દિલ્હીના રાજકારણમાં આજે એક મોટો વિસ્ફોટ થયો છે. આમ આદમી પાર્ટી (AAP) ના સંસદીય દળમાં મોટા ભંગાણના સમાચાર સામે આવ્યા છે. AAP ના સ્થાપક સભ્ય અને રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢાએ પાર્ટી છોડવાની જાહેરાત કરી દીધી છે. તેમની સાથે અન્ય ઘણા સાંસદો પણ ભાજપમાં જોડાયા છે.
'આદર્શોથી ભટકી ગઈ છે પાર્ટી' - રાઘવ ચઢ્ઢા
રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢાએ એક પ્રેસ કોન્ફરન્સ યોજીને આમ આદમી પાર્ટીમાંથી પોતાના રાજીનામાની જાહેરાત કરી હતી. રાઘવે ભારે હૈયે જણાવ્યું કે, "આમ આદમી પાર્ટી જે આદર્શો અને પાયાના મૂલ્યો માટે બનાવવામાં આવી હતી, તેનાથી તે સંપૂર્ણપણે ભટકી ગઈ છે. હું AAP થી દૂર જઈ રહ્યો છું અને જનતા તરફ આગળ વધી રહ્યો છું. ચઢ્ઢાએ વધુમાં એક કટાક્ષ કરતા કહ્યું કે, તેઓ અત્યાર સુધી 'ખોટી પાર્ટીમાં સાચા માણસ' હતા. તેમણે ઉમેર્યું કે પાર્ટીની અંદર તેઓ ગૂંગળામણ અનુભવી રહ્યા હતા કારણ કે પાર્ટીનું વર્તમાન સ્વરૂપ તેના શરૂઆતના સિદ્ધાંતો સાથે મેળ ખાતું નથી.

રાજ્યસભામાં AAP ને મોટો ફટકો
રાઘવ ચઢ્ઢાએ દાવો કર્યો છે કે AAP ના બે તૃતીયાંશથી વધુ રાજ્યસભા સાંસદો તેમની સાથે છે. આ યાદીમાં હરભજન સિંહ, સ્વાતિ માલીવાલ, રાજેન્દ્ર ગુપ્તા, સંદીપ પાઠક, વિક્રમજીત સાહની અને અશોક મિત્તલ જેવા અગ્રણી નેતાઓના નામ સામેલ છે. રાઘવ ચઢ્ઢા, સંદીપ પાઠક અને અશોક મિત્તલ ભાજપ કાર્યાલય પહોંચી ગયા છે. તેઓ પાર્ટી અધ્યક્ષ નીતિન નવીનને મળીને ઔપચારિક રીતે ભાજપનું સભ્યપદ લેશે. રાજ્યસભામાં AAP પાસે કુલ 10 સાંસદ હતા (7 પંજાબ અને 3 દિલ્હી). આ ભંગાણ બાદ હવે AAP પાસે માત્ર 3 સાંસદો (સંજય સિંહ, એન.ડી. ગુપ્તા અને બલબીર સિંહ સિચ્ચેવાલ) જ બાકી રહ્યા છે.
આ પણ વાંચો: સાંસદોના બળવા પર સંજય સિંહ લાલઘૂમ : કહ્યું- "રાઘવ ચઢ્ઢાને બધું જ આપ્યું, પણ તેઓ ભાજપના ખોળે જઈ બેઠા"
લોહી-પરસેવાથી સીંચેલી પાર્ટી છોડવાનું કારણ
પ્રેસ કોન્ફરન્સ દરમિયાન રાઘવે ભાવુક થઈને કહ્યું, "મેં AAP ને મારા લોહી-પરસેવાથી સીંચી છે અને મારી યુવાનીના 15 વર્ષ આપ્યા છે. પરંતુ હવે આ પાર્ટી દેશના હિતમાં નહીં, પણ પોતાના અંગત ફાયદા માટે કામ કરી રહી છે. ભારતના બંધારણની જોગવાઈઓનો ઉપયોગ કરીને અમે ભાજપમાં ભળી જવાનો નિર્ણય કર્યો છે."

બળવા પાછળના મુખ્ય કારણો
આ મોટા ભંગાણ પાછળ દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં પાર્ટીની હાર અને આંતરિક ખેંચતાણને મુખ્ય કારણ માનવામાં આવે છે. દિલ્હીની હાર બાદ વ્યૂહરચનાકાર સંદીપ પાઠકને હાંસિયામાં ધકેલી દેવામાં આવ્યા હતા. જે પાઠક 2022 થી 2024 સુધી તમામ મોટા નિર્ણયો લેતા હતા, તેમને માત્ર છત્તીસગઢના પ્રભારી બનાવી સીમિત કરી દેવાયા હતા.
આ પણ વાંચો રાજ્યસભામાં AAPના સેનાપતિથી ભાજપના નેતા સુધી : જાણો રાઘવ ચઢ્ઢાના રાજકીય પલટાની ઇનસાઇડ સ્ટોરી
મનીષ સિસોદિયા, આતિશી અને ગોપાલ રાય જેવા નેતાઓને મહત્વની જવાબદારીઓ સોંપાતા જૂના વફાદારોમાં નારાજગી હતી. આ મોટી તૂટને કારણે અરવિંદ કેજરીવાલની રાજ્યસભામાં શક્તિ અડધીથી પણ ઓછી થઈ ગઈ છે, જે આમ આદમી પાર્ટીના ભવિષ્ય પર ગંભીર સવાલો ઊભા કરે છે.
આ પણ વાંચો: રાઘવ ચઢ્ઢાએ કેમ છોડ્યો કેજરીવાલનો સાથ? : જાણો AAP સાથે છેડો ફાડવા પાછળના મોટા કારણો
આ પણ વાંચો: AAPમાં અત્યાર સુધીનો સૌથી મોટો રાજકીય ભૂકંપ : રાઘવ ચઢ્ઢા-હરભજન સહિત 7 રાજ્યસભાના સાંસદો ભાજપમાં જોડાશે





