Home National Sarthak Pds Scheme Three Major Reforms Gujarati

રાશન વ્યવસ્થામાં સરકારના 3 મોટા સુધારા : 80 કરોડ લોકોને મળશે સીધો લાભ

બેઠકની છબી
Published by: Niraj Chokshi
Last Updated: May 27, 2026, 11:50 AM IST

દેશના કરોડો રાશન કાર્ડ ધારકો માટે કેન્દ્ર સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના હેઠળ દર મહિને મફત રાશન મેળવનારા આશરે 80 કરોડ લોકો માટે હવે વધુ સુવિધાસભર અને પારદર્શક રાશન વ્યવસ્થા ઉભી કરવામાં આવશે. કેન્દ્રિય કેબિનેટે SARTHAK PDS યોજના ચાલુ રાખવાની મંજૂરી આપતાં જાહેર વિતરણ પ્રણાલી (PDS)માં ત્રણ મોટા સુધારાઓ અમલમાં મૂકવાનો નિર્ણય કર્યો છે.

કેન્દ્ર સરકારનું કહેવું છે કે આ સુધારાઓનો મુખ્ય હેતુ રાશન વિતરણ વ્યવસ્થાને વધુ મજબૂત, ટેક્નોલોજી આધારિત અને પારદર્શક બનાવવાનો છે. આ માટે કેન્દ્ર સરકારે ₹25,530 કરોડનું ફાળવણી પેકેજ પણ મંજૂર કર્યું છે. સરકાર માને છે કે આ નવી વ્યવસ્થાથી ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારો સુધી અનાજ સમયસર અને કોઈપણ ગેરરીતિ વિના પહોંચાડવામાં સરળતા રહેશે.

કેન્દ્રિય મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે SARTHAK PDS યોજના દેશની જાહેર વિતરણ પ્રણાલીને આધુનિક બનાવવા માટેનો એક મહત્વપૂર્ણ પગલું છે. ખાસ કરીને ‘વન નેશન-વન રાશન કાર્ડ’ જેવી યોજનાઓને વધુ અસરકારક બનાવવાનો પણ સરકારનો ઉદ્દેશ્ય છે.

આ પણ વાંચો: ‘સાવધાન રહો, પાણી પીતા રહો અને જરૂરિયાતમંદોને મદદ કરો’ : દેશભરમાં આકરી ગરમી વચ્ચે PM મોદીની અપીલ

રાજ્યોને મળશે રાશન પરિવહન માટે આર્થિક સહાય

કેબિનેટ દ્વારા મંજૂર કરાયેલા પ્રથમ મોટા સુધારા હેઠળ હવે રાજ્યોને રાશન પરિવહન માટે આર્થિક સહાય આપવામાં આવશે. સરકાર રાજ્યની એજન્સીઓને અનાજને ગોડાઉનમાંથી રાશન દુકાનો સુધી પહોંચાડવા માટે નાણાકીય મદદ કરશે.

હાલ સુધી ઘણા રાજ્યોમાં ટ્રાન્સપોર્ટ ખર્ચ વધુ હોવાને કારણે રાશન વિતરણમાં વિલંબ અને ગેરવ્યવસ્થા જેવી સમસ્યાઓ સામે આવતી હતી. ખાસ કરીને દુરસ્ત અને ગ્રામ્ય વિસ્તારોમાં સમયસર અનાજ પહોંચાડવામાં મુશ્કેલીઓ સર્જાતી હતી.

નવી વ્યવસ્થા અમલમાં આવ્યા બાદ ટ્રાન્સપોર્ટ ખર્ચમાં ઘટાડો થશે અને ગરીબોને સમયસર અનાજ ઉપલબ્ધ થઈ શકશે. સરકાર માને છે કે આ નિર્ણયથી રાજ્ય સરકારો પરનો આર્થિક બોજ પણ ઘટશે અને સપ્લાય ચેઇન વધુ મજબૂત બનશે.

