ભારતીય રિઝર્વ બેંક દ્વારા જૂન મહિનાનું બેંક હોલિડે લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે. જૂન મહિનાની શરૂઆત પહેલાં જ બેંક ગ્રાહકો માટે મહત્વપૂર્ણ માહિતી સામે આવી છે કારણ કે આગામી મહિનામાં કુલ 13 દિવસ વિવિધ કારણોસર બેંકો બંધ રહેશે. શનિવાર-રવિવારની નિયમિત રજાઓ ઉપરાંત વિવિધ તહેવારો, જયંતિઓ અને પ્રાદેશિક ઉજવણીઓનાં કારણે દેશના અલગ-અલગ રાજ્યોમાં બેંકિંગ સેવાઓ પ્રભાવિત થવાની શક્યતા છે.
બેંકમાં ચેક ક્લિયરન્સ, રોકડ જમા, ડ્રાફ્ટ બનાવવું કે અન્ય કાગળ આધારિત કામ હોય તો ગ્રાહકોએ પહેલેથી આયોજન કરી લેવું જરૂરી બની ગયું છે. ખાસ કરીને વેપારીઓ, પગાર ધારકો અને બેંકિંગ પર આધારિત વ્યવસાય કરતા લોકો માટે આ હોલિડે લિસ્ટ મહત્વપૂર્ણ છે.
આ પણ વાંચો: શું ફરી લોકડાઉન જેવી સ્થિતિ સર્જાશે? : ઇબોલા વાયરસને લઈ ભારત હાઈ એલર્ટ પર, DGCA દ્વારા નવી SOP જાહેર
શનિવાર-રવિવારની નિયમિત રજાઓ
જૂન મહિનામાં કુલ 6 દિવસ એવી રજાઓ રહેશે જેમાં સમગ્ર દેશમાં બેંકો સંપૂર્ણ બંધ રહેશે. તેમાં રવિવાર અને બીજા-ચોથા શનિવારનો સમાવેશ થાય છે. RBIની ગાઈડલાઈન મુજબ 7 જૂને રવિવાર, 13 જૂને બીજો શનિવાર, 14 જૂને રવિવાર, 21 જૂને રવિવાર, 27 જૂને ચોથો શનિવાર અને 28 જૂને રવિવાર હોવાથી બેંકો રહેશે બંધ.
આ દિવસોમાં બેંકના કાઉન્ટર પર કોઈ કામકાજ નહીં થાય. ગ્રાહકો ચેક જમા, પાસબુક એન્ટ્રી, રોકડ ઉપાડ-જમા અથવા અન્ય ઓફલાઈન બેંકિંગ સેવા મેળવી શકશે નહીં. જેના કારણે ગ્રાહકોને અગાઉથી જરૂરી કામ પૂર્ણ કરવાની સલાહ આપવામાં આવી રહી છે.
તહેવારો અને વિશેષ દિવસોની રજાઓ
જૂન મહિનામાં અલગ-અલગ રાજ્યોમાં ઉજવાતા તહેવારો અને વિશેષ દિવસોને કારણે પણ બેંક બંધ રહેશે. 26 જૂને ઘણા રાજ્યોમાં મોહરમ નિમિત્તે બેંકો બંધ રહેશે. મુસ્લિમ સમાજ માટે મહત્વપૂર્ણ મનાતા આ દિવસે અનેક સરકારી કચેરીઓ સાથે બેંકિંગ સેવાઓ પણ પ્રભાવિત થશે.
15 જૂનના રોજ ભુવનેશ્વરમાં રાજા સંક્રાંતિના અવસરે બેંક રજા રહેશે.
આઈઝોલમાં YMA ડે નિમિત્તે પણ બેંકો બંધ રહેશે. મિઝોરમમાં આ દિવસને સામાજિક અને સાંસ્કૃતિક મહત્વ ધરાવતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે.
