Home National Raghav Chadha Joins Bjp Aap Split 2026

સાંસદોના બળવા પર સંજય સિંહ લાલઘૂમ : કહ્યું- "રાઘવ ચઢ્ઢાને બધું જ આપ્યું, પણ તેઓ ભાજપના ખોળે જઈ બેઠા"

Sanjay Singh slams rebel MPs
Published by: Viral Patel
Last Updated: Apr 24, 2026, 11:59 AM IST

Sanjay Singh slams rebel MP: AAP નેતા સંજય સિંહે ભાજપ પર પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનના "સારા કાર્યો" માં અવરોધ ઉભો કરવાનો આરોપ લગાવ્યો હતો. રાઘવ ચઢ્ઢા અને આમ આદમી પાર્ટી (AAP) ના અન્ય 6 રાજ્યસભા સાંસદો સત્તાધારી ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાની જાહેરાત પર તીખી પ્રતિક્રિયા આપતા AAP ના વરિષ્ઠ નેતા સંજય સિંહે તેમને "ગદ્દાર" ગણાવ્યા હતા. તેમણે કહ્યું કે પંજાબની જનતાએ આ 7 નામો "યાદ રાખવા" જોઈએ. રાજ્યસભાના સાંસદ સંજય સિંહે આકરા શબ્દોમાં ટિપ્પણી કરતા કહ્યું કે, અરવિંદ કેજરીવાલના નેતૃત્વવાળી પાર્ટીએ ચઢ્ઢાને ધારાસભ્ય અને સાંસદ બનાવ્યા, પરંતુ અંતે તેઓ ભાજપના ખોળે જઈ બેઠા.

પંજાબ સરકારના કામમાં અવરોધનો આરોપ

સંજય સિંહે ભાજપ પર પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન દ્વારા કરવામાં આવતા વિકાસ કાર્યોમાં અડચણો ઉભી કરવાનો આરોપ લગાવ્યો હતો. એક પ્રેસ કોન્ફરન્સમાં તેમણે જણાવ્યું હતું કે ભાજપે પંજાબના સીએમ ભગવંત માનના નેતૃત્વવાળી AAP સરકાર દ્વારા કરવામાં આવેલા સારા કામોમાં અવરોધ પેદા કર્યો છે... AAP ના 7 રાજ્યસભા સાંસદો ભાજપમાં જોડાઈ રહ્યા છે, પંજાબના લોકોએ આ 7 નામો યાદ રાખવા જોઈએ. પંજાબની જનતા તેમને ક્યારેય માફ નહીં કરે. AAP ના વડા અરવિંદ કેજરીવાલે પણ આ અંગે પ્રતિક્રિયા આપતા કહ્યું કે ભાજપે ફરી એકવાર પંજાબના લોકો સાથે "વિશ્વાસઘાત" કર્યો છે.

આ પણ વાંચો: રાઘવ ચઢ્ઢાએ કેમ છોડ્યો કેજરીવાલનો સાથ? : જાણો AAP સાથે છેડો ફાડવા પાછળના મોટા કારણો

કોણ કોણ જોડાઈ રહ્યું છે ભાજપમાં?

રાઘવ ચઢ્ઢાએ આજે એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે AAP ના કુલ રાજ્યસભા સાંસદોમાંથી બે તૃતીયાંશ સભ્યો પાર્ટી છોડી રહ્યા છે. ચઢ્ઢા ઉપરાંત નીચેના સભ્યો ભાજપમાં જોડાશે. જેમાં સ્વાતિ માલીવાલ, હરભજન સિંહ, સંદીપ પાઠક, અશોક મિત્તલ, રાજેન્દ્ર ગુપ્તા અને વિક્રમ સાહનીનો સમાવેશ થાય છે.

ચઢ્ઢાનું મૌન અને પક્ષપલટો

રાઘવ ચઢ્ઢા, જે ટેલિવિઝન ડિબેટ્સમાં પાર્ટીનો લોકપ્રિય યુવા ચહેરો હતા, 2024 માં ભ્રષ્ટાચારના કેસોમાં AAP નેતાઓની ધરપકડ સમયે તેમના મૌનને કારણે સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહ્યા હતા. ગયા મહિને જ તેમને રાજ્યસભામાં AAP ના ડેપ્યુટી લીડર પદેથી હટાવીને અશોક મલિકની નિમણૂક કરવામાં આવી હતી.

આ પણ વાંચો: AAPમાં અત્યાર સુધીનો સૌથી મોટો રાજકીય ભૂકંપ : રાઘવ ચઢ્ઢા-હરભજન સહિત 7 રાજ્યસભાના સાંસદો ભાજપમાં જોડાશે

રાઘવ ચઢ્ઢાનો ખુલાસો

પોતાના પક્ષપલટાનું કારણ જણાવતા ચઢ્ઢાએ કહ્યું કે તેઓ પાર્ટીના "પાપો" માં ભાગીદાર બનવા માંગતા નહોતા. તેમણે જણાવ્યું હું તમને સાચું કારણ જણાવી રહ્યો છું કે મેં શા માટે પાર્ટીની પ્રવૃત્તિઓથી અંતર જાળવ્યું - મારે તેમના પાપોનો ભાગ બનવું નહોતું. હું તેમની મિત્રતા માટે પાત્ર નહોતો કારણ કે હું તેમના ગુનાઓમાં સામેલ નહોતો. અમારી પાસે માત્ર બે જ વિકલ્પો હતા - કાં તો રાજકારણ છોડી દેવું અથવા જનસેવાનું કામ ચાલુ રાખવું. અમે નક્કી કર્યું છે કે અમે, રાજ્યસભામાં AAP ના 2/3 સભ્યો, ભારતના બંધારણની જોગવાઈઓનો ઉપયોગ કરીને ભાજપમાં વિલીન થઈએ છીએ."

નોંધનીય છે કે, કુલ સભ્યોના બે તૃતીયાંશ ભાગ હોવાને કારણે, આ સાંસદો પક્ષપલટા વિરોધી કાયદા હેઠળ ગેરલાયક ઠરવાથી બચી જશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now