1967ના આર્થિક સંકટ દરમિયાન ઇન્દિરા ગાંધીએ ભારતીયોને સોનું ખરીદવાનું બંધ કરવાની વિનંતી કરી હતી તેવો વાયરલ દાવો હાલ રાજકીય ચર્ચાનો વિષય બન્યો છે. પીએમ મોદી દ્વારા તાજેતરમાં સોનાની ખરીદી ઘટાડવાની અપીલ કરવામાં આવી હતી. ત્યાર બાદ ઇન્દિરા ગાંધીના નામ સાથે જોડાયેલાં આ પ્રકારના અહેવાલો હાલ વાયરલ થઈ રહ્યાં છે. પ્રધાનમંત્રી મોદીની સોનાની ખરીદી અંગેની અપીલ બાદ અગાઉ ઇન્દિરા ગાંધી, ચિદમ્બરમ, જેટલી, રિઝર્વ બેંકના અધિકારીઓએ કરેલી અપીલની વાત પણ ચર્ચામાં આવી છે. સોના અંગે સરકારની અપીલ કંઈ નવી નથી! રાષ્ટ્રીય તિજોરી સાથે તેનું જોડાણ સમજો. શું ખરેખર 1967માં, ભારતના તત્કાલિન પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધીએ ભારતીયોને અર્થતંત્રને સુરક્ષિત રાખવા માટે "કોઈપણ સ્વરૂપમાં" સોનું ખરીદવાનું બંધ કરવા વિનંતી કરી હતી? શું છે આખો મામલો અને શું છે આ પ્રકારના વાયરલ દાવા પાછળની સાચી હકીકત જાણો...
જો 1 કરોડ લોકો અઠવાડિયામાં 3 દિવસ ઘરેથી કામ કરે: તો દેશના ₹70,000 કરોડ બચશે! જાણો PM મોદીની 'વર્ક ફ્રોમ હોમ' અપીલ પાછળ છે મોટું આર્થિક ગણિત
સોનાની ચમક સામે અર્થતંત્રની ચિંતા: સરકારો શા માટે રોકે છે ગોલ્ડ ખરીદી?
ભારતમાં સોનું માત્ર આભૂષણ નથી. તે ભાવના છે, પરંપરા છે, રોકાણ છે અને ઘણા પરિવારો માટે આર્થિક સુરક્ષાનું પ્રતીક પણ છે. લગ્ન હોય, તહેવાર હોય કે બચત-ભારતીય સમાજમાં સોનાને અનોખું સ્થાન મળ્યું છે. પરંતુ દેશના આર્થિક સંકટના સમયમાં સરકારો વારંવાર નાગરિકોને સોનું ઓછું ખરીદવાની અપીલ કરતી રહી છે. 1967માં ઈન્દિરા ગાંધી હોય, 2013માં પી. ચિદમ્બરમ હોય કે હવે 2026માં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી-દરેક સમયગાળામાં આ અપીલ પાછળનું કારણ લગભગ એકસરખું રહ્યું છે: દેશના વિદેશી મુદ્રા ભંડાર અને આયાત ખર્ચ પર વધતો દબાણ. અરૂણ જેટલી પણ પહેલાં આ પ્રકારની અપીલ કરી ચૂક્યા છે. તાજેતરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને એક વર્ષ સુધી સોનું ન ખરીદવાની અપીલ કરી. વૈશ્વિક સ્તરે પશ્ચિમ એશિયામાં વધતી અસ્થિરતા અને ક્રૂડ ઓઈલના વધતા ભાવ વચ્ચે ભારતના આયાત બિલમાં જોરદાર વધારો થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ પરિસ્થિતિમાં સરકારનું માનવું છે કે સોનાની આયાતમાં ઘટાડો કરવાથી ડોલરની બચત થશે અને દેશના ફોરેક્સ રિઝર્વ પરનો દબાણ ઘટશે.
