IMD Rain Alert: છેલ્લા કેટલાક દિવસોથી દેશભરમાં કાળઝાળ ગરમી અને લૂના પ્રકોપથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા, પરંતુ હવે હવામાનમાં મોટો પલટો આવવાની શક્યતા છે. ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા આગામી 8 કલાકમાં દેશના 17 જેટલા રાજ્યોમાં ભારે આંધી, ગાજવીજ સાથે વરસાદ અને તેજ પવન ફૂંકાવા અંગેનું હાઈ-એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ બદલાતા હવામાનને કારણે લાંબા સમયથી ગરમીનો માર સહન કરી રહેલા લોકોને મોટી રાહત મળવાની આશા બંધાઈ છે.
17 રાજ્યોમાં તોફાની પવન અને વરસાદની ચેતવણી
હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ મુજબ, ઉત્તર અને મધ્ય ભારતના રાજ્યોમાં વાતાવરણમાં મોટો ફેરફાર જોવા મળશે. ઉત્તર પ્રદેશ, બિહાર, રાજસ્થાન, હરિયાણા, પંજાબ, હિમાચલ પ્રદેશ અને મધ્ય પ્રદેશ સહિત કુલ 17રાજ્યોમાં 70 થી 80 કિમી પ્રતિ કલાકની ઝડપે તોફાની પવન ફૂંકાવાની આગાહી કરવામાં આવી છે. આ દરમિયાન અનેક વિસ્તારોમાં વીજળી પડવાની શક્યતા હોવાથી લોકોને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે.
તાપમાનમાં 2 થી 8 ડિગ્રીનો ઘટાડો શક્ય
આ હવામાન પલટાના કારણે આવનારા 2 થી 3 દિવસમાં ઉત્તરપશ્ચિમ અને પૂર્વ ભારતના તાપમાનમાં મોટો ઘટાડો નોંધાઈ શકે છે. IMD ના અહેવાલ મુજબ, તાપમાનમાં 2 થી 8 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થવાની સંભાવના છે, જે ગરમીથી પીડાતા નાગરિકો માટે ખૂબ જ રાહતના સમાચાર છે. આ ઉપરાંત, દક્ષિણ અને ઉત્તરપૂર્વ ભારતના કેરળ, તમિલનાડુ અને કર્ણાટક તેમજ આસામ, મેઘાલય અને અરુણાચલ પ્રદેશમાં અતિભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે.
આ પણ વાંચો: કાશ્મીરના ગુલમર્ગ રોપવેમાં ટેકનિકલ ખામીથી અફરાતફરી!: 500 ફૂટ ઊંચાઈએ 300 પ્રવાસીઓ ફસાયા, 7 કલાક બાદ રેસ્ક્યૂ
ચોમાસાનું આગમન અને વિવિધ રાજ્યોની સ્થિતિ
દક્ષિણપશ્ચિમ ચોમાસું હવે ધીમે-ધીમે તેની ગતિ પકડી રહ્યું છે, જેના પગલે આગામી દિવસોમાં બંગાળની ખાડી અને આંદામાન સમુદ્રમાં વાતાવરણીય ગતિવિધિઓ વધુ વેગવંતી બનશે. ઉત્તર ભારતના હવામાનની વાત કરીએ તો, દિલ્હીમાં આગામી બે દિવસ ગરમીનો પ્રકોપ યથાવત્ રહેશે, જોકે સાંજ પડતા ધૂળભરી આંધી અને તેજ પવન ફૂંકાવાની શક્યતા છે. ખાસ કરીને 28 મે બાદ રાજધાનીમાં આકાશ વાદળછાયું રહેવાની સાથે હળવા વરસાદની સંભાવના સેવાઈ રહી છે.
અન્ય ઉત્તરીય રાજ્યોમાં પણ હવામાનમાં મોટો પલટો જોવા મળી શકે છે. ઉત્તર પ્રદેશ અને બિહારના લખનૌ, કાનપુર, પટના તથા ગયા જેવા શહેરોમાં 28 મે બાદ વાવાઝોડા સાથે વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આ તરફ રાજસ્થાનમાં હાલ ગરમીનું જોર યથાવત્ રહેશે, પરંતુ 28 મે પછી ત્યાં પણ વાતાવરણમાં ફેરફાર થતા હળવા વરસાદની આશા છે. બીજી તરફ, હિમાલયન ક્ષેત્રના ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં વરસાદની સાથે કરા પડવાની પણ સંભાવના છે. હવામાન વિભાગે લોકોને સાવચેત રહેવા અપીલ કરી છે કે, વાવાઝોડા અને વીજળીના કડાકા દરમિયાન સુરક્ષિત સ્થળે આશરો લેવો અને જરૂરિયાત વિના ઘરની બહાર નીકળવાનું ટાળવું જોઈએ. મહત્વનું છે કે, વિભાગે પણ લોકોને અપીલ કરી છે કે, વાવાઝોડા અને વીજળીના કડાકા દરમિયાન સુરક્ષિત સ્થળે આશરો લેવો અને બિનજરૂરી રીતે ઘરની બહાર નીકળવાનું ટાળવું.





