Ahmedabad Chandkheda Crime Case Update: અમદાવાદના ચાંદખેડાના 'ઢોંસાનું ખીરું' કેસમાં સતત નવા ઘટસ્ફોટ થઈ રહ્યાં છે. જેને કારણે રોજ પોલીસની તપાસની દિશા બદલાઈ રહી છે. જોકે, પોલીસ પણ હવે એક વાત સમજી ગઈ છેકે, આ એક ક્રાઈમ સીન છે. અહીં જે બહારથી દેખાય છે એવું સરળ કંઈ નથી. તેથી જ હવે આ કેસમાં તપાસનો રેલો માતા-પિતા બાદ છેક દાદા-દાદી સુધી પહોંચ્યો છે. એક તરફ બાળકીઓની માતાની ડાયરીમાંથી ચોંકાવનારા ખુલાસા થયા તો બીજી તરફ FSLના રિપોર્ટે આખા કેસને નવો વળાંક આપી દીધો.
આ પણ વાંચોઃ ઘર ખરીદવાનું વિચારી રહ્યાં છો? તો ફટાફટ કરજો...! : અમદાવાદમાં પ્રોપર્ટી-રોજગારીમાં આવશે મોટો ઉછાળો, આ એક કારણથી બદલાશે નસીબ
અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં આવેલી મારુતિ પ્લાઝા સોસાયટીની એ સાંજ સામાન્ય હતી, પણ કોઈને કલ્પના નહોતી કે એક ઘરનું ભોજન કાળ બનીને ત્રાટકશે. જે ઘટનાને શરૂઆતમાં ફૂડ પોઈઝનિંગનો સાદો કિસ્સો માનવામાં આવતો હતો, તે હવે એક ભયાનક રહસ્યનું સ્વરૂપ ધારણ કરી ચૂક્યું છે. બે માસૂમ બાળકીઓના મોત અને તપાસમાં બહાર આવેલા તથ્યોએ પોલીસની ઉંઘ ઉડાવી દીધી છે. અત્યારે સ્થિતિ એ છે કે મેડિકલ રિપોર્ટ્સ અને પિતાના નિવેદનોમાં જમીન-આસમાનનું અંતર જોવા મળી રહ્યું છે, જેના કારણે સત્ય શોધવા માટે હવે પોલીસને લાઈ ડિટેક્શન ટેસ્ટ જેવા આખરી હથિયારનો સહારો લેવો પડી રહ્યો છે.
આ પણ વાંચોઃ અમદાવાદ ચાંદખેડા 'ઢોંસાનું ખીરું' કેસમાં મોટો ટ્વિસ્ટ : બાળકીના પિતાની પૂછપરછ બાદ માતા પણ શંકાના દાયરામાં
અમદાવાદના ચાંદખેડામાં ઢોંસાના ખીરાથી બે બાળકીના શંકાસ્પદ મોત મામલે ઘુંટાતા રહસ્યનો ભેદ ઉકેલવા માટે મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. પોલીસે આ રહસ્યમય ઘટનાનો ભેદ ઉકેલવા માટે લાઈ ડિટેકશન ટેસ્ટ કરાવવાનો નિર્ણય લેવાયો છે. સમગ્ર કેસમાં હવે બાળકીઓના માતા-પિતા અને દાદા-દાદીનો લાઇ ડિટેક્શન ટેસ્ટ કરવામાં આવી શકે છે. ગઈકાલે સમગ્ર કેસ મામલે બાળકીઓના પિતા વિમલ પ્રજાપતિની સતત 9 કલાક સુધી પોલીસ દ્વારા સઘન પૂછપરછ કરવામાં આવી હતી. જેમાં તેણે ઢોંસાના ખરાબ ખીરાનું રટણ ચાલુ રાખ્યું હતું. જેને કારણે હવે બાળકીના FSL રિપોર્ટ આવ્યા બાદ પોલીસ કોર્ટની મંજૂરીથી લાઈ ડિટેકશન ટેસ્ટ કરવામાં આવશે.
