Shreyas Iyer suffers serious rib injury: ઓસ્ટ્રેલિયા સામેની ત્રીજી વનડેમાં કેચ લેતી વખતે શ્રેયસ ઐયરને પાંસળીમાં ઈજા થઈ હતી. હવે, એવા અહેવાલો બહાર આવ્યા છે કે, ઉપ-કપ્તાનને ગંભીર ઈજા થઈ છે અને તેમને સિડનીની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. તેઓ ICU (ઇન્ટેન્સિવ કેર યુનિટ) માં છે. મીડિયા રિપોર્ટમાં જાણવા મળ્યું કે, ઐયરને આંતરિક રક્તસ્ત્રાવ થયો અને તાત્કાલિક દાખલ કરવા પડ્યા.
2 થી 7 દિવસ સુધી ICUમાં દાખલ રહેશે?
મીડિયા રિપોર્ટમાં જાણવા મળ્યું કે,"શ્રેયસ ઐયર ICU માં છે. રિપોર્ટમાં આંતરિક રક્તસ્ત્રાવ હોવાનું બહાર આવ્યા બાદ તેમને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા. રક્તસ્રાવ દ્વારા ચેપ ફેલાતો અટકાવવા માટે, તેમની રિકવરી પર આધાર રાખીને તેમને 2 થી 7 દિવસ સુધી નિરીક્ષણ હેઠળ રાખવામાં આવશે."
શ્રેયસ ઐયરને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી
ઐયર બેકવર્ડ પોઈન્ટ પર ઊભો હતો ત્યારે એલેક્સ કેરીનો એક શોર્ટ બોલ હવામાં ગયો. ઐયર પાછળની તરફ દોડ્યો અને શાનદાર ડાઇવિંગ કેચ પકડ્યો, જોકે આ દરમિયાન તેની પાંસળીઓમાં ઇજા થઈ હતી. તે પીડાથી જમીન પર ઢળી પડ્યો. ફિઝિયો આવીને, તેની તપાસ કરી અને તેને મેદાનની બહાર લઈ ગયા. ડ્રેસિંગ રૂમમાં લઈ જતી વખતે, ઐયરનું તાપમાન, પલ્સ રેટ અને બ્લડ પ્રેશરમાં વધઘટ થઈ રહી હતી. તેમને શ્વાસ લેવામાં પણ તકલીફ થવા લાગી, ત્યારબાદ BCCI મેડિકલ ટીમ તેમને હોસ્પિટલ લઈ ગઈ. રિપોર્ટમાં એક સૂત્રએ જણાવ્યું હતું કે, "ટીમના ડૉક્ટર અને ફિઝિયોએ કોઈપણ જોખમ લીધા વિના તેમને હોસ્પિટલમાં દાખલ કર્યા. તેઓ હવે થોડાક સ્વસ્થ છે, પરંતુ આ જીવલેણ બની શકે છે. તેઓ ખૂબ જ મજબૂત છે અને ટૂંક સમયમાં સ્વસ્થ થઈ જશે."
સ્વસ્થ થવામાં ઘણો સમય લાગશે!
આંતરિક રક્તસ્ત્રાવને કારણે, એવું માનવામાં આવે છે કે તેમની સ્વસ્થ થવામાં વધુ સમય લાગશે. સૂત્રોએ જણાવ્યું હતું કે, તેઓ સ્પર્ધાત્મક ક્રિકેટમાં ક્યારે પાછા ફરશે તે કહેવું મુશ્કેલ છે. ઐયર થોડા દિવસો હોસ્પિટલમાં રહેશે અને ફિટ જાહેર થયા પછી જ ભારત પરત ફરશે. ટીમ ઈન્ડિયા 29 ઓક્ટોબરથી ઓસ્ટ્રેલિયા સામે પાંચ મેચની T20 શ્રેણી રમશે, જોકે ઐયર T20 ટીમનો ભાગ નથી.




















