Vadodara News: વડોદરાના ગેંડીગેટ વિસ્તારમાં અંધશ્રદ્ધાનો લાભ લઈને છેતરપિંડીનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. નવ્યા બ્યુટી પાર્લરની સંચાલિકા સાથે ત્રણ અજાણી મહિલાઓએ માતાજીના આશીર્વાદ અને દોષ નિવારણના નામે વાતોમાં ફસાવી સોનાનું મંગળસૂત્ર અને રોકડ રકમ લઈને ફરાર થઈ ગઈ હોવાનું સામે આવ્યું છે.
'DCP નકુમ અનઑફિશિયલ હાજર હશે તો કોર્ટમાં હાજર થાય' : નાસીરનગર ડિમોલિશન કેસમાં હાઇકોર્ટના કડક સવાલ
વડોદરાના ગેંડીગેટ વિસ્તારમાં આવેલી નવ્યા બ્યુટી પાર્લરની સંચાલિકા હેતલબેન હિતેશભાઈ સાથે આ ઘટના બની હતી. રોજની જેમ પાર્લર પર હાજર રહેલી હેતલબેન પાસે ત્રણ મહિલાઓ ગ્રાહક બનીને પહોંચી હતી. શરૂઆતમાં મહિલાઓએ મેકઅપ અને અન્ય બ્યુટી સર્વિસ અંગે વાતચીત કરી વિશ્વાસ જીત્યો હતો. ત્યારબાદ મુખ્ય મહિલાએ પોતાને જોગણી માતાનો સદ આવતો હોવાનું જણાવી હેતલબેનને કહ્યું કે તેમના પાર્લરમાં માતાજીના આશીર્વાદ છે અને તેમના પર નાગ-નાગિનનો દોષ છે.
આ દોષ દૂર કરવા માટે પૂજા કરવાની વાત કહી મહિલાએ સોનાની વસ્તુ અને રોકડની માંગ કરી હતી. હેતલબેનના જણાવ્યા અનુસાર તેઓ મહિલાઓની વાતોમાં આવી ગયા હતા અને પોતાનું સોનાનું મંગળસૂત્ર તેમજ રોકડ રકમ સ્વયં આપી દીધી હતી.
થોડીવાર બાદ ત્રણેય મહિલાઓ દોઢથી બે તોલાનું સોનાનું મંગળસૂત્ર અને અંદાજે 3,500 થી 4,000 રૂપિયાની રોકડ લઈને ફરાર થઈ ગઈ હતી. ભાનમાં આવ્યા બાદ હેતલબેને પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાની જાણ થતાં પોલીસનો સંપર્ક કર્યો હતો. પોલીસને આપવામાં આવેલી વિગતો મુજબ મુખ્ય આરોપી મહિલાએ લીલા રંગની સાડી પહેરી હતી જ્યારે અન્ય બે મહિલાઓ મરૂન અને રામા કલરની સાડીમાં હતી.
આ મામલે પોલીસ દ્વારા ગુનો નોંધી આસપાસના CCTV ફૂટેજના આધારે ત્રણેય મહિલાઓની શોધખોળ હાથ ધરવામાં આવી છે. પોલીસે નાગરિકોને અપીલ કરી છે કે અજાણ્યા લોકોની વાતોમાં આવીને સોનું, રોકડ કે કિંમતી વસ્તુઓ કોઈને પણ સોંપવી નહીં અને અંધશ્રદ્ધાથી દૂર રહેવું.