17 જૂનના રોજ હરિયાણામાં મહારાણા પ્રતાપ જયંતિ નિમિત્તે બેંકો બંધ રહેશે.
8 જૂને પંજાબમાં શ્રી ગુરુ અર્જુન દેવ જીના શહીદી દિવસ નિમિત્તે બેંકિંગ સેવાઓ બંધ રહેશે.
29 જૂને સંત કબીર દાસ જયંતિના અવસરે પંજાબ, હરિયાણા અને શિમલા સહિતના વિસ્તારોમાં બેંકોમાં રજા રહી શકે છે.
30 જૂને મિઝોરમમાં રેમનાની પર્વના કારણે બેંક બંધ રહેશે
આ પણ વાંચો: IMDની મોટી આગાહી : આગામી 8 કલાકમાં દેશના 17 રાજ્યોમાં તોફાની વરસાદનું એલર્ટ, 80 કિમીની ઝડપે ફૂંકાશે પવન
બેંકો બંધ રહે તો શું નહીં થાય?
બેંક હોલિડે દરમિયાન બેંક શાખાઓ સંપૂર્ણપણે બંધ રહેતી હોવાથી તમામ ઓફલાઈન કામકાજ અટકી જશે. ચેક ક્લિયરન્સની પ્રક્રિયા થોડી મોડે થઈ શકે છે. રોકડ જમા કરાવવું, ડિમાન્ડ ડ્રાફ્ટ બનાવવું, RTGS અથવા NEFT સંબંધિત શાખા આધારિત પ્રક્રિયા પણ અસરગ્રસ્ત બની શકે છે. ખાસ કરીને મહિનાના અંતિમ દિવસોમાં વેપારીઓ અને ઉદ્યોગકારો માટે બેંકિંગ કામનું ભારણ વધુ રહેતું હોય છે. તેથી RBIની હોલિડે લિસ્ટ ધ્યાનમાં રાખીને સમયસર ટ્રાન્ઝેક્શન પૂર્ણ કરવાની સલાહ આપવામાં આવી રહી છે. ઘણા ગ્રાહકો હજુ પણ કાગળ આધારિત બેંકિંગ સેવાઓ પર નિર્ભર છે. આવી સ્થિતિમાં રજાઓ દરમિયાન મુશ્કેલી ન પડે તે માટે લોકો અગાઉથી આયોજન કરે તે જરૂરી છે.
ડિજિટલ બેંકિંગ સેવાઓ ચાલુ રહેશે
બેંક શાખાઓ બંધ હોવા છતાં ડિજિટલ બેંકિંગ સેવાઓ યથાવત્ ચાલુ રહેશે. ગ્રાહકો UPI, Google Pay, PhonePe, Paytm, મોબાઈલ બેંકિંગ અને નેટ બેંકિંગ મારફતે પૈસાની લેવડદેવડ કરી શકશે. ATM સેવાઓ પણ કાર્યરત રહેશે, જેના કારણે રોકડ ઉપાડવામાં મુશ્કેલી નહીં પડે. ગ્રાહકો ઓનલાઇન બિલ પેમેન્ટ, બેલેન્સ ચેક, ફંડ ટ્રાન્સફર અને અન્ય ડિજિટલ સેવાઓનો લાભ લઈ શકશે.
છેલ્લા કેટલાક વર્ષોમાં ડિજિટલ બેંકિંગનો વ્યાપ ઝડપથી વધ્યો છે, જેના કારણે હવે બેંક હોલિડે દરમિયાન પણ મોટા ભાગના નાણાકીય વ્યવહારો સરળતાથી શક્ય બની રહ્યા છે. તેમ છતાં મોટા મૂલ્યના ટ્રાન્ઝેક્શન અથવા દસ્તાવેજ આધારિત કામ માટે ગ્રાહકોને બેંક ખુલ્લી હોય તે દિવસોમાં જ મુલાકાત લેવી પડશે.