આ સમગ્ર મામલો ત્યારે જ પ્રકાશમાં આવ્યો જ્યારે સોલા સિવિલ હોસ્પિટલના ડોક્ટરોએ સમયસૂચકતા દાખવી. ખાનગી હોસ્પિટલોમાં તેને ફૂડ પોઈઝનિંગનો કેસ સમજવામાં આવતો હતો, પણ સિવિલના ડોક્ટરોએ જોયું કે દર્દીઓમાં ઉલ્ટી-ઝાડાના બદલે ગાઢ નિદ્રા અને શ્વાસ લેવામાં તકલીફ જેવા લક્ષણો છે. જેને કારણે પોલીસને પણ આ કેસની એક મહત્ત્વની કડી મળી હતી. હાલ અમદાવાદના ચાંદખેડામાં રહેતા અને મૂળ ચોટીલા પાસેના ગુંદાળા ગામના વતની એવા આ પ્રજાપતિ પરિવાર સાથે બનેલી આ ઘટનાએ અનેક તર્ક-વિતર્ક જગાવ્યા છે. આર્થિક ભીંસ, ગૃહકલેશ, પુત્ર પ્રાપ્તિની ઘેલછા કે પછી અજાણતા થયેલી મોટી ભૂલ? આ તમામ સવાલોના જવાબ હવે FSL અને લાઈ ડિટેક્શન ટેસ્ટના આધારે જ મળશે.
આ પણ વાંચોઃ પોતાને કેમ ટિકિટ મળી એ મુદ્દે અંકિત પરમારે આપ્યું મોટું નિવેદન : "નારાજ નયનાબેનને અમે સમજાવી દઈશું, અને એ સમજી પણ જશે"
ઘટનાનો ઘટનાક્રમ અને રહસ્યમય ખીરું
આ કરુણ કહાની 1 એપ્રિલથી શરૂ થાય છે. વિમલ પ્રજાપતિ નામના વ્યક્તિએ ચાંદખેડાની જાણીતી ઘનશ્યામ ડેરીમાંથી ઢોસાનું ખીરું ખરીદ્યું હતું. પરિવારના જણાવ્યા મુજબ, આ ખીરામાંથી બનાવેલી રસોઈ આરોગ્યા બાદ જ ઘરના તમામ સભ્યોની તબિયત લથડી. કમનસીબે, માત્ર 3 મહિનાની બાળકી રાહા અને 4 વર્ષની મીશ્રીએ આ ઘટનામાં પોતાનો જીવ ગુમાવ્યો. પરિવારનો સીધો આક્ષેપ હતો કે ડેરીનું ખીરું ઝેરી હોવાથી બાળકીઓ મોતના મુખમાં ધકેલાઈ. મહત્વપૂર્ણ વાત એ છે કે.. વિશ્લેષણ કરીએ તો પોલીસ તપાસમાં આ દલીલ પાયાવિહોણી લાગી રહી છે. ડેરી માલિકે સ્પષ્ટ તપાસમાં જણાવ્યું કે તે દિવસે 150થી 200 ગ્રાહકોએ આ જ જથ્થામાંથી ખીરું લીધું હતું, પણ અન્ય કોઈની ફરિયાદ આવી નથી.
FSL તપાસમાં ચોંકાવનારો ઘટસ્ફોટ
જ્યારે ચાંદખેડા પોલીસ અને એફએસએલ (FSL)ની ટીમે ઉંડાણપૂર્વક તપાસ હાથ ધરી ત્યારે કેસમાં આઘાતજનક વળાંક આવ્યો. મૃતક બાળકીઓના પોસ્ટમોર્ટમ અને માતા-પિતાના બ્લડ રિપોર્ટમાં 'નાઈટ્રાઝેપામ' (Nitrazepam) નામની ઘેનની દવાના અંશ મળી આવ્યા છે.
આ એ દવા છે જે સામાન્ય રીતે માનસિક ચિંતા કે અનિદ્રાની તકલીફમાં ડોક્ટરોની સલાહથી લેવામાં આવતી હોય છે. હવે અહીં એક મહત્વનો મુદ્દો સમજવો જરૂરી છે... ડેરીના સીલબંધ પેકેટ્સમાં આવી કોઈ દવા નહોતી, પણ પરિવારે જે વાસણમાં ખીરું કાઢ્યું હતું, તે વાસણમાં આ દવાની હાજરી મળી છે.
