Ambalal Patel Forecast: ગુજરાતમાં ચોમાસાના આગમનને લઈને હાલ ભારે સસ્પેન્સ જોવા મળી રહ્યું છે. સામાન્ય રીતે જૂન મહિનાના મધ્ય સુધીમાં ચોમાસું બેસી જતું હોય છે, પરંતુ આ વર્ષે અલ નીનો (El Niño) અને ગ્લોબલ વોર્મિંગની અસરને કારણે વરસાદ વિલંબથી અને ઓછો થવાની શક્યતા વર્તાઈ રહી છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ, રાજ્ય હવામાન વિભાગ અને અન્ય એક્સપર્ટે ચોમાસાના આગમન અંગે ચોંકાવનારી વિગતો આપી છે.
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી
અતિશય ગરમી અને હવામાં ભેજના અભાવને કારણે વરસાદ ખેંચાયો છે. મુંબઈમાં ચોમાસું અટકી ગયું છે અને અરબ સાગર હાલ સક્રિય થયો નથી. મુંબઈમાં 15 જૂન પછી ચોમાસું સક્રિય થઈ શકે છે અને ત્યાં ભારે વરસાદની સંભાવના છે. ૧૬ જૂન બાદ બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાવાથી ગુજરાતમાં વરસાદ આવી શકે છે.
ગુજરાતમાં 23 જૂન પછી સારો વરસાદ આવવાની શક્યતા છે. જુલાઈ મહિનામાં વાદળોનો મોટો જમાવડો ભારત તરફ આવશે, જેનાથી સારું ચોમાસું બનશે. જોકે, અલ નીનોની સૌથી વધુ અસર સપ્ટેમ્બર મહિનામાં જોવા મળશે. રાજ્યમાં આગામી ૬ દિવસ ૧૫થી ૫૦ કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે અને કેટલાક ભાગોમાં ગાજવીજ સાથે છૂટોછવાયો વરસાદ પડી શકે છે.
રાજ્ય હવામાન વિભાગનું મોટું નિવેદન
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાતમાં ચોમાસું મોડું શરૂ થાય તેવી પૂરેપૂરી શક્યતા છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે આગામી ૭ દિવસ દક્ષિણ ગુજરાતમાં અને ૩ દિવસ બાદ સૌરાષ્ટ્ર-કચ્છમાં છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદ પડી શકે છે.
એક્સપર્ટનું ચોંકાવનારું વિશ્લેષણ
હવામાન નિષ્ણાંતોના મતે, આ વર્ષે અલ નીનોની અસરને કારણે ગુજરાતમાં સરેરાશ કરતાં ઓછો, એટલે કે માત્ર ૮૫ ટકા જ વરસાદ રહેવાની સંભાવના છે. ખાસ કરીને ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં ઓછો વરસાદ થતાં ખેડૂતોની ચિંતા વધી શકે છે. ગ્લોબલ વોર્મિંગને કારણે દરિયાનું તાપમાન ૨ ડિગ્રી વધુ નોંધાયું છે. સામાન્ય રીતે દર ચાર વર્ષે બદલાતી અલ નીનો અને લા નીનોની પેટર્ન બદલાઈ ગઈ છે, જેના કારણે લા નીનો માત્ર એક જ વર્ષ રહ્યું અને તરત જ અલ નીનોની અસર શરૂ થઈ ગઈ છે.





