Gandhinagar News: દેશના લોકશાહી ઇતિહાસના સૌથી કાળા પ્રકરણ સમાન કટોકટી (ઇમરજન્સી)ને યાદ કરી દેશભરમાં વિરોધ પ્રદર્શનો યોજાઈ રહ્યા છે, ત્યારે ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં પણ શહેર ભાજપના ઉપક્રમે 'બંધારણ હત્યા પ્રદર્શન'નું આયોજન કરવામાં આવ્યું છે. ગાંધીનગર શહેરના અલગ-અલગ વિસ્તારોમાં આ પ્રદર્શન આગામી ૩ દિવસ સુધી ચાલશે.
સત્તા પર ટકી રહેવા બંધારણનું ગળું ઘોંટાયું: આશિષ દવે
પ્રદર્શનના ઉદ્ઘાટન પ્રસંગે ગાંધીનગર શહેર ભાજપ અધ્યક્ષ આશિષ દવેએ આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે, "વર્ષ ૧૯૭૫માં તત્કાલીન વડાપ્રધાન ઇન્દિરા ગાંધીએ માત્ર પોતાની સત્તા પર ટકી રહેવા માટે દેશ પર કટોકટી લાદી દીધી હતી. એ સમયે દેશના બંધારણનું ગળું ઘોંટીને નાગરિકોના મૂળભૂત અધિકારો છીનવી લેવામાં આવ્યા હતા."
તેમણે વધુમાં ઉમેર્યું કે, આજે આપણે એ તમામ દેશભક્તો અને વીરોને આદરપૂર્વક યાદ કરીએ છીએ જેમણે જેલના સળિયા પાછળ રહીને પણ કટોકટીનો ઉગ્ર વિરોધ કર્યો હતો અને દેશમાં ફરી લોકશાહીની સ્થાપના કરવા માટે લાંબી લડત આપી હતી.
૩ દિવસ સુધી અલગ-અલગ સ્થળોએ યોજાશે પ્રદર્શન
શહેર ભાજપના જણાવ્યા અનુસાર, નવી પેઢી કટોકટીના કાળા ઇતિહાસથી માહિતગાર થાય તે હેતુથી ગાંધીનગરમાં ૩ દિવસીય વિશેષ પ્રદર્શનનું આયોજન કરાયું છે. આ પ્રદર્શન શહેરના જુદા-જુદા જાહેર સ્થળોએ યોજવામાં આવશે, જેમાં ચિત્રો, દસ્તાવેજો અને તસવીરોના માધ્યમથી કટોકટી સમયની ક્રૂરતા અને સેન્સરશીપને દર્શાવવામાં આવશે.
સતવારા સમાજ અને હર્ષદપુરમાં શોકનું મોજું : કતારના LNG પ્લાન્ટમાં બ્લાસ્ટ થતાં ખંભાળિયાના 31 વર્ષીય યુવાનનું કરુણ મોત, પરિવારમાં માતમ
બંધારણના અધિકારો જળવાઈ રહેવા જરૂરી
આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય લોકોને જાગૃત કરવાનો છે. ભાજપ નેતાઓએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, ભારત જેવા મહાન લોકતાંત્રિક દેશમાં બંધારણના અધિકારો કાયમ માટે જળવાઈ રહે તે અત્યંત જરૂરી છે. ભવિષ્યમાં ફરી ક્યારેય કોઈ શાસક સત્તાના મોહમાં આવીને બંધારણની હત્યા ન કરી શકે, તે માટે નાગરિકોની જાગૃતિ અનિવાર્ય છે. આ પ્રદર્શનમાં મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકો અને પક્ષના કાર્યકરો જોડાઈ રહ્યા છે.





