અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રૂબિયોએ ઈરાન સાથે ચાલી રહેલી શાંતિ વાટાઘાટોને લઈને મહત્વપૂર્ણ સંકેત આપતાં કહ્યું છે કે આગામી થોડા કલાકોમાં દુનિયાને “સારા સમાચાર” મળી શકે છે. ચાર દિવસની ભારત મુલાકાતે આવેલા રૂબિયોએ નવી દિલ્હીમાં વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર સાથે સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ દરમિયાન આ નિવેદન આપ્યું હતું.
રૂબિયોએ જણાવ્યું કે ઈરાન સાથે ઉભરી રહેલો સંભવિત શાંતિ કરાર હોર્મુઝ જળમાર્ગ (Strait of Hormuz)ને લઈને ઊભી થયેલી ચિંતાઓ દૂર કરવામાં મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે. અમેરિકી દાવા મુજબ ઈરાને અમેરિકા અને ઈઝરાયેલના સંયુક્ત હુમલાના જવાબમાં આ આંતરરાષ્ટ્રીય જળમાર્ગમાં અવરોધ ઊભા કર્યા હતા.
રૂબિયોએ કહ્યું કે આ પ્રક્રિયા અંતે એવી સ્થિતિ તરફ લઈ જઈ શકે છે જ્યાં દુનિયાને ઈરાનના પરમાણુ હથિયાર અંગે કોઈ ભય ન રહે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે “ઈરાન ક્યારેય પરમાણુ હથિયાર ધરાવી શકે નહીં.”
હોર્મુઝ જળમાર્ગ પર વૈશ્વિક ચિંતા
સ્ટ્રેટ ઓફ હોર્મુઝ વિશ્વના સૌથી મહત્વપૂર્ણ સમુદ્રી વેપાર માર્ગોમાંનો એક ગણાય છે, જ્યાંથી વિશ્વના મોટા પ્રમાણમાં તેલ અને ગેસનું પરિવહન થાય છે. આ માર્ગમાં કોઈપણ પ્રકારનો તણાવ વૈશ્વિક ઊર્જા બજારો અને વેપાર પર સીધી અસર કરી શકે છે.
રૂબિયોએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે હોર્મુઝ આંતરરાષ્ટ્રીય જળમાર્ગ છે અને વ્યાપારી જહાજોને નિશાન બનાવવાની ધમકી આંતરરાષ્ટ્રીય કાયદા વિરુદ્ધ છે. અમેરિકાનો આરોપ છે કે ઈરાન હાલ વ્યાપારી જહાજોની અવરજવર પર દબાણ બનાવવાનો પ્રયાસ કરી રહ્યું છે.
આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ દાવો કર્યો હતો કે ઈરાન સાથેનો શાંતિ કરાર “મોટાભાગે તૈયાર” થઈ ગયો છે. ટ્રમ્પે પોતાના Truth Social પ્લેટફોર્મ પર લખ્યું હતું કે અંતિમ વિગતો પર ચર્ચા ચાલી રહી છે અને ટૂંક સમયમાં સત્તાવાર જાહેરાત થઈ શકે છે.
આ પણ વાંચો: ગુજરાતમાં ગરમીનો પ્રકોપ યથાવત્ : આગામી દિવસોમાં 40°Cથી વધુ તાપમાનની આગાહી
નેતન્યાહૂ સાથે ટ્રમ્પની વાતચીત
ટ્રમ્પે દાવો કર્યો હતો કે તેમણે ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ સાથે પણ અલગથી વાતચીત કરી હતી, જે “ખૂબ સારી” રહી હતી. ટ્રમ્પે આ સંભવિત સમજૂતીને “શાંતિ માટેનું મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ” ગણાવ્યું હતું.
અમેરિકી મીડિયા અહેવાલો અનુસાર, આ સમજૂતીના ભાગરૂપે હોર્મુઝ જળમાર્ગ ફરી ખુલ્લો કરવાની ચર્ચા ચાલી રહી છે. જોકે ઈરાને ટ્રમ્પના દાવાને નકારી કાઢ્યો છે. તેહરાને કહ્યું છે કે હોર્મુઝ પરનો નિયંત્રણ યથાવત રહેશે.
કેટલાક અહેવાલોમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે ઈરાન માત્ર યુદ્ધ પહેલાં જેટલા જહાજો પસાર થતાં હતા તેટલી અવરજવર ફરી મંજૂર કરવા તૈયાર થયું છે, પરંતુ તેનો અર્થ સંપૂર્ણ “ફ્રી પાસેજ” નહીં ગણાય.
ઈરાનનો અમેરિકી દાવા પર ઈન્કાર
ઈરાનની રેવોલ્યુશનરી ગાર્ડ (IRGC)એ ટ્રમ્પના દાવાને “પ્રચાર” ગણાવ્યો છે. ઈરાનની ફાર્સ ન્યૂઝ એજન્સી અનુસાર IRGCએ જણાવ્યું કે તેહરાને પોતાના પરમાણુ કાર્યક્રમ અંગે કોઈ પ્રતિબદ્ધતા આપી નથી.
IRGCના જણાવ્યા મુજબ અમેરિકાએ અગાઉ ઈરાનના પરમાણુ કાર્યક્રમને કોઈપણ કરાર માટે અનિવાર્ય શરત ગણાવ્યો હતો, પરંતુ હાલની ચર્ચામાં પરમાણુ મુદ્દે કોઈ સત્તાવાર સમજૂતી થઈ નથી.
આ પણ વાંચો: રાજકોટના જસદણ નજીક ગોઝારો અકસ્માત : બે પિતરાઈ ભાઈઓનાં મોત
વૈશ્વિક રાજકારણ પર અસર
ઈરાન, અમેરિકા અને ઈઝરાયેલ વચ્ચે છેલ્લા ત્રણ મહિનાથી ચાલી રહેલા તણાવ અને સંઘર્ષને કારણે મધ્ય પૂર્વમાં અસ્થિરતા વધી હતી. જો આ શાંતિ સમજૂતી સફળ થાય તો વૈશ્વિક તેલ બજાર, સમુદ્રી વેપાર અને પશ્ચિમ એશિયાની સુરક્ષા સ્થિતિમાં રાહત મળી શકે છે.
વિશ્વભરના કૂટનીતિક વર્તુળો હવે આગામી કલાકોમાં થનારી સંભવિત જાહેરાત પર નજર રાખી રહ્યા છે.