આ પણ વાંચો: કેરલમમાં હાઈ-વોલ્ટેજ ડ્રામા : પૂર્વ સીએમ પિનરાઈ વિજયનના ઘરે દરોડા પાડવા ગયેલા ED અધિકારીઓ પર પથ્થરમારો

મળશે ટેક્નોલોજી સપોર્ટ

રાશન વ્યવસ્થામાં બીજો મોટો સુધારો રાશનની દુકાનોને મજબૂત બનાવવાનો છે. લાંબા સમયથી રાશન ડીલરો સરકાર પાસે આધુનિક સુવિધાઓ અને આર્થિક સહાયની માંગ કરી રહ્યા હતા. હવે સરકાર દ્વારા રાશન દુકાનોને ડિજિટલ ઉપકરણો, વધુ સારી સ્ટોરેજ વ્યવસ્થા અને કામગીરી માટે જરૂરી સહાય પૂરી પાડવામાં આવશે. આ કારણે રાશન વિતરણ વ્યવસ્થા વધુ સુવ્યવસ્થિત અને પારદર્શક બનશે. સરકારના મતે જ્યારે રાશન દુકાનો ટેક્નોલોજીથી સજ્જ બનશે ત્યારે ગેરરીતિઓ, ગેરવહીવટ અને રાશનની ચોરી જેવી સમસ્યાઓમાં ઘટાડો થશે. સાથે જ રાશન ડીલરોને પણ આર્થિક રીતે રાહત મળશે.

PDS સિસ્ટમ બનશે સંપૂર્ણ ટેક્નોલોજી આધારિત

ત્રીજો અને સૌથી મહત્વપૂર્ણ સુધારો જાહેર વિતરણ પ્રણાલીના આધુનિકીકરણ સાથે જોડાયેલો છે. સરકાર હવે સમગ્ર PDS સિસ્ટમને ટેક્નોલોજી આધારિત બનાવવા જઈ રહી છે. નવી વ્યવસ્થામાં ઓટોમેશન, ડિજિટલ ટ્રેકિંગ, ઓનલાઈન મોનિટરિંગ, સ્માર્ટ ડિવાઈસ અને ટ્રાન્સપેરન્સી ટૂલ્સનો સમાવેશ કરવામાં આવશે. આ ટેક્નોલોજી દ્વારા અનાજ ક્યાંથી ક્યાં સુધી પહોંચ્યું તેની રિયલ ટાઇમ માહિતી ઉપલબ્ધ રહેશે.

સરકારનો દાવો છે કે આ વ્યવસ્થાથી રાશનની ચોરી, બ્લેક માર્કેટિંગ અને નકલી વિતરણ જેવી સમસ્યાઓ પર નિયંત્રણ મેળવવામાં મદદ મળશે. સાથે જ વાસ્તવિક લાભાર્થીઓ સુધી સરકારી સહાય સીધી અને ઝડપથી પહોંચી શકશે.

આ પણ વાંચો: આસામમાં UCC બિલ મંજૂર : હવે લગ્ન-તલાકથી લઈને લિવ-ઇન સુધી બદલાશે નિયમો

'વન નેશન-વન રાશન કાર્ડ'ને મળશે વધુ મજબૂતી

SARTHAK PDS યોજના દ્વારા ‘વન નેશન-વન રાશન કાર્ડ’ વ્યવસ્થાને વધુ અસરકારક બનાવવાનો પ્રયાસ પણ કરવામાં આવી રહ્યો છે. આ યોજના હેઠળ દેશનો કોઈપણ રાશન કાર્ડ ધારક અન્ય રાજ્યમાં જઈને પણ પોતાનું રાશન મેળવી શકે છે. આ સુવિધા ખાસ કરીને પરપ્રાંતીય મજૂરો અને કામકાજ માટે એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં જતા લોકો માટે અત્યંત ઉપયોગી સાબિત થઈ રહી છે. હવે ડિજિટલ મોનિટરિંગ અને ટેક્નોલોજી આધારિત સિસ્ટમ લાગુ થતાં આ પ્રક્રિયા વધુ સરળ અને પારદર્શક બનશે.

કરોડો પરિવારો માટે રાહતરૂપ નિર્ણય

નિષ્ણાતોના મતે સરકારનો આ નિર્ણય દેશની ખાદ્ય સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવશે. ટેક્નોલોજી આધારિત વિતરણ વ્યવસ્થા અમલમાં આવ્યા બાદ વાસ્તવિક લાભાર્થીઓ સુધી સહાય વધુ ઝડપથી પહોંચશે અને ભ્રષ્ટાચાર તથા ગેરરીતિઓમાં ઘટાડો થશે.

હાલમાં સરકાર પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ કરોડો લોકોને મફત અનાજ ઉપલબ્ધ કરાવી રહી છે. હવે નવી વ્યવસ્થાઓ અમલમાં આવતા ગરીબ પરિવારોને વધુ સારી સેવા અને સરળતા મળશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now