મધ્ય પૂર્વમાં અમેરિકા અને ઈરાન વચ્ચેનો તણાવ ફરી એકવાર ગંભીર બની રહ્યો છે. ઈરાનની ઇસ્લામિક રેવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC)એ દાવો કર્યો છે કે અમેરિકી સૈન્ય દ્વારા ઈરાનના સંચાર ટાવર પર કરવામાં આવેલા હુમલાના જવાબમાં અમેરિકી દળો ઉપયોગ કરતા હવાઈ મથકને નિશાન બનાવી પ્રતિહુમલો કરવામાં આવ્યો છે. બીજી તરફ કુવૈત સરકારે જણાવ્યું છે કે તેના હવાઈ સંરક્ષણ તંત્રે અનેક મિસાઈલ અને ડ્રોનને સફળતાપૂર્વક અટકાવ્યા હતા.
IRGC દ્વારા જારી કરાયેલા નિવેદન અનુસાર હોર્મોઝગાન પ્રાંતના સિરિક ટાપુ પર આવેલા સંચાર ટાવર પર અમેરિકી હુમલા બાદ ઈરાને તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી. ઈરાની દાવા મુજબ હુમલામાં ઉપયોગમાં લેવાયેલા હવાઈ મથક અને સંબંધિત લક્ષ્યોને નિશાન બનાવી કાર્યવાહી કરવામાં આવી હતી.
આ ઘટનાના થોડા સમય બાદ કુવૈતમાં અનેક વિસ્તારોમાં સાયરન વાગ્યા હતા. સરકારી સમાચાર એજન્સી KUNA અનુસાર હવાઈ સંરક્ષણ તંત્રે મિસાઈલ અને ડ્રોન હુમલાને નિષ્ફળ બનાવ્યા હતા. જોકે નુકસાન અથવા જાનહાનિ અંગે કોઈ સત્તાવાર માહિતી જાહેર કરવામાં આવી નથી.
કુવૈતનો કડક વિરોધ, પ્રાદેશિક સ્થિરતા અંગે ચિંતા
કુવૈતના વિદેશ મંત્રાલયે પોતાના નિવેદનમાં ઈરાન તરફથી થયેલા હુમલાની નિંદા કરી છે. મંત્રાલયે જણાવ્યું કે આવા હુમલાઓ તણાવ ઘટાડવાના પ્રયાસોને નુકસાન પહોંચાડે છે અને સમગ્ર મધ્ય પૂર્વની સુરક્ષા તથા સ્થિરતા માટે જોખમ ઉભું કરે છે.
આ પણ વાંચો: અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પની પુત્રી ટિફની ટ્રમ્પ જામનગર પહોંચી : વનતારાની લેશે મુલાકાત
અમેરિકાનો દાવો
અમેરિકી સેન્ટ્રલ કમાન્ડ (CENTCOM)એ જણાવ્યું હતું કે તાજેતરમાં આંતરરાષ્ટ્રીય જળસીમા ઉપર કાર્યરત અમેરિકન MQ-1 ડ્રોનને ઈરાને તોડી પાડ્યો હતો. તેના જવાબમાં અમેરિકી લડાકુ વિમાનો દ્વારા ઈરાનની હવાઈ સંરક્ષણ વ્યવસ્થા, ગ્રાઉન્ડ કંટ્રોલ સ્ટેશન અને બે હુમલાખોર ડ્રોનને નિશાન બનાવવામાં આવ્યા હતા.
અમેરિકી સૈન્યના જણાવ્યા મુજબ આ કાર્યવાહીનો હેતુ પ્રાદેશિક જળમાર્ગોમાં પસાર થતા જહાજો અને અમેરિકી હિતોની સુરક્ષા કરવાનો હતો. CENTCOMએ ભારપૂર્વક જણાવ્યું કે ચાલુ યુદ્ધવિરામ દરમિયાન પણ અમેરિકા પોતાના દળો અને હિતોની સુરક્ષા માટે જરૂરી કાર્યવાહી ચાલુ રાખશે.
નાજુક યુદ્ધવિરામ વચ્ચે ફરી વધ્યો તણાવ
આ હુમલાઓ એવા સમયે થયા છે જ્યારે એપ્રિલ મહિનાથી અમલમાં આવેલા નાજુક યુદ્ધવિરામને આગળ વધારવા માટે અમેરિકા અને ઈરાન વચ્ચે પરોક્ષ વાટાઘાટો ચાલી રહી છે. બંને દેશો વચ્ચે 60 દિવસ માટે યુદ્ધવિરામ લંબાવવાના સંભવિત સમજૂતી કરાર (MoU) અંગે ચર્ચા ચાલી રહી હોવાનું આંતરરાષ્ટ્રીય અહેવાલોમાં જણાવાયું છે.
