Home Sports Rishabh Pant Delhi Capitals Return Ipl 2027 Trade Rumours

IPL 2027 પહેલા ખેલાશે મોટો ખેલ! : IPLના સૌથી મોંઘા ખેલાડીની થશે ઘરવાપસી? જાણો શું છે આખો મામલો

Rishabh Pant, IPL 2027
Image Credit: AI
Published by: Aryan Shah
Last Updated: Jun 19, 2026, 02:19 PM IST

IPL 2027 : IPL 2027ની આગામી સીઝન પહેલા ક્રિકેટ જગતમાંથી એક સન્સનીખેજ સમાચાર સામે આવી રહ્યા છે. હાલમાં લખનઉ સુપર જાયન્ટ્સ (LSG) નું નેતૃત્વ કરી રહેલા સ્ટાર વિકેટકીપર-બેટ્સમેન ઋષભ પંત આગામી સીઝનમાં ફરી એકવાર પોતાની જૂની ટીમ એટલે કે દિલ્હી કેપિટલ્સ (DC) માં પરત ફરી શકે છે. રિપોર્ટ્સ અનુસાર, દિલ્હી કેપિટલ્સ અને લખનઉ સુપર જાયન્ટ્સ વચ્ચે ખેલાડીઓની એક મોટી અદલાબદલી (Trade) થવા જઈ રહી છે, જે આ સીઝનનો સૌથી મોટો ફેરફાર સાબિત થઈ શકે છે.

પંત અને કુલદીપ વચ્ચે અદલાબદલી

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ ટ્રેડિંગ વિન્ડો દરમિયાન ઋષભ પંત અને સ્પિનર કુલદીપ યાદવ વચ્ચે અદલાબદલી થઈ શકે છે. પંતના સ્થાને દિલ્હી કેપિટલ્સના ચાઈનામેન બોલર કુલદીપ યાદવને લખનઉ સુપર જાયન્ટ્સમાં મોકલવામાં આવી શકે છે. જો આ ડીલ ફાઇનલ થશે, તો ઋષભ પંત ફરીથી દિલ્હી કેપિટલ્સની જર્સીમાં રમતા જોવા મળશે, જ્યાંથી તેણે પોતાની IPL કરિયરની શરૂઆત કરી હતી અને લાંબો સમય વિતાવ્યો હતો.

આ પણ ખાસ વાંચો : "Somebody" એ કરવું પડશે અસાધારણ પ્રદર્શન! : કિશનના ધમાકેદાર ફોર્મથી રોહિત, યશસ્વી, રાહુલ કે શ્રેયસ કોનું સ્થાન સૌથી વધુ જોખમમાં?

લખનઉ માટે પંતનું નબળું પ્રદર્શન

તમને જણાવી દઈએ કે, લખનઉ સુપર જાયન્ટ્સે IPL 2025ના મેગા ઓક્શનમાં ઋષભ પંતને ₹27 કરોડની રેકોર્ડબ્રેક કિંમતે ખરીદ્યો હતો. આ સાથે પંત IPL ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી બન્યો હતો. ભારે કિંમતે ખરીદ્યા પછી ફ્રેન્ચાઈઝીએ તેને કેપ્ટનશીપની મોટી જવાબદારી પણ સોંપી હતી. જોકે, પંત બેટિંગ અને કેપ્ટનશીપ બંને મોરચે અપેક્ષા મુજબનું પ્રદર્શન કરી શક્યો ન હતો. તેણે 2025ની સીઝનમાં લખનઉ માટે માત્ર 269 રન બનાવ્યા હતા અને તેના પછીની 2026ની સીઝનમાં તે માત્ર 312 રન જ બનાવી શક્યો હતો.

આ પણ ખાસ વાંચો : IPL 2027માં યુવરાજ સિંહની વાપસી લગભગ ફાઈનલ... : 'ફ્લોપ' ટીમે આપી મોટી ઓફર

પંતે કેપ્ટનશીપ છોડવાનો નિર્ણય કર્યો

IPL 2026માં લખનઉ સુપર જાયન્ટ્સ પ્લેઓફની રેસમાંથી બહાર થઈ ગયા પછી, ઋષભ પંતે ટીમની કપ્તાની છોડવાનો મોટો નિર્ણય લીધો હતો. ફ્રેન્ચાઈઝીએ એક સત્તાવાર અહેવાલ જાહેર કરીને આ અંગેની માહિતી શેર કરી હતી. પંતે પોતે જ ફ્રેન્ચાઈઝીને વિનંતી કરી હતી કે તેને કેપ્ટનશીપની જવાબદારીઓમાંથી મુક્ત કરવામાં આવે, જેને લખનઉની ટીમે સ્વીકારી લીધી હતી. તેના આ નિર્ણય બાદથી જ તેના દિલ્હીમાં પરત ફરવાની અટકળો તેજ થઈ ગઈ હતી.

આ પણ ખાસ વાંચો : રોહિત-કોહલીના ભવિષ્ય પર આખરે BCCIએ તોડ્યું મૌન : ‘રોહિતની છેલ્લી મેચ’ના વાયરલ દાવા વચ્ચે 2027 વર્લ્ડ કપ અંગે આપી મોટી સ્પષ્ટતા

કેએલ રાહુલ બની શકે છે દિલ્હીના નવા કેપ્ટન

રિપોર્ટ્સમાં માત્ર ખેલાડીઓની અદલાબદલી જ નહીં, પરંતુ કપ્તાનીને લઈને પણ એક મોટો ખુલાસો કરવામાં આવ્યો છે. એવું જાણવા મળ્યું છે કે, અનુભવી વિકેટકીપર-બેટ્સમેન કેએલ રાહુલને દિલ્હી કેપિટલ્સની કમાન સોંપવામાં આવી શકે છે. ઉલ્લેખનીય છે કે, પંતના ગયા પછી ભારતીય ઓલરાઉન્ડર અક્ષર પટેલને દિલ્હીનો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો, પરંતુ તેની કેપ્ટનશીપ હેઠળ ટીમનું પ્રદર્શન ખૂબ જ નબળું રહ્યું હતું અને અક્ષરની કેપ્ટનશીપ સંપૂર્ણપણે નિષ્ફળ સાબિત થઈ હતી.

આ પણ ખાસ વાંચો : 60 વર્ષ પછી FIFAમાં તૂટ્યો આ ઐતિહાસિક રેકોર્ડ : માત્ર 26 વર્ષની ઉંમરે જોનાથન ડેવિડે કરી કમાલ

સત્તાવાર જાહેરાતની રાહ

જોકે, ક્રિકેટ ચાહકો માટે એ જાણવું ખૂબ જ જરૂરી છે કે ઋષભ પંત અને કુલદીપ યાદવની આ સંભવિત અદલાબદલી તેમજ કેએલ રાહુલની કેપ્ટનશીપને લઈને હજુ સુધી દિલ્હી કેપિટલ્સ કે લખનઉ સુપર જાયન્ટ્સ ફ્રેન્ચાઈઝી તરફથી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. આગામી દિવસોમાં આ ટ્રેડ વિશે ફ્રેન્ચાઇઝી દ્વારા સત્તાવાર મહોર મારવામાં આવે તેવી શક્યતા છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now