Surendranagar News: કહેવાય છે ને કે જ્યારે કાયદાની લાઠીમાં માનવતા ભળે છે, ત્યારે ચમત્કારો થાય છે! આવો જ એક ચમત્કાર સુરેન્દ્રનગર જિલ્લામાં જોવા મળ્યો છે, જ્યાં વ્યાજખોરોના અમાનુષી ત્રાસ અને માનસિક ટોર્ચરનો ભોગ બનેલા બે પરિવારો માટે સુરેન્દ્રનગર પોલીસ સાચા અર્થમાં ‘દેવદૂત’ સાબિત થઈ છે. વર્ષોથી અંધકારમાં જીવતા પરિવારોના ઘરમાં પોલીસે ગણતરીના કલાકોમાં ખુશીઓનો ઉજાસ પાછો લાવ્યો છે.
કેસ ૧: માત્ર 24 કલાકમાં લીંબડીના પરિવારને પરત મળ્યું ₹1 કરોડનું 70 તોલા સોનું
છેલ્લા 4-5 વર્ષથી લીંબડીના એક મધ્યમવર્ગીય પરિવારના ઘરમાં અંધારું છવાયેલું હતું. આર્થિક તંગી અને વ્યાજખોરોના ત્રાસના કારણે કોળી સમાજના શૈલેષ જીવણ કાગડીયાનો પરિવાર જીવતેજીવ નરક જેવું જીવન ભોગવી રહ્યો હતો. પરિવારે પોતાની આખી જિંદગીની મૂડી સમાન 70 તોલા સોનાના દાગીના અને 30 લાખ રૂપિયા ગુમાવી દીધા હતા. પરિવારને એમ જ હતું કે હવે બધું જ પૂરું થઈ ગયું છે.
મહિલાઓની હિંમત અને પોલીસનો સપાટો
જ્યારે આ પરિવારની મહિલાઓ હિંમત કરીને સુરેન્દ્રનગર પોલીસના શરણે પહોંચી, ત્યારે જિલ્લા પોલીસ વડા (SP) પ્રેમસુખ ડેલુએ આ પીડાને માત્ર એક ગુના તરીકે નહીં, પણ એક પરિવારની જિંદગી બચાવવાના મિશન તરીકે લીધી. SPની સૂચનાથી લીંબડી ડીવાયએસપી વિશાલ રબારી, પીઆઇ અને પીએસઆઇ સહિતની ટીમે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી.
દિલ ચીરી નાખે તેવી ઘટના! સુરતના પાંડેસરામાં માનવતા શરમાઈ : રસ્તા પાસે રડતી હાલતમાં મળી નવજાત બાળકી
પરિવારનો આક્રોશ અને આંસુ ખુશીમાં બદલાયા
પીડિત વસંતબેન અને ગીતાબેને જણાવ્યું કે, "અમે ચાર વર્ષ પહેલા પૈસાની જરૂર હોવાથી સગા-વહાલાંનું મળીને 70 તોલા સોનું વ્યાજે રૂપિયા લેવા મૂક્યું હતું. વ્યાજના પૈસા ન થતાં વ્યાજખોરો દાગીના આપતા નહોતા. પણ પોલીસ ટીમે 24 કલાક પણ ના થવા દીધી અને અમારા તમામ દાગીના પરત અપાવી દીધા." ઉંટડી ગામના મગનભાઈએ ઉમેર્યું કે પોલીસે મૂળ રકમ આપીને અમારું સન્માનજનક સમાધાન પણ કરાવ્યું છે. હાલના બજાર ભાવ પ્રમાણે આ સોનાની કિંમત 1 કરોડ રૂપિયાથી વધુ હોવાનું પોલીસે જણાવ્યું છે. ખુશીથી ગદગદિત થયેલો પરિવાર પેંડા લઈને એસપી કચેરીએ પહોંચ્યો હતો અને એસપી પ્રેમસુખ ડેલુ તેમજ એએસપી વેદિકા બિહાની સહિતના સ્ટાફને શાલ ઓઢાડી સન્માન કર્યું હતું.
કેસ ૨: સામૂહિક આત્મહત્યાના ઉંબરે ઉભેલા દંપતીને 6 કલાકમાં આપ્યું નવું જીવન
બીજી તરફ, વ્યાજખોરીનો આવો જ એક ભયાનક કિસ્સો સુરેન્દ્રનગરમાં સામે આવ્યો હતો. અહીં અનિલ પરમાર અને તેમના પત્ની વ્યાજખોરોના એવા ચુંગાલમાં ફસાયા હતા કે તેઓ પોતાના નાના બાળકો સાથે સામૂહિક આત્મહત્યા કરવાનું વિચારી રહ્યા હતા. વર્ષો પહેલા લીધેલા માત્ર 3 લાખ રૂપિયાના બદલામાં આ દંપતીએ 18 લાખ રૂપિયા ચૂકવી દીધા હોવા છતાં, લોભી વ્યાજખોરો વધુ 20 લાખની માંગણી કરી રહ્યા હતા અને ગીરવે મૂકેલું 35 તોલા સોનું પરત આપતા નહોતા.
6 કલાકની અંદર ન્યાય!
આત્મહત્યાના ઉંબરે ઉભેલા આ પરિવારની વહારે પણ સુરેન્દ્રનગર પોલીસ આવી. પોલીસે માત્ર 6 કલાકની ગણતરીની મિનિટોમાં જ સપાટો બોલાવીને વ્યાજખોરો પાસેથી ₹51 લાખની કિંમતનું 35 તોલા સોનું રિકવર કરીને દંપતીને પરત સોંપ્યું હતું. 5મી મેના રોજ એસપી કચેરી ખાતે જ્યારે આ દાગીના પરત કરાયા ત્યારે અત્યંત ભાવુક દૃશ્યો સર્જાયા હતા.
સુરત ઇકોસેલ પોલીસે કરોડોના રિસોર્ટ કૌભાંડનો કર્યો પર્દાફાશ : એક જ પરિવારના ૩ સભ્યોને દબોચ્યા!
SP પ્રેમસુખ ડેલુની જનતાને અપીલ: "ખોટું પગલું ન ભરો, પોલીસ બેઠી છે"
આ સફળ કામગીરી અંગે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુંએ લોકોને હિંમત આપતા જણાવ્યું હતું કે અમારી સુરેન્દ્રનગર જિલ્લાની પોલીસ ટીમ (ડીવાયએસપી અને પીઆઇ સહિત) વ્યાજવટાવ કે લોકોને હેરાનગતિ કરતા તત્વો સામે કડક કામ કરી રહી છે. કોઈને પણ કોઈપણ જાતની પરેશાની હોય તો કોઈપણ ખોટું કે આત્મઘાતી પગલું ભર્યા વગર સીધા જ અમારી ઓફિસ, DYSP કે PIનો સંપર્ક કરો. તમારી સમસ્યાનો ચોક્કસ નિકાલ કરવામાં આવશે. સુરેન્દ્રનગર પોલીસની આ માનવતાવાદી અને સિંગમ સ્ટાઈલ કામગીરીને કારણે આજે આખા પંથકમાં ખાખી વર્દીનું ગૌરવ અને જનતાનો વિશ્વાસ સો ગણો વધી ગયો છે.





