Bharuch News: આમ આદમી પાર્ટી (AAP)ના આક્રમક નેતા અને દેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા ફરી એકવાર કાયદાકીય ગૂંચવણમાં ફસાતા જોવા મળી રહ્યા છે. પોલીસની છબી ખરડવા અને બદનામી કરવાના એક મામલામાં ભરૂચની કોર્ટે તેમને સમન્સ (તેડું) મોકલીને કોર્ટ સમક્ષ હાજર થવા આદેશ કર્યો છે.
શું છે સમગ્ર મામલો?
ચૈતર વસાવા પર પોલીસ વિભાગની બદનામી કરવા અને તેમની છબીને નુકસાન પહોંચાડે તેવા નિવેદનો આપવાનો આક્ષેપ છે. આ મામલે કોર્ટ દ્વારા તેમને અગાઉ 23 જૂનના રોજ કોર્ટમાં હાજર રહેવા માટે નોટિસ પાઠવવામાં આવી હતી. જોકે, કોઈ કારણોસર આ નોટિસની બજવણી ચૈતર વસાવા સુધી થઈ શકી ન હતી, જેના કારણે તેઓ નિયત તારીખે કોર્ટમાં હાજર રહ્યા ન હતા.
સરકારી વકીલની રજૂઆત બાદ ફરી નોટિસ
ગઈકાલે (23 જૂને) ચૈતર વસાવા કોર્ટમાં ગેરહાજર રહેતા સરકારી વકીલ પરેશ પંડ્યાએ કોર્ટ સમક્ષ આ બાબતે કડક રજૂઆત કરી હતી. તેમણે કોર્ટને જણાવ્યું હતું કે નોટિસની બજવણી ન થવાને કારણે આરોપી હાજર રહ્યા નથી. સરકારી વકીલની આ દલીલો અને રજૂઆતને ગંભીરતાથી ધ્યાને લઈને ભરૂચ કોર્ટે હવે નવી તારીખ જાહેર કરી છે.
કોર્ટનો નવો આદેશ
કોર્ટે ચૈતર વસાવાને ફરીથી નોટિસ ફટકારી છે અને હવે તેમને 29 જુલાઈના રોજ ભરૂચ કોર્ટમાં ફરજિયાત હાજર રહેવા માટે આદેશ કર્યો છે.
રાજકીય ગરમાવો વધવાની શક્યતા
ચૈતર વસાવા અગાઉ પણ વન વિભાગના કર્મચારીઓ સાથેની માથાકૂટ અને અન્ય વિવાદોને કારણે જેલવાસ ભોગવી ચૂક્યા છે. ત્યારે હવે પોલીસની બદનામીના આ નવા કેસમાં કોર્ટના કડક વલણને જોતા તેમની રાજકીય અને કાયદાકીય મુશ્કેલીઓ આગામી દિવસોમાં વધુ વધી શકે છે. હવે સૌની નજર 29 જુલાઈએ થનારી કોર્ટ કાર્યવાહી પર મંડાયેલી છે.





