દ્વારા ખાનપુર કાર્યાલય ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
આ પણ વાંચોઃ ચૂંટણીમાં ભાજપે જે સુંદર ચહેરાને ટિકિટ આપી એ કોણ છે? : જાણો કેમ instagram પર ભાજપના આ ઉમેદવારને લાખો લોકો કરે છે ફોલો
અલ્પેશ ઠાકોરની ઓફિસે કાર્યકરોની બુમાબુમ
અમદાવાદના ચાંદખેડા વોર્ડ માં ભાજપનો આંતરિક વિખવાદ ઉગ્ર બન્યો છે. ચાંદખેડા વોર્ડના પૂર્વ મહામંત્રી વિનોદ વ્યાસ ને ટિકિટ ન મળતા તેમના સમર્થકો અને કાર્યકરોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. આક્રોશિત કાર્યકરોએ ભાજપના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરની ઓફિસે ધસી જઈ શહેર પ્રમુખ કેતન દેસાઈ અને પ્રભારી સામે ઉગ્ર રજૂઆતો કરી હતી. ઓફિસની બહાર કાર્યકરોએ જોરદાર બુમાબુમ કરી પોતાનો વિરોધ નોંધાવ્યો હતો.
આ પણ વાંચોઃ આ સુંદર ચહેરા માટે ભાજપે વર્ષો જૂના કાર્યકરનું પત્તું કાપ્યું : ટિકિટ ના આપી તો નયનાબેન ભાજપને હરાવવા અપક્ષ ચૂંટણી લડશે, 34માંથી 32 નવા ચહેરા!
ટિકિટ વહેંચણીમાં ભાજપ-કોંગ્રેસની મથામણ
આવતીકાલે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ હોવા છતાં હજુ સુધી બંને મુખ્ય પક્ષોની સત્તાવાર યાદીઓ સંપૂર્ણ જાહેર થઈ નથી. પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડ દ્વારા નામો નક્કી કરી દેવાયા છે અને અત્યાર સુધીમાં 42 ઉમેદવારોને ટેલિફોનિક જાણ કરી દેવામાં આવી છે. જોકે, આંતરિક જૂથબંધીને કારણે બાકીના નામોમાં ભારે પેચ ફસાયો છે. કોંગ્રેસમાં હંમેશાની જેમ છેલ્લી ઘડીએ યાદી જાહેર કરવાની પરંપરા જળવાઈ રહી છે. વિવાદ ટાળવા માટે કોંગ્રેસે ઉમેદવારોને સીધા મેન્ડેટ આપવાનું નક્કી કર્યું છે, છતાં વિવાદિત બેઠકો પર હજુ પણ નામ નક્કી થઈ શક્યા નથી.
આ પણ વાંચોઃ 1 M Followers ધરાવતી Social Media Star ને ભાજપે આપી ટિકિટ : શું ચૂંટણીમાં મતદારો પર ચાલશે Influencer અંકિતા પરમારનો જાદુ?
અત્યારે સ્થિતિ એવી છે કે અમદાવાદ અને રાજકોટ જેવા મહાનગરોમાં નેતાઓ પોતાના માનીતાઓને ટિકિટ અપાવવા માટે હાઈકમાન્ડ સામે જીદે ભરાયા છે. હવે જોવાનું એ રહેશે કે આવતીકાલે ફોર્મ ભરવાના અંતિમ દિવસે આ વિવાદ શમે છે કે બળવો વધુ ઉગ્ર બને છે.
આ પણ વાંચોઃ ચાંદખેડા 'ઢોંસાનું ખીરું' કેસના રહસ્ય પરથી આજે ઉચકાઈ શકે છે પડદો : શંકાના દાયરામાં રહેલા બાળકીઓના પિતાને પોલીસે ઉઠાવ્યો