અહેવાલો મુજબ પ્રસ્તાવિત સમજૂતીમાં હોર્મુઝ જળમાર્ગમાં અવરજવર સંપૂર્ણપણે અવરોધમુક્ત રાખવા, કોઈ પ્રકારના ટેક્સ અથવા દખલગીરી ન કરવા અને ઈરાન દ્વારા દરિયાઈ માઈનો દૂર કરવાની જોગવાઈઓ સામેલ હોઈ શકે છે. સાથે જ ઈરાન પરમાણુ હથિયારોના વિકાસ તરફ આગળ નહીં વધે તેવી પ્રતિબદ્ધતા પણ આ કરારનો ભાગ બની શકે છે. જોકે આ તમામ મુદ્દાઓ અંગે હજુ સુધી કોઈ અંતિમ સત્તાવાર સમજૂતી જાહેર કરવામાં આવી નથી.
આ પણ વાંચો: ભારત-અમેરિકા વચ્ચે 4 દિવસની હાઈ-લેવલ મંત્રણા : રૂ.47 લાખ કરોડના વ્યાપારિક કરાર પર મહોર લાગવાની શક્યતા
પરમાણુ કાર્યક્રમ ચર્ચાના કેન્દ્રમાં
સંભવિત નવા કરાર હેઠળ યુદ્ધવિરામ લંબાયા બાદ સૌથી મહત્વપૂર્ણ ચર્ચા ઈરાનના યુરેનિયમ સમૃદ્ધિકરણ કાર્યક્રમ અને ઉચ્ચ સ્તરના સમૃદ્ધ યુરેનિયમના જથ્થાના ભવિષ્ય અંગે થવાની શક્યતા છે.અમેરિકી મીડિયા અહેવાલો અનુસાર રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અગાઉ તૈયાર કરાયેલા કેટલાક પ્રસ્તાવોમાં સુધારા સૂચવ્યા છે. બીજી તરફ ઈરાનના સરકારી માધ્યમોમાં એવો દાવો પણ કરવામાં આવ્યો હતો કે સંભવિત સમજૂતીમાં ઈરાનની સ્થગિત કરાયેલી 12 અબજ ડોલરની સંપત્તિ મુક્ત કરવાની જોગવાઈ પણ સામેલ છે. જોકે વ્હાઇટ હાઉસે આવા કેટલાક અહેવાલોને નકારી કાઢ્યા છે.
ઈરાને વ્યક્ત કર્યો અવિશ્વાસ
ઈરાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઇસ્માઈલ બઘાઈએ જણાવ્યું કે અમેરિકા તરફથી સતત બદલાતા વલણ અને વિરોધાભાસી માંગણીઓના કારણે વાટાઘાટોની પ્રક્રિયા લાંબી ખેંચાઈ રહી છે. તેમણે કહ્યું કે બંને દેશો વચ્ચે ગંભીર અવિશ્વાસનું વાતાવરણ છે અને આ જ કારણસર કોઈ ઝડપી નિષ્કર્ષ પર પહોંચવું મુશ્કેલ બની રહ્યું છે.
ઈરાને લેબનોનમાં ઈઝરાયલની કાર્યવાહી અંગે પણ ચિંતા વ્યક્ત કરી છે અને તેને અમેરિકાની નીતિથી અલગ ન ગણાવી શકાય તેમ જણાવ્યું છે.વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીએ પણ સ્પષ્ટ કર્યું છે કે અમેરિકા સાથે સંદેશાવ્યવહાર અને ચર્ચા ચાલુ છે, પરંતુ કોઈ સ્પષ્ટ પરિણામ આવે ત્યાં સુધી વિવિધ અટકળોને ગંભીરતાથી લેવી યોગ્ય નહીં ગણાય.
ટ્રમ્પનો દાવો
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખ્યું કે ઈરાન ખરેખર કોઈ સમજૂતી કરવા માંગે છે અને અંતે થનાર કોઈપણ કરાર અમેરિકા અને તેના સહયોગી દેશો માટે લાભદાયક રહેશે. ટ્રમ્પે પોતાની નીતિની ટીકા કરનારાઓ પર પણ નિશાન સાધ્યું અને દાવો કર્યો કે અંતે સમગ્ર પ્રક્રિયાનો સકારાત્મક પરિણામ આવશે.
મધ્ય પૂર્વમાં વધતા તણાવ અને ચાલતી રાજદ્વારી ચર્ચાઓ વચ્ચે હવે સમગ્ર વિશ્વની નજર અમેરિકા અને ઈરાન વચ્ચેની આગામી વાટાઘાટો પર ટકેલી છે. નિષ્ણાતો માને છે કે આગામી થોડા દિવસો પ્રાદેશિક સુરક્ષા અને વૈશ્વિક ઊર્જા બજારો માટે અત્યંત મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે.






