Rajkot News: રાજકોટ લીગલ ક્ષેત્રે એક અણધાર્યો અને મોટો વળાંક સામે આવ્યો છે. રાજકોટ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં વકીલો અને જજ વચ્ચેનો વિવાદ હવે ચરમસીમાએ પહોંચ્યો છે. તાજેતરમાં યોજાયેલી રાજકોટ બાર એસોસિએશનની જનરલ બોર્ડની બેઠકમાં વકીલોએ એકસૂરે બે જજની કોર્ટના બહિષ્કારનો એક મોટો અને અભૂતપૂર્વ નિર્ણય લીધો છે.
કયા જજના બહિષ્કારનો લેવાયો નિર્ણય?
બાર એસોસિએશનની બેઠકમાં પસાર કરાયેલા ઠરાવ મુજબ, વકીલોએ જજ ડી.ડી. શાહ (મેડમ) અને જજ એચ.એચ. ગુપ્તા (સાહેબ) ની કોર્ટનો સંપૂર્ણ બહિષ્કાર કરવાનો નિર્ણય કર્યો છે. જ્યાં સુધી વકીલોના પ્રશ્નોનું યોગ્ય નિરાકરણ નહીં આવે, ત્યાં સુધી બાર એસોસિએશનના કોઈ પણ વકીલ આ બંને જજની કોર્ટમાં કેસ લડવા માટે જશે નહીં.
બહિષ્કાર પાછળનું મુખ્ય કારણ
સૂત્રોના જણાવ્યા અનુસાર, આ બંને જજોના વકીલો પ્રત્યેના વર્તન સામે બાર એસોસિએશનમાં ભારે નારાજગી જોવા મળી રહી હતી. વકીલો દ્વારા અગાઉ પણ તેમના વર્તન અંગે અવારનવાર રજૂઆતો કરવામાં આવી હતી, તેમ છતાં આ બાબતે કોઈ યોગ્ય નિરાકરણ આવ્યું ન હતું. વારંવારની રજૂઆતો છતાં સ્થિતિ જસની તસ રહેતા આખરે વકીલોએ આકરો આક્રોશ વ્યક્ત કરી આ ઠરાવ પસાર કરવાની ફરજ પડી છે.
રાજકોટ કોર્ટના ઇતિહાસની પ્રથમ ઘટના
રાજકોટ ડિસ્ટ્રિક્ટ કોર્ટના ઇતિહાસમાં આ એક અત્યંત વિરલ અને પ્રથમ ઘટના માનવામાં આવી રહી છે, જ્યાં વકીલો દ્વારા કોઈ જજની કોર્ટનો સત્તાવાર બહિષ્કાર કરવામાં આવ્યો હોય અને તેના માટે બાર એસોસિએશન દ્વારા વિધિવત રીતે ઠરાવ પસાર કરવામાં આવ્યો હોય.
“કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો” : સુરતમાં 1,000થી વધુ રીઢા આરોપીઓને પોલીસની કડક ચેતવણી
પક્ષકારોના હિત માટે પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ જજને રજૂઆત
આ વિવાદ અને બહિષ્કારના કારણે કોર્ટમાં આવતા સામાન્ય અસીલો કે પક્ષકારોને કોઈ અન્યાય કે નુકસાન ન થાય તેની પણ ખાસ તકેદારી રાખવામાં આવી છે. બાર એસોસિએશન દ્વારા પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ જજને રજૂઆત કરવામાં આવી છે કે, હાલમાં આ બંને જજની કોર્ટમાં જે કેસો ચાલી રહ્યા છે, તેમાં પક્ષકારોના હિતને ધ્યાનમાં રાખીને 'યથાવત સ્થિતિ' (Status Quo) જાળવી રાખવામાં આવે, જેથી વકીલોની ગેરહાજરીના કારણે કોઈ પક્ષકારને કાનૂની નુકસાન ન ભોગવવું પડે.
આગામી સ્થિતિ પર નજર
હાલ વકીલોના આ આકરા વલણ અને કડક નિર્ણયના કારણે કોર્ટ સંકુલમાં ભારે ચર્ચા જાગી છે. વકીલો પોતાની માંગ પર મક્કમ છે કે જ્યાં સુધી તેમના પ્રશ્નોનું યોગ્ય અને કાયમી નિરાકરણ નહીં આવે, ત્યાં સુધી આ બંને કોર્ટનો બહિષ્કાર યથાવત રહેશે. હવે જોવાનું એ રહેશે કે હાઈકોર્ટ કે પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ જજ આ ગજગ્રાહને શાંત કરવા માટે કેવા પગલાં ભરે છે.
8 કલાકની મુસાફરી હવે માત્ર 3 કલાકમાં! : અમદાવાદ એરપોર્ટ પરથી શરૂ થઈ નવી આંતરરાષ્ટ્રીય સેવા





