Home Gujarat Ncert Emergency Chapter Congress Manish Doshi Statement

NCERTના ઇમરજન્સી અધ્યાય પર કોંગ્રેસનો વિરોધ : કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા મનીષ દોશીએ ઉઠાવ્યા અનેક સવાલ

NCERT અને ઇમરજન્સી દર્શવાત દ્રશ્યો
Published by: Chintan Chavda
Last Updated: Jun 25, 2026, 01:09 PM IST

અમદાવાદ: NCERT દ્વારા શાળા અભ્યાસક્રમમાં દેશમાં લાગુ કરાયેલી ઇમરજન્સી (1975-77) અંગેનો એક અધ્યાય ઉમેરવાની વિચારણાને લઈને ગુજરાત કોંગ્રેસે કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું છે. કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા મનીષ દોશીએ જણાવ્યું કે વિદ્યાર્થીઓને દેશના ઇતિહાસની જાણકારી આપવી જરૂરી છે, પરંતુ અભ્યાસક્રમમાં માત્ર પસંદગીના વિષયોનો સમાવેશ કરવાને બદલે ઇતિહાસને સંપૂર્ણ અને નિષ્પક્ષ રીતે રજૂ કરવો જોઈએ.

મનીષ દોશીએ જણાવ્યું હતું કે દેશના દરેક બાળકને ઇમરજન્સી સહિત ભારતના ઇતિહાસ વિશે માહિતી હોવી જોઈએ. જોકે તેમના મતે અભ્યાસક્રમ "સિલેક્ટિવ" નહીં પરંતુ "ઓબ્જેક્ટિવ" હોવો જોઈએ, જેથી વિદ્યાર્થીઓને તમામ ઐતિહાસિક પાસાઓ વિશે સંતુલિત સમજ મળી શકે.

ઇતિહાસના અન્ય પાસાઓનો પણ સમાવેશ કરવાની માંગ

કોંગ્રેસના પ્રવક્તાએ જણાવ્યું કે અભ્યાસક્રમમાં સ્વાતંત્ર્ય સંગ્રામમાં વિવિધ સંગઠનો અને વ્યક્તિઓના યોગદાન, અંગ્રેજ શાસન દરમિયાનની રાજકીય ભૂમિકાઓ તેમજ અન્ય ઐતિહાસિક મુદ્દાઓનો પણ સમાવેશ થવો જોઈએ. તેમણે એવો પણ દાવો કર્યો કે વિદ્યાર્થીઓને દેશના તિરંગા અને રાષ્ટ્રીય મૂલ્યો સાથે જોડાયેલા ઐતિહાસિક પ્રસંગોની પણ માહિતી આપવી જરૂરી છે. મનીષ દોશીએ કેન્દ્ર સરકાર પર શિક્ષણના મુદ્દે ધ્યાન ભટકાવવાનો આક્ષેપ કરતાં કહ્યું કે અભ્યાસક્રમમાં ઇતિહાસ ઉપરાંત વર્તમાન શિક્ષણ વ્યવસ્થાના પડકારો પર પણ ચર્ચા થવી જોઈએ.

આ પણ વાંચો: ગુજરાતના ત્રણ જિલ્લાને મળશે પાણી અને કનેક્ટિવિટીનો મોટો લાભ : મહી નદી પર રૂ. 1,700 કરોડનો બદલપુર-કારેલી બેરેજ કમ બ્રિજ પ્રોજેક્ટને સૈદ્ધાંતિક મંજૂરી

શિક્ષણ વ્યવસ્થાને લઈને સરકાર પર આક્ષેપ

કોંગ્રેસે દાવો કર્યો કે દેશમાં મોટી સંખ્યામાં શાળાઓ બંધ થઈ રહી છે, શિક્ષણનું વ્યાપારીકરણ વધી રહ્યું છે અને વિદ્યાર્થીઓ વિવિધ સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. મનીષ દોશીએ પેપર લીકની ઘટનાઓ, શિક્ષણ ક્ષેત્રની અનિયમિતતાઓ અને વિદ્યાર્થીઓ પર વધતા માનસિક દબાણ જેવા મુદ્દાઓને પણ અભ્યાસક્રમમાં સ્થાન આપવાની માંગ કરી હતી.

તેમણે વધુમાં આરોપ લગાવ્યો કે કેન્દ્ર અને રાજ્ય સરકારો શિક્ષણના મૂળ પ્રશ્નોના ઉકેલને બદલે અન્ય મુદ્દાઓને પ્રાથમિકતા આપી રહી છે. કોંગ્રેસના જણાવ્યા મુજબ, શિક્ષણ ક્ષેત્રે ગુણવત્તા સુધારવા અને વિદ્યાર્થીઓને વધુ સુરક્ષિત તથા પારદર્શક વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવા સરકારનું ધ્યાન કેન્દ્રિત થવું જોઈએ.

ઉલ્લેખનીય છે કે કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલા આ નિવેદન અંગે NCERT અથવા કેન્દ્ર સરકાર તરફથી આ અહેવાલ લખાય ત્યાં સુધી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા સામે આવી નથી.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now