નેહરુ કેબિનેટનું મંત્રીપદ ઠુકરાવી ભોગવ્યો જેલવાસ!: રાષ્ટ્રવાદ માટે નાંખ્યો જનસંઘનો પાયો, બસ ત્યાંથી શરૂ થઈ દુનિયાના સૌથી મોટા રાજકીય પક્ષની વિચારયાત્રા
ભારત અને સોનાનો આર્થિક સંબંધ
ભારત દુનિયાના સૌથી મોટા ગોલ્ડ ઉપભોક્તા દેશોમાંથી એક છે. દેશમાં દર વર્ષે અંદાજે 700થી 800 ટન સોનાનો વપરાશ થાય છે, પરંતુ સ્થાનિક ઉત્પાદન બહુ ઓછું હોવાથી તેની મોટાભાગની જરૂરિયાત આયાતથી પૂરી થાય છે. ભારતે બહારથી સોનાની ખરીદી કરવી પડે છે. એટલે કે, ભારતને સોનું ખરીદવા માટે ડોલરમાં ચૂકવણી કરવી પડે છે. જેને કારણે વિદેશી હુડિયામણ પર માઠી અસર થાય છે.
વડોદરામાં PM મોદીની દેશવાસીઓને અપીલ: "પેટ્રોલ-ડીઝલનો ઓછો ઉપયોગ કરો, વર્ક ફ્રોમ હોમ અપનાવો, સોનાની ખરીદી ટાળો"
બહારથી આયાત કરવાથી શું અસર પડે?
જ્યારે દેશ વધુ આયાત કરે અને તેની સરખામણીએ ઓછું નિકાસ કરે ત્યારે ‘કરન્ટ અકાઉન્ટ ડેફિસિટ’ (CAD) વધે છે. આ સ્થિતિમાં દેશમાંથી વધુ વિદેશી મુદ્રા બહાર જાય છે અને રૂપિયાની કિંમત પર દબાણ વધે છે. અર્થશાસ્ત્રીઓ લાંબા સમયથી ચેતવણી આપતા રહ્યા છે કે સોનાની અતિશય આયાત ભારત માટે આર્થિક રીતે ભારરૂપ બની શકે છે. 2013માં રૂપિયા પર દબાણ વધતાં આરબીઆઈના અધિકારીઓએ પણ લોકોને સોનું ન ખરીદવાની સલાહ આપી હતી.
1967માં ઈન્દિરા ગાંધીની અપીલ
વાયરલ દાવા મુજબ 1967માં તત્કાલિન પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધીએ પણ ભારતીયોને તે સમયે સોનું ન ખરીદવા અપીલ કરી હતી. દાવા મુજબ ભારત ગંભીર વિદેશી મુદ્રા સંકટમાંથી પસાર થઈ રહ્યું હતું. દેશ પાસે ડોલરની ભારે અછત હતી અને આવશ્યક આયાત પણ મુશ્કેલ બની રહી હતી. એ સમયે પ્રધાનમંત્રી ઈન્દિરા ગાંધીએ લોકોને “રાષ્ટ્રીય શિસ્ત” દાખવવાની અપીલ સાથે સોનું ન ખરીદવા વિનંતી કરી હતી. તે સમયની પરિસ્થિતિ આજે કરતાં ઘણી જુદી હતી. ભારતનું અર્થતંત્ર બંધ સ્વરૂપનું હતું, નિકાસ મર્યાદિત હતી અને વિદેશી મૂડીપ્રવાહ પણ ઓછો હતો. આવી સ્થિતિમાં સોનાની આયાત દેશ માટે વૈભવી ખર્ચ માનવામાં આવતી હતી. સરકારનું માનવું હતું કે જો લોકો સોનું ઓછું ખરીદશે તો દેશની વિદેશી મુદ્રાની બચત થશે. પરંતુ ઇતિહાસ બતાવે છે કે સરકારોની અપીલ છતાં ભારતીય સમાજનો સોનાપ્રેમ ઘટ્યો નથી. વિપરીત રીતે, દરેક આર્થિક અનિશ્ચિતતાના સમયમાં લોકો સોનાને વધુ સુરક્ષિત રોકાણ તરીકે જોતા આવ્યા છે.
મોદી સરકારની અપીલ પાછળ શું છે?
