Tamil Nadu Political Crisis: તમિલનાડુના રાજકારણમાં અત્યારે હચમચાવી દે તેવા સમાચાર સામે આવ્યા છે. મહારાષ્ટ્રમાં જે રીતે શિવસેના અને NCPમાં ભાગલા પડ્યા હતા, બરાબર તેવો જ ઘાટ અત્યારે તમિલનાડુમાં AIADMK સાથે ઘડાયો છે. પૂર્વ મુખ્યમંત્રી જે. જયલલિતાના નિધન બાદ પાર્ટી પર જે સંકટના વાદળો મંડરાતા હતા, તે આખરે વરસી પડ્યા છે. રાજ્યની મુખ્ય વિપક્ષી પાર્ટી AIADMKમાં મોટું ગાબડું પડ્યું છે અને પાર્ટીના દિગ્ગજ નેતાઓ એસ.પી. વેલુમણી અને સી.વી. શણમુગમની આગેવાનીમાં એક મજબૂત જૂથ મુખ્યમંત્રી જોસેફ વિજયની સરકારમાં જોડાવા જઈ રહ્યું છે.
સૌથી ચોંકાવનારી વાત એ છે કે, આ રાજકીય વિસ્ફોટ એવા દિવસે થયો છે જ્યારે AIADMK ના ચીફ એડાપ્પડી કે. પલાનીસ્વામી (EPS) પોતાનો 72મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. જન્મદિવસની આ ઉજવણી વચ્ચે જ તેમની પાસેથી પાર્ટીનું સુકાન છીનવાઈ ગયું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. બળવાખોર જૂથનો દાવો છે કે આ વિભાજન માત્ર શરૂઆત છે અને આગામી દિવસોમાં વધુ ધારાસભ્યો તેમની સાથે જોડાશે. આ ઘટનાક્રમે દક્ષિણ ભારતના રાજકારણમાં ખળભળાટ મચાવી દીધો છે.
આ પણ વાંચો: CM બનતા જ વિજયનો પહેલો મોટો નિર્ણય! : ધાર્મિક સ્થળો અને શાળાઓ નજીકની 717 દારૂની દુકાનો બંધ કરવા આપ્યા આદેશ
લોટરી કિંગના પરિવારની ભૂમિકા અને સત્તાનું સમીકરણ
આ આખા વિભાજન પાછળ લોટરી કિંગ સેન્ટિયાગો માર્ટિનના પત્ની લીમા રોઝ માર્ટિનની ભૂમિકા અત્યંત મહત્વની માનવામાં આવે છે. લીમા રોઝના જમાઈ આદવ અર્જુન પહેલેથી જ મુખ્યમંત્રી વિજયની કેબિનેટમાં મંત્રી છે અને તેમના માધ્યમથી જ બળવાખોર ધારાસભ્યો અને TVK (તમિલગા વે્ટ્રી કઝગમ) વચ્ચેની કડી જોડાઈ હતી. રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે આ વખતે વિભાજન જ્ઞાતિના સમીકરણો પર નહીં, પરંતુ 'સત્તામાં ભાગીદારી' મેળવવા માટે કરવામાં આવ્યું છે.
કોણ કોની સાથે? AIADMKમાં સર્જાયા બે જૂથો
પાર્ટીમાં પડેલા આ ગાબડા બાદ હવે દિગ્ગજ નેતાઓ બે છાવણીમાં વહેંચાઈ ગયા છે:
બળવાખોર જૂથ (વિજય સરકારને સમર્થન): એસ.પી. વેલુમણી, સી.વી. શણમુગમ અને આશરે 30 ધારાસભ્યો.
EPS જૂથ (વફાદાર નેતાઓ): આર.બી. ઉધયકુમાર, ઓ.એસ. મણિયન અને કે.પી. મુનુસામી જેવા ગણતરીના ચહેરાઓ અત્યારે પલાનીસ્વામીની પડખે ઉભા છે.
બળવાખોર નેતાઓએ એસ.પી. વેલુમણીને પોતાના વિધાયક દળના નેતા અને જી. હરિને ડેપ્યુટી લીડર તરીકે ચૂંટી કાઢ્યા છે.
આ પણ વાંચો: આસામમાં ફરી ‘હિમંતા યુગ’ : PM મોદીની હાજરીમાં આજે બીજી વખત લેશે મુખ્યમંત્રી પદના શપથ
સી.વી. શણમુગમનો ધડાકો: "પલાનીસ્વામી DMK સાથે જવા માંગતા હતા"
બળવાખોર જૂથના નેતા સી.વી. શણમુગમે એક પ્રેસ કોન્ફરન્સમાં અત્યંત ચોંકાવનારો દાવો કર્યો છે. તેમણે જણાવ્યું હતું કે, પલાનીસ્વામી (EPS) અંદરખાને સત્તા મેળવવા માટે વિરોધી પક્ષ DMK સાથે જોડાણ કરવાની તૈયારી કરી રહ્યા હતા. તેઓ પોતે મુખ્યમંત્રી બનવાની લાલચમાં પાર્ટીના સિદ્ધાંતો સાથે બાંધછોડ કરી રહ્યા હતા, જે મોટાભાગના ધારાસભ્યોને મંજૂર નહોતું. શણમુગમે સ્પષ્ટ કર્યું કે તેમનો ઈરાદો AIADMKને તોડવાનો નથી, પરંતુ જનતાએ જે વિજય સરકારને જનાદેશ આપ્યો છે તેને માન આપીને સ્થિર સરકાર બનાવવામાં મદદ કરવાનો છે.





