આજે તારીખ 22 ફેબ્રુઆરી છે. ભારતના ઇતિહાસ અને ખાસ કરીને ગુજરાત માટે આજનો દિવસ અત્યંત મહત્વનો છે. આજના દિવસે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના પત્ની અને આઝાદીની લડતના મજબૂત સાથી એવા કસ્તુરબા ગાંધીની પુણ્યતિથિ છે, સાથે જ ગુજરાતના લોકપ્રિય નેતા અને મહાગુજરાત આંદોલનના પ્રણેતા ઇન્દુલાલ યાજ્ઞિકની જન્મજયંતિ પણ છે. જાણો ઇતિહાસની તારીખમાં નોંધાયેલી આજના દિવસની અન્ય મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે.
કસ્તુરબા ગાંધી: સત્યાગ્રહની શક્તિ (પુણ્યતિથિ)
મહાત્મા ગાંધીના પત્ની કસ્તુરબા, જેમને સમગ્ર દેશ આદરપૂર્વક 'બા' તરીકે સંબોધે છે, તેમની આજે પુણ્યતિથિ છે. 11 એપ્રિલ, 1869ના રોજ પોરબંદરમાં જન્મેલા કસ્તુરબાએ ગાંધીજીના દરેક સત્યાગ્રહમાં ખભેખભા મિલાવીને સાથ આપ્યો હતો. જેલવાસ દરમિયાન કથળતી તબિયતને કારણે 22 ફેબ્રુઆરી 1944ના રોજ પુનાના આગાખાન પેલેસમાં તેમનું નિધન થયું હતું.
ઇન્દુલાલ યાજ્ઞિક: જનતાના ચાચા (જન્મજયંતિ)
ગુજરાત રાજ્યની સ્થાપના માટે થયેલા મહાગુજરાત આંદોલનના લોકપ્રિય નેતા ઇન્દુલાલ યાજ્ઞિક (ઇન્દુચાચા) નો જન્મ 22 ફેબ્રુઆરી 1892ના રોજ થયો હતો. તેઓ 'ઓલ ઇન્ડિયા કિસાન સભા'ના સ્થાપક સભ્યોમાંના એક હતા. આ ઉપરાંત આજના દિવસે સ્વાતંત્ર્ય સેનાની યતિન્દ્ર મોહન સેન ગુપ્તા અને સ્વામી સહજાનંદ સરસ્વતીની પણ જન્મજયંતિ છે.
22 ફેબ્રુઆરીની મહત્વપૂર્ણ ઐતિહાસિક ઘટનાઓ
1845: ઈસ્ટ ઈન્ડિયા કંપનીએ ડચ ઈસ્ટ ઈન્ડિયા કંપની પાસેથી સેરામપુર અને બાલાસોર ખરીદ્યા.
1907: લંડનમાં મીટરવાળી પહેલી કેબ ટેક્સીની શરૂઆત થઈ.
1935: સુરક્ષાના કારણોસર અમેરિકાના વ્હાઇટ હાઉસ ઉપરથી વિમાનની ઉડાન પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો.
1974: પાકિસ્તાને સત્તાવાર રીતે બાંગ્લાદેશને એક સ્વતંત્ર રાષ્ટ્ર તરીકે માન્યતા આપી.
1996: જર્મનીના સંશોધન કેન્દ્રના વૈજ્ઞાનિકોએ 112મું તત્વ શોધી કાઢ્યું.
2011: ન્યુઝીલેન્ડના ક્રાઈસ્ટચર્ચમાં આવેલા ભયાનક ભૂકંપમાં 181 લોકોએ જીવ ગુમાવ્યા હતા.




