એનો અર્થ એ થયો કે ખીરામાં બહારથી દવા ભેળવીને તેને ‘સ્પાઈક’ કરવામાં આવ્યું હતું. વળી, જે 3 મહિનાની બાળકી માત્ર માતાના દૂધ પર નિર્ભર હતી, તેના શરીરમાં આ ઝેરી તત્વ ક્યાંથી આવ્યું? પોલીસને શંકા છે કે બાળકીને પાણી કે દૂધમાં આ દવા ભેળવીને આપવામાં આવી હોઈ શકે છે.
પિતાની પૂછપરછ અને વણઉકેલ્યા સવાલો
કેસમાં પિતા વિમલ પ્રજાપતિની ભૂમિકા સૌથી વધુ શંકાસ્પદ જણાય રહી છે. પોલીસે તેમની 9 કલાક સુધી સઘન પૂછપરછ કરી, પણ તેઓ માત્ર "ખીરું ખરાબ હતું" તે વાત પર જ અડગ રહ્યા. પરંતુ વાત અહીં અટકતી નથી... પોલીસ તપાસમાં એવા અનેક સવાલો ઉભા થયા છે જેના જવાબ પિતા પાસે નથી. જો 1લી એપ્રિલે ખીરું લાવ્યા અને 2જીએ તબિયત બગડી, તો 6 એપ્રિલ સુધી પોલીસને જાણ કેમ ન થઈ? 3 મહિનાની રાહાનું મોત 4 એપ્રિલે થયું ત્યારે પોસ્ટમોર્ટમ કરાવ્યા વિના તેની અંતિમવિધિ કેમ કરી દેવામાં આવી? છેવટે પોલીસે 7 એપ્રિલે લાશને જમીનમાંથી બહાર કાઢીને ફોરેન્સિક તપાસ માટે મોકલવી પડી. 6 સભ્યોના પરિવાર માટે એકસાથે 3 કિલો ખીરું ખરીદવાનું મિશન શું હતું? ઘરમાં કોઈને આવી દવાની જરૂર નહોતી, તો નાઈટ્રાઝેપામનો જથ્થો આવ્યો ક્યાંથી?
શું છે સમગ્ર ઘટના?
ચાંદખેડામાં મારુતિ પ્લાઝા સોસાયટીમાં રહેતા વિમલ પ્રજાપતિ ધનશ્યામ ડેરીમાંથી ખીરું લાવ્યા હતા. તેમાંથી ઢોસા બનાવી ખાધા બાદ પરિવારની તબિયત લથડી હતી. જેમાં 3 મહિનાની રાહા અને 4 વર્ષની મીશ્રી નામની બાળકીના મોત નિપજ્યાં હતા. ઘટના બાદ ચાંદખેડા પોલીસે અકસ્માતે મોતનો ગુના દાખલ કરીને તપાસ શરૂ કરી છે અને ખીરાની ક્વોલિટી જાણવા ઘનશ્યામ ડેરી પર FSLની ટીમે સેમ્પલ લીધા હતા. ત્યાર બાદ માતા-પિતાના બ્લડના સેમ્પલનો FSL રિપોર્ટ આવ્યો અને અને ચોંકાવનારી બાબતો સામે આવી.
'ઢોંસાનું ખીરું' કેસની ટાઈમ લાઇનઃ જાણો ક્યારે શું થયું?
