logo-img
Amit Shah Launches India Maritime Week 2025 In Mumbai

મુંબઈમાં ‘ઇન્ડિયા મેરિટાઇમ વીક 2025’નો અમિત શાહના હસ્તે પ્રારંભ : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ગુજરાતની સમુદ્રી સફળતા અને વિકાસની પ્રભાવક પ્રસ્તુતિ

મુંબઈમાં ‘ઇન્ડિયા મેરિટાઇમ વીક 2025’નો અમિત શાહના હસ્તે પ્રારંભ
Published by: Offbeat Team
| Last Updated: Oct 27, 2025, 10:57 AM IST

ભારત સરકારના પોર્ટ્સ, શિપિંગ એન્ડ વોટરવેઝ મંત્રાલય દ્વારા 27થી 31 ઓક્ટોબર, 2025 દરમિયાન મુંબઈના બોમ્બે એક્ઝિબિશન સેન્ટર ખાતે આયોજિત ‘ઈન્ડિયા મેરિટાઈમ વીક 2025’નું ભવ્ય ઉદઘાટન કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહના હસ્તે થયું. આ વૈશ્વિક સમુદ્રી સમિટમાં ગુજરાત, મહારાષ્ટ્ર, ગોવા અને ઓડિશાના મુખ્યમંત્રીઓની પ્રેરક ઉપસ્થિતિ સાથે 100થી વધુ દેશોના મેરિટાઈમ ઉદ્યોગના નેતાઓ, નવીનતાઓ, રોકાણકારો અને હિતધારકો એક મંચ પર એકત્ર થયા.

ગુજરાત: સમુદ્ર સે સમૃદ્ધિનું દ્વાર

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉદઘાટન સત્રમાં ગુજરાતની સમુદ્રી વિરાસત અને વૈશ્વિક પ્રગતિની પ્રભાવશાળી રજૂઆત કરી. તેમણે જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ ગુજરાતે ‘સમુદ્ર સે સમૃદ્ધિ’નો મંત્ર અપનાવીને રાજ્યના બંદરોને વિકાસના દ્વાર બનાવ્યા છે. ગુજરાતે છેલ્લા બે દશકમાં સમુદ્રી વિકાસની યાત્રા દ્વારા ભારતને વૈશ્વિક મેરિટાઈમ ગેટવે તરીકે સ્થાપિત કર્યું છે.

ગુજરાતની સમુદ્રી સફળતાની વાર્તા

કાર્ગો હેન્ડલિંગમાં અગ્રેસર: ગુજરાતના બંદરો દેશના કુલ કાર્ગો ટ્રાફિકના 40%થી વધુનું સંચાલન કરે છે.

LNG-LPG ક્ષેત્રમાં રાષ્ટ્રીય યોગદાન: દહેજનું LNG ટર્મિનલ દેશના 80%થી વધુ LNG-LPG હેન્ડલિંગનું કેન્દ્ર છે.

શિપ રિસાયક્લિંગમાં વૈશ્વિક નેતૃત્વ: અલંગ શિપ રિસાયક્લિંગ યાર્ડ દેશના 98% જહાજ રિસાયક્લિંગનું સંચાલન કરે છે.

આત્મનિર્ભર ભારતનું સ્વપ્ન: ગુજરાતમાં વિકસિત ચીપ અને શિપ બનાવવાની ઇકોસિસ્ટમ વડાપ્રધાનના આત્મનિર્ભર ભારતના સંકલ્પને મજબૂતી આપે છે.

મેરિટાઈમ અમૃતકાલ વિઝન 2047

મુખ્યમંત્રીએ જણાવ્યું કે, વડાપ્રધાનના મેરિટાઈમ અમૃતકાલ વિઝન 2047ને સાકાર કરવા ગુજરાતે મેજર અને નોન-મેજર બંદરોની ક્ષમતા વધારીને 2047 સુધીમાં 3,000 MMTPAનું લક્ષ્ય નિર્ધારિત કર્યું છે. રાજ્યમાં મેરિટાઈમ ઇનોવેશન, કૌશલ્ય વિકાસ અને બ્લૂ ઇકોનોમીને પ્રોત્સાહન આપવા સમગ્ર ઇકોસિસ્ટમને મજબૂત કરવામાં આવી રહી છે.

લોથલ: સમુદ્રી વિરાસતનું પ્રતીક

મુખ્યમંત્રીએ ઉલ્લેખ કર્યો કે, વિશ્વના સૌથી પ્રાચીન ડૉકયાર્ડ લોથલ ખાતે નેશનલ મેરિટાઈમ હેરિટેજ કૉમ્પલેક્સનું નિર્માણ થઈ રહ્યું છે, જે વડાપ્રધાનના ‘વિકાસ ભી, વિરાસત ભી’ના વિઝનને મૂર્તિમંત કરે છે.

બ્લૂ ઇકોનોમી અને રોજગાર સર્જન

ગુજરાતે સાગરમાલા પ્રોજેક્ટ હેઠળ બંદર આધુનિકીકરણ, કનેક્ટિવિટી અને સ્માર્ટ ઔદ્યોગિક બંદર શહેરોના વિકાસ પર ઝડપથી કામ કર્યું છે. અલંગ ખાતે 40,000થી વધુ યુવાનોને કૌશલ્યવર્ધન પ્રશિક્ષણ આપવામાં આવ્યું છે, જે શિપ રિસાયક્લિંગ ક્ષેત્રે રોજગાર અને સુરક્ષાને વેગ આપશે. વૈશ્વિક શિપબિલ્ડિંગમાં ભારતનું સ્થાન

મુખ્યમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું કે, વડાપ્રધાનના નેતૃત્વમાં ભારતને વિશ્વના ટોચના પાંચ શિપબિલ્ડિંગ દેશોમાં સામેલ કરવાનું લક્ષ્ય છે. આ માટે ગુજરાત શિપયાર્ડ્સની ક્ષમતા વધારવા અને સહાયક નીતિ ઢાંચો તૈયાર કરી રહ્યું છે.

સહિયારા પ્રયાસોનું આહ્વાન

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાનના વિકસિત અને આત્મનિર્ભર ભારતના વિઝનને હાંસલ કરવા મેરિટાઈમ ક્ષેત્રના સર્વસમાવેશી વિકાસ પર ભાર મૂક્યો અને વિઝન 2047ને સાકાર કરવા સૌને સહયોગનું આહ્વાન કર્યું.

આ પ્રસંગે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડનવીસ, ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંત, ઓડિશાના મુખ્યમંત્રી મોહનચરણ માંઝી, કેન્દ્રીય રાજ્યમંત્રી શાંતનુ ઠાકુર, મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રીઓ એકનાથ શિંદે અને અજિત પવાર સહિત અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now