વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 15 ઓગસ્ટ 2025ના રોજ 'મિશન સુદર્શન ચક્ર'ની જાહેરાત કરીને ભારતના સંરક્ષણ ક્ષેત્રમાં એક નવા યુગના મંડાણ કર્યા હતા. આ એક વિશાળ સ્વદેશી એર ડિફેન્સ પ્રોગ્રામ છે જેનો મુખ્ય ઉદ્દેશ્ય 2035 સુધીમાં સમગ્ર દેશને એક મજબૂત સુરક્ષા કવચ પૂરું પાડવાનો છે. આ હાઈટેક પ્રોજેક્ટ દુશ્મન દેશોની મિસાઈલ, ડ્રોન અને યુદ્ધ વિમાનો કોઈપણ નુકસાન પહોંચાડે તે પહેલા જ તેમને હવામાં તોડી પાડવા માટે સક્ષમ છે. ચાલો જાણીએ કે ભારતનું આ સુદર્શન ચક્ર કઈ રીતે કામ કરશે અને તે કેટલું શક્તિશાળી હશે.
મલ્ટી લેયર્ડ ડિફેન્સ આર્કિટેક્ચર અને હુમલાની ક્ષમતા
મિશન સુદર્શન ચક્ર માત્ર એક સામાન્ય પ્લેટફોર્મ નથી પરંતુ તે અનેક સ્તરોમાં વહેંચાયેલી એક જટિલ સંરક્ષણ પ્રણાલી છે. આ સિસ્ટમમાં અલગ અલગ અંતર અને ઊંચાઈ પરથી આવતા ખતરાઓને ઓળખીને તેને નિષ્ક્રિય કરવાની ક્ષમતા છે. સૌથી બહારના સ્તરમાં આશરે 2500 કિલોમીટર સુધીની દેખરેખ ક્ષમતા (Surveillance Capability) અને લગભગ 400 કિલોમીટરની પ્રહાર ક્ષમતા (Strike Capability) હશે. આનો અર્થ એ છે કે પાડોશી દેશો દ્વારા થતા મિસાઈલ લોન્ચિંગને પણ ભારત તુરંત ટ્રેક કરી શકશે.
ટૂંકા અને મધ્યમ અંતરના રક્ષણ માટે આકાશ-NG, MRSAM, QRSAM અને VSHORADS જેવી સ્વદેશી મિસાઈલ સિસ્ટમ્સને આ પ્રોગ્રામ સાથે સાંકળવામાં આવશે. આ સિસ્ટમ્સ ક્રુઝ મિસાઈલ અને બેલેસ્ટિક ખતરા સામે રક્ષણ આપવાની સાથે ડ્રોન હુમલાનો સામનો કરવા માટે લેસર આધારિત જેર્મસનો પણ ઉપયોગ કરશે.
સ્પેસ ટેકનોલોજી અને રડારનું જાળું
આ મિશનનું સૌથી આકર્ષક પાસું તેનું સ્પેસ અને સેટેલાઈટ ઈન્ટિગ્રેશન છે. વર્ષ 2030 સુધીમાં ભારત 52 નવા સેટેલાઈટનું એક નેટવર્ક સ્થાપિત કરવાનું લક્ષ્ય ધરાવે છે જે દુશ્મનની ગતિવિધિઓ પર નજર રાખશે. આ સેટેલાઈટ્સ 'અર્લી વોર્નિંગ સિસ્ટમ' તરીકે કામ કરશે અને પળવારમાં સંભવિત હુમલાની જાણકારી આપશે.
જમીન સ્તરે પણ સુરક્ષા જાળ મજબૂત કરવા માટે દેશભરમાં અંદાજે 6000થી 7000 રડાર તૈનાત કરવામાં આવશે. આટલું મોટું રડાર નેટવર્ક હોવાને કારણે દુશ્મનનું કોઈપણ ડ્રોન કે મિસાઈલ ભારતની નજરમાંથી બચી શકશે નહીં.
આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ અને સાયબર સિક્યુરિટીનો આધાર
મિશન સુદર્શન ચક્રમાં ઝડપી નિર્ણય લેવા માટે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) નો ભરપૂર ઉપયોગ કરવામાં આવશે. AI આધારિત સિસ્ટમ્સ ડેટાનું પૃથ્થકરણ કરીને હુમલાની દિશા અને ઝડપની ગણતરી કરશે અને સેકન્ડના ભાગમાં વળતા પ્રહાર માટેના ઉપાયો સૂચવશે. મિસાઈલ ડિફેન્સમાં સમયની કિંમત સૌથી વધુ હોય છે અને AI દ્વારા આ પ્રક્રિયા અત્યંત ઝડપી બનશે.
નેટવર્ક ડિજિટલ હોવાને કારણે સાયબર હુમલાનો ભય પણ રહે છે. આથી હેકિંગ અને ડિજિટલ તોડફોડ જેવી પ્રવૃત્તિઓથી બચવા માટે આ સિસ્ટમમાં અત્યંત મજબૂત સાયબર સિક્યુરિટીના સ્તરો બનાવવામાં આવશે.
સંરક્ષણની ઢાલ અને આક્રમણની તલવાર
ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફના જણાવ્યા મુજબ સુદર્શન ચક્ર માત્ર રક્ષણ માટેની ઢાલ જ નહીં પરંતુ જરૂર પડ્યે આક્રમણ માટેની તલવાર પણ સાબિત થશે. જોકે તેનું પ્રાથમિક કાર્ય હુમલાઓને રોકવાનું છે પરંતુ જરૂરિયાત મુજબ તે વળતા પ્રહાર એટલે કે કાઉન્ટર સ્ટ્રાઈક ઓપરેશનમાં પણ સક્રિય ભૂમિકા ભજવશે.
S-400 સિસ્ટમનું નવું નામ અને સંકલન
આ મિશનનો એક મહત્વનો હિસ્સો રશિયા પાસેથી મેળવેલી S-400 સિસ્ટમ છે જે દુનિયાની શ્રેષ્ઠ એર ડિફેન્સ પ્રણાલી ગણાય છે. ભારતીય વાયુસેનામાં S-400નું નામ બદલીને હવે 'સુદર્શન ચક્ર' કરી દેવામાં આવ્યું છે. આ શક્તિશાળી પ્લેટફોર્મને ભારતીય બનાવટની સિસ્ટમ્સ સાથે એવી રીતે જોડવામાં આવશે કે જેથી ડેટા શેરિંગ અને ટાર્ગેટ હુમલો વધુ સચોટ અને અસરકારક બની શકે.




















