Supreme Court Deadline: ભારતમાં દીકરીઓના શિક્ષણ અને તેમના સ્વાસ્થ્યને લઈને સુપ્રીમ કોર્ટે એક અત્યંત મહત્ત્વપૂર્ણ અને કડક આદેશ આપ્યો છે. માસિક ધર્મ (મેન્સ્ટ્રુઅલ હાઇજીન) દરમિયાન વિદ્યાર્થિનીઓને પડતી મુશ્કેલીઓનો અંત લાવવા માટે સુપ્રીમ કોર્ટે દેશના તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને આગામી 15 ઓગસ્ટ સુધીની ડેડલાઇન આપી છે. કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે, દરેક શાળામાં સ્વચ્છતાની તમામ પાયાની સુવિધાઓ ફરજિયાતપણે ઉપલબ્ધ હોવી જોઈએ અને સરકારોએ આ કામગીરીનો રિપોર્ટ કોર્ટમાં રજૂ કરવો પડશે.
જસ્ટિસ જે.બી. પારડીવાલા અને જસ્ટિસ આર. મહાદેવનની બેન્ચે આ મામલે ગંભીરતા દાખવતા સપ્ટેમ્બર મહિનામાં આગામી સુનાવણી નક્કી કરી છે. કોર્ટના આ આદેશનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે પીરિયડ્સ જેવી કુદરતી પ્રક્રિયાને કારણે કોઈ પણ દીકરીએ શાળાએ જવાનું બંધ ન કરવું પડે કે તેમનું શિક્ષણ અધવચ્ચે ન છૂટે.
પીઆઈએલ બાદ કોર્ટની લાલ આંખ
આ સમગ્ર મામલો કોંગ્રેસના નેતા જયા ઠાકુર દ્વારા દાખલ કરવામાં આવેલી એક જાહેર હિતની અરજી (PIL) સાથે જોડાયેલો છે. અગાઉના ચુકાદામાં કોર્ટે શાળાઓમાં મફત સેનિટરી નેપકિનની વ્યવસ્થા અને કાર્યરત શૌચાલયો બનાવવા આદેશ આપ્યો હતો. જોકે, અરજદારે કોર્ટમાં રજૂઆત કરી હતી કે કેન્દ્ર અને રાજ્યોએ આ આદેશનો યોગ્ય રીતે અમલ કર્યો નથી. સરકારના રિપોર્ટ માત્ર ભવિષ્યના રોડમેપ પર આધારિત હતા, જેમાં વાસ્તવિક કામગીરીનો અભાવ જોવા મળ્યો હતો. અત્યાર સુધી માત્ર ચંદીગઢ જ એકમાત્ર એવું કેન્દ્રશાસિત પ્રદેશ છે જેણે સુવિધાઓ પૂરી પાડ્યાનો રિપોર્ટ રજૂ કર્યો છે.
નીતિ આયોગના આંકડા ચોંકાવનારા: હજારો શાળાઓમાં નથી શૌચાલય
અરજીમાં ટાંકવામાં આવેલા નીતિ આયોગના વર્ષ 2026ના અહેવાલે દેશની શિક્ષણ વ્યવસ્થાની કડવી વાસ્તવિકતા અને દીકરીઓની સુરક્ષા સામેના ગંભીર પડકારોને છતા કર્યા છે. આ આંકડાઓ મુજબ, દેશની અંદાજે 98,592 જેટલી સરકારી શાળાઓમાં વિદ્યાર્થિનીઓ માટે એક પણ કાર્યરત શૌચાલય ઉપલબ્ધ નથી, જે ખૂબ જ ચિંતાજનક બાબત છે. આ ઉપરાંત, અન્ય 61,540 શાળાઓ એવી છે કે જ્યાં શૌચાલયનું માળખું તો છે, પરંતુ તે અત્યંત જર્જરિત અથવા અસ્વચ્છ હોવાને કારણે ઉપયોગમાં લઈ શકાય તેવી સ્થિતિમાં નથી.
માત્ર માળખાકીય સુવિધાઓનો અભાવ જ નહીં, પરંતુ આ માટેની નાણાકીય ફાળવણી પણ અત્યંત અપૂરતી છે. ઉદાહરણ તરીકે, મધ્યપ્રદેશ જેવા રાજ્યમાં આખા વર્ષ દરમિયાન સેનિટરી પ્રોડક્ટ્સના સપ્લાય માટે માત્ર 60 લાખ રૂપિયાનું નજીવું બજેટ ફાળવવામાં આવે છે, જે હજારો શાળાઓની જરૂરિયાત સામે નગણ્ય છે. આ સમસ્યાઓ ઉપરાંત શાળાઓમાં સ્વચ્છતા જાળવવા માટે કાયમી સફાઈ કર્મચારીઓની પણ ભારે અછત જોવા મળી રહી છે, જેને કારણે લાખો દીકરીઓના સ્વાસ્થ્ય અને તેમના શિક્ષણના મૂળભૂત અધિકારો જોખમમાં મુકાઈ રહ્યા છે.
સ્વાસ્થ્ય અને શિક્ષણ એ મૂળભૂત અધિકાર
સુપ્રીમ કોર્ટે બંધારણની કલમ 21નો ઉલ્લેખ કરતા જણાવ્યું છે કે, માસિક ધર્મ દરમિયાન સ્વચ્છતા અને જરૂરી સુવિધાઓ મેળવવી એ દરેક વિદ્યાર્થિનીનો મૂળભૂત અધિકાર છે. કોર્ટે આદેશ આપ્યો છે કે તમામ સરકારી અને ખાનગી શાળાઓએ પાણીની સુવિધા, હાથ ધોવાની વ્યવસ્થા, સેનિટરી પેડ્સ અને કચરાના સુરક્ષિત નિકાલ માટે ત્વરિત પગલાં ભરવા પડશે. શિક્ષણમાં લિંગ-આધારિત સમાનતા લાવવા માટે આ પગલાં અનિવાર્ય છે.