1 એપ્રિલે ઘનશ્યામ ડેરીમાંથી સાંજે ખીરું ખરીધું
1 એપ્રિલ વિમલ પ્રજાપતિએ ખીરુંના ઢોસા ખાધા
2 એપ્રિલએ તેના પત્ની ભાવનાબેન અને 4 વર્ષની દીકરી મીશ્રીએ ઢોસા ખાધા
૩ એપ્રિલે તબિયત લથડતા હોસ્પિટલમાં ખસેડાયા
4 એપ્રિલે અઢી મહિનાની દીકરી રાવજીનું મોત
5 એપ્રિલ 4 વર્ષની દીકરી મીશ્રીનું મોત
6 એપ્રિલે સવારે પરિવારના ઘનશ્યામ ડેરી પર આક્ષેપ
6 એપ્રિલે બપોરે પોલીસ-FSLની ટીમે સેમ્પલ લીધા
7 એપ્રિલે બાળકીનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો
FSLની ટીમે ઘરમાંથી વસ્તુઓ કબજે કરી પોલીસે બાળકીઓના માતા-પિતાના નિવેદન નોંધ્યા
8 એપ્રિલે માતા-પિતાના બ્લડ રિપોર્ટમાં ઉંઘની દવાનું કન્ટેન્ટ મળ્યું
ત્રણ માસની દીકરીનો 4 દિવસે મૃતદેહ બહાર કાઢ્યો હતો
પરિવારે 4 એપ્રિલે બાળકીના મોત બાદ મૃતદેહની અંતિમવિધિ કરી હતી. જોકે, ઘટના સામે આવતા પોલીસને શંકા જતા ગત 7 એપ્રિલના રોજ FSLની હાજરીમાં ત્રણ માસની બાળકી રાહાનો ચાર દિવસે મૃતદેહ કબરમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો. ત્યાર બાદ મૃતક બાળકીઓના ઘરમાં પણ FSLની ટીમે ઝીણવટભરી તપાસ કરી હતી. ઘરમાંથી ચાદર, બાળકોની દવા અને વાસણ સહિતની વસ્તુઓ પોલીસ દ્વારા તપાસ અર્થે કબ્જે લેવામાં આવી.
શંકા ઉપજાવતા સવાલો:
1 એપ્રિલે જો ખીરું લઈ ગયા હોય તો 2 દિવસ બાદ પરત આપવા કેમ ગયા?
6 લોકોના પરિવાર માટે ૩ કિલો ખીરુંની જરૂર કેમ પડી?
પ્રાથમિક સારવારમાં તબિયત સારી થઈ ગઈ તો ફરી તબિયત કેવી રીતે લથડી?
4 એપ્રિલે અઢી મહિનાની દીકરીના મોતની પોલીસને જાણ કેમ ના કરી?
5 એપ્રિલે મોટી દીકરીનું મોત, માતા-પિતા ક્યારે હોસ્પિટલમાં દાખલ થયા?
ઢોસો ખાધા બાદ માતા બીમાર થઈ, તો 2.5 મહિનાની બાળકીને કેમ અસર થઈ?
5 દિવસ સુધી પરિવાર કેમ ચૂપ રહ્યો?
જે ડેરીમાંથી ખીરું ખરીધું ત્યાં બીજા ગ્રાહકોની ફરિયાદ કેમ ના આવી?
લાઈ ડિટેક્શન ટેસ્ટ અને કાયદાકીય અડચણ
જ્યારે સત્યના તાર મળવા મુશ્કેલ બન્યા ત્યારે પોલીસે કોર્ટ પાસે લાઈ ડિટેક્શન (પોલીગ્રાફ) ટેસ્ટની મંજૂરી માટે અરજી કરી છે. બાળકીના માતા-પિતા અને દાદા-દાદી એમ ચાર લોકોના ટેસ્ટ કરવાની તૈયારી છે.
મહત્વપૂર્ણ વાત એ છે કે.. અહીં પ્રશ્ન ઊભો થાય છે કે શું આ કોઈ સામુહિક આત્મહત્યાનો નિષ્ફળ પ્રયાસ હતો કે પછી આ માસૂમ બાળકો સાથે કોઈ બીજી રમત રમાઈ છે? કાયદા મુજબ આરોપીની મરજી વગર આ ટેસ્ટ શક્ય નથી.
આ કેસ માત્ર ફૂડ સેફ્ટી પૂરતો મર્યાદિત નથી, પરંતુ તે ઘરેલું હિંસા, માનસિક સ્વાસ્થ્ય અથવા ગંભીર ગુનાહિત કૃત્ય તરફ ઈશારો કરે છે. આ કેસનો ઉકેલ ભવિષ્યમાં આવા રહસ્યમય કિસ્સાઓમાં તપાસની દિશા નક્કી કરશે અને માસૂમ બાળકોની સુરક્ષા અંગે સમાજને જાગૃત કરશે.





