Subhash Bridge Demolition: અમદાવાદના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારને જોડતા મહત્વના સુભાષ બ્રિજને લઈને એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. બ્રિજના સુપર સ્ટ્રક્ચરની સાથે હવે તેના પિલર (થાંભલા) પણ બદલવાની જરૂરિયાત ઊભી થઈ છે, જેને કારણે આખા બ્રિજને જ સંપૂર્ણપણે ડિમોલિશ (તોડી પાડવાનો) કરવાનો નિર્ણય લેવાઈ શકે છે. આ અંગે આજે મ્યુનિસિપલ કમિશનર દ્વારા આખરી મંજૂરી આપવામાં આવે તેવી પ્રબળ શક્યતા છે.
પિલર પણ જૂના હોવાથી કન્સલ્ટન્ટે આપ્યો સંપૂર્ણ ડિમોલિશનનો અભિપ્રાય
અગાઉ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એવો નિર્ણય લેવામાં આવ્યો હતો કે બ્રિજનો સ્પાન બેસી ગયા બાદ માત્ર તેનું સુપર સ્ટ્રક્ચર અને સ્પાન તોડીને નવો બ્રિજ બનાવવામાં આવશે. પરંતુ બ્રિજના ગર્ડર પાસે પણ તિરાડો જોવા મળી છે. કન્સલ્ટન્ટના મતે બ્રિજના પિલ્લરો ઘણા જૂના થઈ ગયા છે. હાલની સ્થિતિમાં જે રીતે ડિમોલિશનની કામગીરી ચાલી રહી છે, તેનાથી બ્રિજના બાકીના માળખાને વધુ નુકસાન થઈ શકે છે. આ જોખમને ટાળવા માટે અડધો બ્રિજ તોડવાને બદલે આખો બ્રિજ સંપૂર્ણપણે તોડી પાડવો વધુ હિતાવહ રહેશે.
વાહનચાલકોએ એપ્રિલ 2027 સુધી જોવી પડશે રાહ
સુભાષ બ્રિજમાં ખામી સર્જાવાને કારણે તેને છેલ્લા ઘણા સમયથી વાહનોની અવરજવર માટે સંપૂર્ણ બંધ કરી દેવામાં આવ્યો છે અને હાલ ત્યાં નાની-નાની કામગીરી શરૂ છે. જોકે, હવે આખો બ્રિજ નવેસરથી બનાવવાનો હોવાથી અમદાવાદના નાગરિકોએ નવા બ્રિજ માટે એપ્રિલ 2027 સુધી રાહ જોવી પડશે. બ્રિજ બંધ હોવાને કારણે સ્થાનિકો અને વાહનચાલકોએ ડાયવર્ઝનનો સામનો કરવો પડી રહ્યો છે.
₹235 કરોડના ખર્ચે બનશે ફોર-લેન નવો બ્રિજ
ઉલ્લેખનીય છે કે, સુભાષ બ્રિજનો સ્પાન બેસી જવાની ગંભીર ઘટના બાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ બ્રિજને નવો અને વધુ પહોળો બનાવવા માટે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. સ્ટેન્ડિંગ કમિટીમાં રૂ. 235 કરોડના ભારેખમ ખર્ચે આ બ્રિજનું પુનઃનિર્માણ કરવા માટેની મંજૂરી અગાઉ જ આપી દેવામાં આવી છે. હવે જો આજે મ્યુનિસિપલ કમિશનર કન્સલ્ટન્ટના અભિપ્રાયને ગ્રાહ્ય રાખી સંપૂર્ણ ડિમોલિશનનો આદેશ આપશે, તો આગામી દિવસોમાં બ્રિજને જડમૂળથી હટાવવાની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવશે.





