મહારાષ્ટ્રના પૂર્વ નાયબ મુખ્યમંત્રી અજિત પવારના પ્લેન ક્રેશમાં થયેલા આકસ્મિક નિધન બાદ આ મામલે રાજકીય ગરમાવો વધી રહ્યો છે. NCP ના નેતા રોહિત પવારે આ ઘટનાને માત્ર અકસ્માત નહીં, પરંતુ એક મોટું ષડયંત્ર ગણાવીને PM મોદીને પત્ર લખ્યો છે. રોહિત પવારે નાગરિક ઉડ્ડયન મંત્રી રામમોહન નાયડુના રાજીનામાની માંગ કરી છે અને તપાસ પર ગંભીર સવાલો ઉઠાવ્યા છે.
ક્રેશ તપાસ અને ગંભીર સવાલો
રોહિત પવારે આરોપ લગાવ્યો છે કે આ ક્રેશની તપાસ પારદર્શક રીતે થઈ રહી નથી. તેમણે PMને વિનંતી કરી છે કે જ્યાં સુધી તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી એવિએશન મંત્રીએ પોતાના પદ પરથી હટી જવું જોઈએ, જેથી તપાસમાં કોઈ દખલગીરી ન થાય. રોહિત પવારના જણાવ્યા મુજબ, જે કંપનીનું પ્લેન (VSR Ventures) હતું, તેના માલિકોના સંબંધો સત્તાધારી પક્ષના નેતાઓ સાથે હોવાથી તપાસ પર અસર પડી શકે છે.

પ્લેનમાં વધારાનું પેટ્રોલ કેમ હતું?
રોહિત પવારે સૌથી મોટો અને ચોંકાવનારો મુદ્દો પ્લેનમાં રાખવામાં આવેલા વધારાના ઈંધણનો ઉઠાવ્યો છે. તેમના મતે:
મુંબઈથી બારામતીનું અંતર ઘણું ઓછું છે, તેમ છતાં પ્લેનમાં ક્ષમતા કરતા વધારે ઈંધણ ભરવામાં આવ્યું હતું.
તેમણે દાવો કર્યો કે પ્લેનમાં ગેરકાયદેસર રીતે ઈંધણના વધારાના કેન રાખવામાં આવ્યા હતા, જે ક્રેશ સમયે 'બોમ્બ'ની જેમ ફાટ્યા હતા.
આ ઈંધણને કારણે જ પ્લેનમાં એક નહીં પણ અનેક બ્લાસ્ટ થયા હતા, જેના કારણે આગ પર કાબૂ મેળવવો અશક્ય બની ગયો હતો.
સવાલ એ છે કે જો ઈંધણ ખૂટી જવાનો કોઈ ડર નહોતો, તો આટલું બધું ફ્યુઅલ સાથે રાખવાની પરવાનગી કોણે આપી?
અન્ય શંકાસ્પદ મુદ્દાઓ:
1. પાઈલટમાં ફેરફાર: રોહિત પવારે સવાલ ઉઠાવ્યો છે કે છેલ્લી ઘડીએ પ્લેનના મુખ્ય પાઈલટ કેમ બદલવામાં આવ્યા હતા?
2. બ્લેક બોક્સ પર શંકા: એવી દલીલ કરવામાં આવી છે કે પ્લેનનો પાછળનો ભાગ સુરક્ષિત હતો, તો પછી બ્લેક બોક્સ કેવી રીતે ડેમેજ થયું? કોપર વાયર અકબંધ હોવા છતાં ડેટા કેમ મળતો નથી?
3. ઈન્સ્યોરન્સ એંગલ: પ્લેનની કિંમત ૩૫ કરોડ હતી, પરંતુ તેનો વીમો 210 કરોડનો લેવામાં આવ્યો હતો. રોહિત પવારે આ આર્થિક પાસાની પણ તપાસ કરવાની માંગ કરી છે.
રોહિત પવારે વડાપ્રધાન મોદી અને ગૃહમંત્રી અમિત શાહને વ્યક્તિગત રીતે આ મામલામાં દખલ કરવા વિનંતી કરી છે. તેમણે માંગ કરી છે કે આ તપાસ કોઈ આંતરરાષ્ટ્રીય એજન્સી અથવા સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જજની દેખરેખ હેઠળ થવી જોઈએ, જેથી અજિત પવારના મૃત્યુ પાછળનું સત્ય બહાર આવી શકે.




















