એક અમેરિકન યહૂદી સંગઠને એવા અધિકારીઓની ટીકા કરી છે જેમણે રશિયા પાસેથી તેલ ખરીદવા બદલ ભારતની નિંદા કરી છે. સંગઠને કહ્યું કે રશિયા-યુક્રેન સંઘર્ષ માટે ભારત જવાબદાર નથી અને અમેરિકા-ભારત સંબંધોને ફરીથી સુધારવાની જરૂર છે. ટ્રમ્પ વહીવટીતંત્રના કેટલાક સભ્યોએ તાજેતરમાં ભારત પર આરોપ લગાવ્યો છે કે, રશિયા પાસેથી ઊર્જા ખરીદીને ભારત રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના યુદ્ધ મશીનને ભંડોળ પૂરું પાડી રહ્યું છે. અમેરિકન યહૂદી સમિતિએ શુક્રવારે કહ્યું કે વ્હાઇટ હાઉસના વેપાર સલાહકાર પીટર નાવારો દ્વારા ભારત પર લગાવવામાં આવેલા આરોપો 'ખોટા અને અપમાનજનક' છે. નાવારોએ તેને 'મોદીનું યુદ્ધ' ગણાવ્યું અને એમ પણ કહ્યું કે, શાંતિનો માર્ગ 'નવી દિલ્હીમાંથી પસાર થાય છે'.
યહૂદી સંગઠને શું કહ્યું?
યહૂદી સંગઠને કહ્યું, અમે સમજીએ છીએ કે ભારત ઊર્જા જરૂરિયાતોને કારણે રશિયા પાસેથી તેલ ખરીદે છે, પરંતુ ભારત પુતિનના યુદ્ધ ગુનાઓ માટે દોષિત નથી. ભારત એક લોકશાહી દેશ છે અને અમેરિકાનો એક મહત્વપૂર્ણ વ્યૂહાત્મક ભાગીદાર પણ છે. સંગઠને કહ્યું, હવે આ મહત્વપૂર્ણ સંબંધોને ફરીથી મજબૂત કરવાનો સમય છે. છેલ્લા કેટલાક દિવસોમાં નવારોએ ભારત પર નિશાન સાધ્યું છે. તેમના આ નિવેદનો એવા સમયે આવ્યા છે. જ્યારે વોશિંગ્ટન અને દિલ્હી વચ્ચે વેપાર અને ટેરિફને લઈને તણાવ વધી ગયો છે. ટ્રમ્પે ભારત પર 25 ટકા ટેરિફ લાદ્યો છે. આ સાથે, રશિયા પાસેથી તેલ ખરીદવા પર પણ વધારાનો 25 ટકા ટેરિફ લાદવામાં આવ્યો છે. ભારતે આ ટેરિફને અન્યાયી અને બિનજરૂરી ગણાવ્યા છે અને કહ્યું છે કે તે તેના રાષ્ટ્રીય હિતો અને આર્થિક સુરક્ષાના રક્ષણ માટે તમામ જરૂરી પગલાં લેશે.
યુએસ રિપ્રેઝન્ટેટિવની ફોરેન અફેર્સ કમિટી શું કહ્યું?
એક યુએસ કોર્ટે ટ્રમ્પના મોટાભાગના વૈશ્વિક ટેરિફને ગેરકાયદેસર જાહેર કર્યા છે. આ પછી યુએસ રિપ્રેઝન્ટેટિવની ફોરેન અફેર્સ કમિટીએ કહ્યું કે, ''ટ્રમ્પની 'રાષ્ટ્રીય કટોકટી' હેઠળ લાદવામાં આવેલા ટેરિફને સમાપ્ત કરવા માટે એક ઠરાવ પસાર થવો જોઈએ. સમિતિએ કહ્યું કે, 'ટ્રમ્પે ચીન જેવા મોટા ખરીદદારો પર કોઈ પ્રતિબંધ લાદ્યા વિના ભારતને નિશાન બનાવ્યું છે. અઠવાડિયાની શરૂઆતમાં આ સમિતિએ રશિયા પાસેથી તેલ ખરીદવા અંગે ટ્રમ્પની ભારતની નીતિની ટીકા કરી હતી અને કહ્યું હતું કે, આ બંને દેશો વચ્ચેના સંબંધોને નુકસાન પહોંચાડી રહ્યું છે''.