Home Gujarat Rajkot Rajkot Bjp Ticket Controversy Rmc Election

રાજકોટ મહાનગરપાલિકા ચૂંટણી પહેલા ભાજપમાં બળવો : 12 વર્ષ બાદ કાર્યકરોમાં ઉગ્ર નારાજગી, ટિકિટ વિતરણ પર વિવાદ

રાજકોટ ચૂંટણી પહેલા ભાજપમાં બળવો
Published by: Chintan Chavda
Last Updated: Apr 11, 2026, 08:12 AM IST

રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણી પહેલા ભાજપ દ્વારા ઉમેદવારોની યાદી જાહેર થતાં જ શહેરના રાજકારણમાં ભારે ઉથલપાથલ જોવા મળી રહી છે. સામાન્ય રીતે શિસ્તબદ્ધ અને સંગઠિત પાર્ટી તરીકે ઓળખાતી ભાજપમાં આ વખતે ખુલ્લેઆમ અસંતોષ ફાટી નીકળ્યો છે. 12 વર્ષ બાદ પહેલીવાર કાર્યકરો રસ્તા પર આવી વિરોધ નોંધાવતા જોવા મળ્યા છે.

ઉમેદવારોની યાદી બાદ તરત જ ભડકો

રાજકોટ મહાનગરપાલિકાના 18 વોર્ડની 72 બેઠકો માટે ભાજપે મોડી રાત્રે ઉમેદવારોની યાદી જાહેર કરી હતી. યાદી જાહેર થતાં જ અનેક વોર્ડમાં કાર્યકરોમાં નારાજગી ફાટી નીકળી હતી. વોર્ડ નં. 13, 3 અને 18માં કાર્યકરો પોતાના નેતાઓના સમર્થનમાં એકત્ર થયા હતા અને “ટિકિટ નહીં તો વોર્ડ હારશે” જેવા સૂત્રોચ્ચાર કર્યા હતા.

2014 માં ભાજપ કાર્યાલય પર થયેલી તાળાબંધી બાદ પ્રથમ વખત આટલો ઉગ્ર વિરોધ સામે આવ્યો છે, જે પાર્ટીની આંતરિક સ્થિતિ પર પ્રશ્નો ઉભા કરે છે.

ઉમેદવારી પ્રક્રિયા અને પાર્ટીનો એકતા દર્શાવવાનો પ્રયાસ

કાર્યકરોના વિરોધ વચ્ચે ભાજપે પોતાના તમામ 72 ઉમેદવારોને ઉમેદવારી નોંધાવવા માટે તૈયાર કર્યા છે. બહુમાળી ભવન ચોક ખાતે “વિજય વિશ્વાસ સંમેલન” યોજાયું હતું, જેમાં મોટી સંખ્યામાં કાર્યકરો અને ઉમેદવારો હાજર રહ્યા હતા.

નેતૃત્વનો દાવો: “કોઈ કાર્યકર નારાજ નથી”

શહેર ભાજપ પ્રમુખ ડો. માધવ દવેએ દાવો કર્યો છે કે પાર્ટીમાં કોઈ નારાજગી નથી. તેમના જણાવ્યા મુજબ કાર્યકરો માત્ર પોતાની રજૂઆત કરવા માટે આવ્યા હતા.

તેમણે જણાવ્યું કે ટિકિટ ફાળવણીમાં તમામ જ્ઞાતિઓને આવરી લેવામાં આવી છે અને મતદારોની સંખ્યાના આધારે ટિકિટ આપવામાં આવી છે. ખાસ કરીને 8 સામાન્ય બેઠકો પર OBC ઉમેદવારોને ટિકિટ ફાળવવામાં આવી હોવાનું તેમણે જણાવ્યું.

પૂર્વ ઉપાધ્યક્ષ ડો. ભરત બોધરાએ પણ જણાવ્યું કે ભાજપમાં લોકશાહી છે અને કાર્યકરો પોતાની વાત રજૂ કરી શકે છે, તેથી આ આંતરિક પ્રક્રિયા છે.

