Siddharthnagar News: યુપીના સિદ્ધાર્થનગરમાં ગેરકાયદેસર સંબંધોનો વિરોધ કરવા પર એક પત્નીએ તેના પ્રેમી સાથે મળીને એક ભયાનક ઘટનાને અંજામ આપ્યો છે. બંનેએ પતિ જ્યારે સૂતો હતો ત્યારે તેને ખાટલા સાથે બાંધીને આગ લગાડી દીધી હતી. ગંભીર હાલતમાં પીડિતની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
આસામમાં UCC બિલ મંજૂર : હવે લગ્ન-તલાકથી લઈને લિવ-ઇન સુધી બદલાશે નિયમો
ઉત્તર પ્રદેશના સિદ્ધાર્થનગર જિલ્લાના રેહરા ગામમાં પૂજા ગૌતમ નામની મહિલાએ તેના પ્રેમી ફિરોઝ સાથે મળીને આ ખોફનાક ઘટનાને અંજામ આપ્યો હતો. તેણે પોતાના 28 વર્ષીય પતિ લાલજી ગૌતમને સૂતી વખતે ખાટલા સાથે બાંધીને અને જ્વલનશીલ પદાર્થ છાંટીને જીવતો સળગાવી દીધો હતો. ગેરકાયદેસર સંબંધોની પોલ ખુલી જવા અને તેનો વિરોધ કરવાને કારણે આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો. ગંભીર રીતે દાઝી ગયેલા લાલજીની બસ્તીની એક મેડિકલ કોલેજમાં સારવાર ચાલી રહી છે, જ્યાં તેની હાલત નાજુક બનેલી છે. પોલીસે લાલજીના પિતા ઘમ્માલ પ્રસાદની ફરિયાદના આધારે ગુનો નોંધી મંગળવારે બંને આરોપીઓની સ્થાનિક બસ સ્ટોપ પરથી ધરપકડ કરી ન્યાયિક કસ્ટડીમાં મોકલી આપ્યા છે.
સાઢુભાઈ બનીને બે વર્ષથી ઘરે આવતો હતો પ્રેમી
ન્યૂઝ એજન્સીના જણાવ્યા અનુસાર, પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે લાલજી ગૌતમ અને પૂજાના લગ્ન આઠ વર્ષ પહેલા થયા હતા અને તેમને સાત તથા ચાર વર્ષના બે બાળકો છે. પૂજાને ફિરોઝ નામના યુવક સાથે પ્રેમ સંબંધ હતો.કોઈને શંકા ન જાય તે માટે ફિરોઝ છેલ્લા બે વર્ષથી પૂજાનો સાઢુભાઈ (બનેવી) બનીને તેના ઘરે આવતો-જતો હતો. ૨૧ મેના રોજ લાલજીને ખબર પડી ગઈ કે ફિરોઝનો તેની પત્ની સાથે કોઈ પારિવારિક સંબંધ નથી, જે બાદ ઘરમાં તણાવ વધી ગયો હતો.
ચીસો સાંભળીને દોડી આવેલા પરિવારે આગ ઓલવી
વિવાદ બાદ તે જ રાત્રે જ્યારે લાલજી સૂતો હતો, ત્યારે પૂજા અને ફિરોઝે તેને ખાટલા સાથે બાંધીને આગને હવાલે કરી દીધો હતો. લાલજીની ચીસો સાંભળીને પરિવારના સભ્યો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને ગમે તેમ કરીને આગ ઓલવી હતી, પરંતુ ત્યાં સુધીમાં તે ગંભીર રીતે દાઝી ગયો હતો. સર્કલ ઓફિસર (CO) બ્રિજેશ કુમાર વર્માએ જણાવ્યું કે બંને આરોપીઓની ધરપકડ કરીને જેલ ભેગા કરી દેવામાં આવ્યા છે.