2026માં આવેલા વૈશ્વિક ઊર્જા સંકટ અને પશ્ચિમ એશિયાની અસ્થિરતા વચ્ચે ભારતના આયાત ખર્ચમાં વધારો થવાની શક્યતા છે. ક્રૂડ ઓઈલ સાથે સોનાની આયાત પણ ડોલરની માંગ વધારતી હોવાથી સરકાર લોકો પાસે ખર્ચમાં સંયમ રાખવાની અપીલ કરી રહી છે. અર્થશાસ્ત્રીઓનું માનવું છે કે આ કોઈ કાનૂની પ્રતિબંધ નથી, પરંતુ એક “આર્થિક અપીલ” છે. લોકો હજુ પણ સોનું ખરીદી શકે છે, પરંતુ સરકાર દેશના ફોરેક્સ રિઝર્વ પર વધતા દબાણને ધ્યાનમાં રાખીને સાવચેતીનો સંદેશ આપી રહી છે. આ સાથે સરકાર લાંબા સમયથી ફિઝિકલ ગોલ્ડના વિકલ્પો પ્રોત્સાહિત કરતી આવી છે. સોવરેન ગોલ્ડ બોન્ડ, ગોલ્ડ ETF અને ડિજિટલ ગોલ્ડ જેવી યોજનાઓ પાછળનો હેતુ એ જ રહ્યો છે કે લોકો સીધું આયાતી સોનું ખરીદવાને બદલે નાણાકીય સાધનોમાં રોકાણ કરે.
જ્વેલરી ઉદ્યોગ અને સામાન્ય લોકોની ચિંતા
સરકારની અપીલ પછી જ્વેલરી ઉદ્યોગમાં ચિંતા જોવા મળી છે. વેપારીઓનું કહેવું છે કે ભારતમાં લગ્ન અને તહેવારો સાથે સોનાની ખરીદી સીધી જોડાયેલી છે. જો લોકો ખરીદી ટાળશે તો લાખો નાના વેપારીઓ, કારખાનેદારો અને કારીગરો પર અસર પડી શકે છે. બીજી તરફ, સોશિયલ મીડિયા અને જાહેર ચર્ચાઓમાં પણ મિશ્ર પ્રતિસાદ જોવા મળી રહ્યો છે. કેટલાક લોકો આ અપીલને આર્થિક સાવચેતી ગણાવી રહ્યા છે, જ્યારે કેટલાક સરકાર પર અર્થતંત્રની નબળાઈ છુપાવવાનો આરોપ લગાવી રહ્યા છે.
સોનું: લાગણી કે અર્થતંત્ર માટે પડકાર?
ભારતમાં સોનાની ખરીદી પાછળ માત્ર રોકાણનું કારણ નથી. ગ્રામ્ય ભારતમાં આજે પણ સોનું બેંકિંગ સિસ્ટમ કરતાં વધુ વિશ્વસનીય સંપત્તિ માનવામાં આવે છે. મહિલાઓ માટે તે સામાજિક સુરક્ષા સમાન ગણાય છે. આ કારણસર સરકારો માટે સોનાની માંગ ઘટાડવી સરળ નથી. પરંતુ બીજી બાજુ અર્થશાસ્ત્રીઓનો એક વર્ગ માને છે કે મોટી માત્રામાં સોનામાં રોકાયેલું નાણું ઉત્પાદક અર્થતંત્રમાં પરત ફરી શકતું નથી. બેંકમાં બચત થાય તો તે લોન અને રોકાણ દ્વારા અર્થતંત્રમાં ગતિ લાવે છે, જ્યારે સોનું મોટા ભાગે નિષ્ક્રિય સંપત્તિ બની રહે છે.
ઈન્દિરા ગાંધીથી લઈને નરેન્દ્ર મોદી સુધી, ભારતની અલગ-અલગ સરકારોએ સોનું ઓછું ખરીદવાની અપીલ કરી છે. સમય બદલાયો છે, સરકારો બદલાઈ છે, પરંતુ મૂળ ચિંતા એક જ રહી છે-દેશની વિદેશી મુદ્રા બચાવવી અને આયાતના વધતા બોજને નિયંત્રિત કરવો. પરંતુ ભારત જેવા દેશમાં સોનાની ખરીદી માત્ર આર્થિક નિર્ણય નથી; તે સાંસ્કૃતિક અને સામાજિક પરંપરાનો ભાગ છે. એટલે સરકારોની અપીલ ટૂંકાગાળે અસરકારક બને કે નહીં, તે ચર્ચાનો વિષય રહી શકે છે. છતાં એક વાત સ્પષ્ટ છે કે જ્યારે સરકારો લોકોને સોનું ઓછું ખરીદવાની અપીલ કરે છે, ત્યારે તેની પાછળ માત્ર બજાર નહીં, પરંતુ સમગ્ર અર્થતંત્રની ચિંતા છુપાયેલી હોય છે. જોકે, હજુ સુધી કોંગ્રેસે આ વાયરલ વાયદા અંગે કોઈ સ્પષ્ટતા કરી નથી.