સવર્ણ સમાજમાં વધતી નારાજગી

આ ચૂંટણીમાં સૌથી મોટો મુદ્દો સવર્ણ સમાજની નારાજગી બની રહ્યો છે. સામાન્ય રીતે ભાજપનો મજબૂત આધાર ગણાતા સવર્ણ મતદારોમાં અસંતોષ સ્પષ્ટ જોવા મળી રહ્યો છે.

8 સામાન્ય બેઠકો પર OBC ઉમેદવારોને ટિકિટ આપવામાં આવતા સવર્ણ સમાજના અનેક દાવેદારોની ટિકિટ કપાઈ ગઈ છે. જેના કારણે સવર્ણ કાર્યકરોમાં અસંતોષ વધ્યો છે અને તે ચૂંટણીમાં અસરકારક બની શકે છે.

કયા વોર્ડમાં વધુ અસંતોષ?

રાજકોટના વોર્ડ નં. 1 અને 3 માં ખાસ કરીને નારાજગી જોવા મળી છે. અહીં એવા ઉમેદવારોને ટિકિટ આપવામાં આવી છે, જેમના પર સ્થાનિક સ્તરે સક્રિય ન હોવાનો આક્ષેપ છે. આહીર, સતવારા અને બ્રહ્મ સમાજના વર્ષોથી કાર્યરત કાર્યકરોને અવગણવામાં આવ્યા હોવાના આક્ષેપો થયા છે.

શહેરના પૂર્વ વિસ્તારના વોર્ડ નં. 4, 5, 6 અને 15 માં ભાજપે મોટા પ્રમાણમાં પ્રયોગો કર્યા છે. આ વોર્ડોમાં સામાન્ય બેઠકો હોવા છતાં અનામત વર્ગના ઉમેદવારોને ટિકિટ આપવામાં આવતા સ્થાનિક સ્તરે અસંતોષ ફાટી નીકળ્યો છે. ખાસ કરીને વોર્ડ નં. 15 માં બે સામાન્ય બેઠકો પર OBC અને SC ઉમેદવારો ઉતારાતા ભારે ગણગણાટ શરૂ થયો છે.

આ પણ વાંચો: અમદાવાદ મનપામાં ભાજપનું મોટું ઓપરેશન : મેયર સહિત કોના-કોના પત્તા કપાયા? જાણો કયા ચહેરા છે અમદાવાદ ભાજપના ત્રણ એક્કા

દક્ષિણ વિસ્તારમાં પણ વિરોધ

રાજકોટના દક્ષિણ વિસ્તારમાં આવેલા વોર્ડ નં. 13 અને 18 માં પણ ભારે નારાજગી જોવા મળી છે. વોર્ડ નં. 13 ના પૂર્વ કોર્પોરેટર નીતિન રામાણી પોતાના સમર્થકો સાથે પાર્ટી કાર્યાલય ખાતે પહોંચ્યા અને વિરોધ નોંધાવ્યો હતો. કાર્યકરોનો આક્ષેપ છે કે ટિકિટ ફાળવણીમાં સ્થાનિક સક્રિય કાર્યકરોને અવગણવામાં આવ્યા છે.

સમાજ આધારિત અસંતોષ: જૈન, સતવારા અને પ્રજાપતિ સમાજ

રાજકોટમાં વિવિધ સમાજોમાં પણ નારાજગી જોવા મળી રહી છે. જૈન સમાજે પુરુષ ઉમેદવારની માંગણી કરી હતી, પરંતુ માત્ર એક જ ટિકિટ મળતા અસંતોષ છે. સતવારા સમાજને એક પણ ટિકિટ ન મળતા તેઓએ બેઠક કરી અને AAP ઉમેદવારને સમર્થન આપવાનો નિર્ણય કર્યો છે. પ્રજાપતિ સમાજમાં પણ આંતરિક અસંતોષ છે, કારણ કે એક જ ઉપસમાજને ટિકિટ આપવામાં આવતા અન્ય ઉપસમાજોમાં નારાજગી ફાટી નીકળી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now